સાબરમતી જેલને ભેટ આપવા પહોંચ્યો સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો `સુંદર’, જાણો, કેમ ભાવુક થયો મયુર વાકાણી?
અહેવાલ: બિજલ પટેલ
અમદાવાદ, ૦૮ જાન્યુઆરી સામાન્ય રીતે કોઇને પણ પુછવામાં આવેને કે જેલમાં કોણ જાય? ત્યારે જવાબ મળે કે જેણે ગુનો કર્યો હોય તે જાય. પરંતુ અહીં સમાજે પોતાની માનસિકતા બદલવાની જરુર છે. કોઇ વ્યક્તિ જન્મથી જ ગુનેગાર હોતુ નથી, સમાજ એ અરીસો જેવો છે, તે તમને સારુ ખોટુ દરેક વસ્તુ શીખવે છે અને બતાવે પણ છે. હવે તેમાંથી તમારે શું શીખવું તે વ્યક્તિએ જાતે નક્કી કરવાનું હોય છે. કારણ કે સારુ લેવુ અને શીખવું અઘરુ છે, ખોટુ શીખવુ તો ખૂબ જ સરળ છે. ઘણી વખત વ્યક્તિ જેવુ જોવે છે તેવું જ શીખે છે. કંઇક આ પ્રકારના જ વિચારો ધરાવે છે સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના
સુંદર’ એટલે મયુર વાકાણી.
થોડા દિવસો પહેલા જ મયુર વાકાણી અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલની મુલાકાત લેવાનો વિચાર કર્યો અને તે જેલને કોઇ ભેટ આપવા ઇચ્છુક હતો. સાબરમતી જેલમાં ભેટ આપવાનો વિચાર અમસ્તો નથી આવ્યો! મયુર એક મિત્રને મળ્યા તેઓ સાબરમતી જેલ વિશે વાત કરી રહ્યાં તેઓએ કહ્યું કે, પહેલા જેલની ઓડિયટોરીમની સામે ઉદ્યાનમાં ત્રણ વાંદરાની મૂર્તિ હતી, જે ખૂબ જ ઝરઝરીત થઇ ગઇ હતી, તેથી તે હવે તે જગ્યાએ નથી. મયુરને તેમને કહ્યું કે, તમારો શિલ્પ બનાવવાનો જ બિઝનેસ છે, તો શું તમે બનાવી આપશો? ત્યારે તરત જ મયુરે હામી ભરીને કહ્યું, ચોક્કસ આ મૂર્તિ હું જ સાબરમતી જેલમાં બનાવીને ભેટ આપીશ. કારણ કે સાબરમતી જેલ અને ગાંધીજી આ બંને સાથે મને અને મારા પરિવારને ખૂબ જ જોડાણ છે. મારો પરિવાર ગાંધીજીના જીવનથી ખૂબ જ પ્રભાવિત છે.
મયુરના જીવન પર નજર કરીએ તો સાબરમતી જેલ સાથે ઘણો જૂનો સંબંધ છે. વાત એમ છે કે,1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી મયુરના પિતાના મોટાભાઇ નટવરલાલ વાકાણીની અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને તેમને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. તે સમયે નટવરલાલ વાકાણીની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ગાંધીજી થી પ્રભાવિત થઇ નટવર લાલ વાકાણીએ પોતાનો અભ્યાસ છોડીને સ્વતંત્રતાની લડાઇમાં જોડાઇ ગયા. મયુરે પિતા પાસેથી અનેક વખત મોટાકાકા અંગ્રેજો સામે લડત આપી તેના કિસ્સા સાંભળ્યા હતા, તે સાથે જેલવાસ દરમિયાનની સ્થિતિ પણ જાણી હતી. ત્યારથી મયુરના મનમાં સાબરમતી જેલ જોવાની ઇચ્છા હતી.
મયુરે સાબરમતી જેલ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, સાબરમતી જેલએ પારસ પત્થર જેવી છે. તમે અહીં આવો ત્યારે તમારુ ગમે તેવુ કઠોર હૃદય હોય પણ તેને લાગણીશીલ કરી દે છે. અહીં જ્યારે હું ગયો ત્યારે ત્રણ વાંદરાની મૂર્તિ ઓડિટોરીયમની સામે એવી જગ્યાએ મૂકવામાં આવી છે કે જે જતા આવતા દરેક લોકો જોઇ શકે. કારણ કે આ મૂર્તિ ખૂબ જ સરસ સંદેશ આપે છે. જો ખરાબ બોલશો નહીં, ખરાબ સાંભળશો નહીં કે ખરાબ જોશો નહીં તો તમારે જેલમાં આવવાની જરુર જ નહીં પડે. અહીં ગાંધીજી જે ઓરડામાં રહ્યાં હતા, તે જોવાનો પણ લહાવો મળ્યો. ત્યાં મેં ગાંધીજીને દીવો કર્યો.
આ જગ્યાએ હુ બેઠો ત્યારે મને એવુ થયું કે જામે મારા પિતૃઓ મારી સામે આવી ગયા. હવે વાત એવી છે કે મારા ઘરમાં ગાંધીજીનો ખૂબ જ પ્રભાવ છે, મારુ મૂડ ઘર સરસપુરમાં છે, ત્યાં પૂજા માટેનો નાનકડો જ ગોખ છે પરંતુ તે ગોખની ઉપર ગાંધીજીનો મોટો ફોટો છે, અને ભગવાનની સાથે ગાંધીજીની પણ મારા ઘરમાં પૂજા થાય છે. આજે પણ મારા પરિવારના કોઇ પણ સભ્ય ગાંધીજી વિશે ઘસાતુ કોઇ જ સાંભળી ન શકે. આ જગ્યાએ આવીને પોતાની નાની મોટી ભૂલની આપણને અહીં જાણ થાય છે, અને જ્યારે અહીંથી બહાર નીકળ્યો ત્યારે હૃદય હળવું બની ગયું.