દાંતીવાડા નજીક જીવદયા પ્રેમીઓએ ૫૬ ઘેટા ભરેલી ગાડી ઝડપી પાડ્યા..
જીવદયા પ્રેમી સ્વ. ભરતભાઈ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા જીવદયા નું કામ શરૂ
અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૩૧ ડિસેમ્બર: કોરોના મહામારી દરમિયાન પણ ગેરકાયદેસર અબોલ જીવોની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે જોકે તાજેતરમાં જ જાંબાઝ જીવદયા પ્રેમી એવા ભરતભાઇ કોઠારીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જીવનના અંતિમ શ્વાસ સુધી જીવ બચાવવાની તેમની ભાવનાને લાખ લાખ વંદન. તેમના નિધન બાદ પણ અબોલ જીવોને બચાવવાની કામગીરી જીવદયા પ્રેમીઓએ આગળ ધપાવી છે. ત્યારે ગુરુવારે દાંતીવાડા નજીકથી ૫૬ જેટલા અબોલ ઘેટા ભરી જતા ટેમ્પાને જીવદયા પ્રેમી ઓ રોકાવી અબોલ જીવોને નવજીવન આપ્યું હતું. જેની વિગતો જોતા દાંતીવાડાના રામનગર ગામના બાબરસિંહ તેમજ કિરપાલસિંહ અને સરપંચ રણજીતસિંહ વાઘેલા ગામમા હતા તે દરમિયાન એક કૉલ આવેલો કે એક ૪૦૭ ટેમ્પો જેમાં ખીચોખીચ ઘેટાં ઓને ઉપર નીચે ક્રૂરતાપૂર્વક ભરેલા છે.
તેની જાણ થતાં આ બાબતની જાણ દાંતીવાડા નાં ગૌસેવક હિમાલયભાઈ અને રાજભાઈ દરજીને કરવામાં આવતા આ તમામ ગૌરક્ષકો તાત્કાલિક હાઇવે ખાતે પહોંચ્યા હતા અને ટેમ્પો થોભાવી તપાસ કરતા ટેમ્પામાં ક્રૂરતા પૂર્વક ઘેટા ભરેલા હતા અને અમુક નાના ઘેટાનાં બચ્ચા જે ડ્રાઇવરની કેબિન માં પણ ખિચોખીચ ભરેલા હતા.જીવદયા પ્રેમીઓને જોતા જ ટેમ્પોનો ડ્રાઇવર ટેમ્પો મૂકી ભાગી ગયેલ જોકે જીવદયા પ્રેમીઓએ આ બાબતની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં કરી ત્યારબાદ દાંતીવાડા પોલીસ ને જાણ કરી અને પોલીસની ઉપસ્થિતિમાં તમામ ઘેટાંઓ ને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ત્યારબાદ તેમના નિભાવની વ્યવસ્થા માટે રાજપુર કાંટ પંજળાપોળમાં આ તમામ ઘેટા લાવવામાં આવ્યા હતા. હિમાલયભાઈ મલોસાનીયા,રાજભાઈ દરજી, વિપુલભાઈ જોષી, મયુરભાઈ ચોક્સી, રમેશભાઈ જેઠવા, પરેશભાઈ પંચાલ, એડવોકેટ હિનાબેન ઠક્કર તેમજ અન્ય બીજા જીવદયા પ્રેમીઓએ સાથે મળી ટેમ્પા માંથી ઘેટાંઓને ઉતારતા ટેમ્પામાં ક્રૂરતા પૂર્વક ભરેલા ૫૭ ઘેટામાંથી ઇજાના કારણે ૨ ઘેટાનાં મરણ થયેલ હતા જ્યારે બીજા અન્ય ઘેટાઓ ને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી જોકે આ તમામ ઘેટાને સાવચેતીથી ઉતારી જરૂરી ટ્રીટમેન્ટ કરી ઘાસચારો આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અબોલ જીવોના તારણહાર એવા ભરતભાઇ કોઠારીનું તાજેતરમાં આકસ્મિક નિધન થયા બાદ પણ જીવો બચાવવાની કામગીરી તેમના બાદ પણ ચાલુ રાખવાનો જીવદયા પ્રેમીઓ દ્વારા નિર્ણય લેવાયો હતો અને શ્રદ્ધાંજલિરૂપે ગુરુવારે દાંતીવાડાથી ૫૬ ઘેટાં બકરા ભરેલ એક ટેમ્પો ઝડપી પાડી ૫૬ અબોલ જીવોને નવજીવન આપ્યું હતું..
આ પણ વાંચો…