dialysis center 5

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

dialysis center 5
  • દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત
  • રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત
  • ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ નિ:શુલ્ક ડાયાલિસીસ સારવાર મેળવી


અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવી જ સ્વાસ્થ્ય સેવાઓમાં સમગ્ર દેશભરનો અનોખો પ્રોગ્રામ એવો G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

જી.ડી.પી. પ્રોગ્રામ અંતર્ગત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લામાં જ ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી ડાયાલિસીસ સુવિધા મળી રહે છે. હાલ સમગ્ર રાજ્યભરમાં ૪૭ ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત થયા છે. આગામી સમયમાં વધુ ૧૩ ડાયાલિસીસ કેન્દ્ર ઉભા કરીને રાજ્યભરમાં કુલ ૬૦ ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત કરવાની દિશામાં સરકાર પ્રયત્નશીલ છે.

ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત સમગ્ર ભારતભરનો અનોખો પ્રોગ્રામ છે. જેમાં ૫૦૦ થી વધારે મશીન ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સેવામાં મૂકવામાં આવ્યા છે. આ તમામ મશીનરી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. જેમાં એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તેવી ડાયાલિસીસ ટ્યુબીંગ પ્ધ્ધતિનો ઉપયોગ કરાય છે જેથી અન્ય દર્દીને ચેપ લાગવાની સંભાવનાઓ ઓછી રહે છે. ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના કોઇપણ દર્દીને રાજ્યના કોઇપણ ખૂણે સંપૂર્ણપણે નિ:શૂલ્ક ડાયાલિસીસની સુવિધા મળી રહે છે.
અમદાવાદ સિવિલ સંકુલમાં જ્યારે કિડની ઇન્સ્ટીટ્યુટની સ્થાપના થઇ ત્યારે ફક્ત અમદાવાદ અને નડીઆદની હોસ્પિટલમાં જ ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ હતી.જે કારણોસર રાજ્યભરના દર્દીઓનો આ બે હોસ્પિટલમાં જ ડાયાલિસીસ કરાવવા માટે ઘસારો રહેતો.

whatsapp banner 1

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં ડાયાલિસીસ કેન્દ્ર હોય તેવું સ્વપ્ન જોયું હતુ. જેને હાલના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યુ છે. આજે રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત છે. જે આખાય દેશમાં અનોખી વ્યવસ્થા છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ કાર્યરત ડાયાલિસીસ સેન્ટરમાં વર્ષે ૩ લાખથી વધુ દર્દીઓ ડાયાલિસીસ સેવાઓનો લાભ લે છે.જી.ડી.પી. અંતર્ગત ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીમાં ૮,૮૫,૬૮૯ દર્દીઓએ ડાયાલિસીસ સારવારનો લાભ લીધો છે.સરકાર દ્વારા મા યોજના અંતર્ગત ૧૦૭ ખાનગી ડાયાલિસીસ કેન્દ્રના ૭૫૨ મશીનને પણ આ પ્રોગ્રામ સાથે જોડવામાં આવ્યા છે.

dialysis center 2

સમગ્ર રાજયના ડાયાલિસીસ કેન્દ્રનું સંચાલન અમદાવાદ સિવીલ સંકુલમાં સ્થિત કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવે છે. કિડની ઇન્સ્ટીટ્યુટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય યોજનાઓ અંતર્ગત ડાયાલિસીસને પ્રાધાન્ય આપવામાં આવે છે. સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં માટે હોસ્પિટલ દ્વારા ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્ય સરકારની સ્વાસ્થ્ય સેવાઓ અને કાર્યરત યોજનાઓ થકી ઘણા બધા પરીવારના જીવનદીપ પ્રજવલ્લિત રહ્યા છે અને આર્થિક ભારણના કારણે રાજ્યનો કોઇપણ દર્દી સ્વાસ્થ્ય સેવા વગરનો રહ્યો નથી. રાજ્યના અંતરીયાળ વિસ્તારના કિડની તકલીફ ધરાવતા દર્દીને પણ સરળતાથી ડાયાલિસીસની સુવિધા મળી રહી છે. લોકડાઉનની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ ૪૭ સેન્ટરમાંથી એકપણ સેન્ટર ક્યારેય બંધ રહ્યુ નથી. અવિરત પણે લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ જરૂરિયાતમંદ દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ છે.

dialysis center

શું છે ડાયાલિસીસ … ડાયાલિસીસ કરાવવાની જરૂરીયાત કેમ ?

IKDRC(કિડની હોસ્પિટલ) નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડૉ. હિમાંશુ પટેલ કહે છે કે આજના દિવસોમાં સામાન્યપણે કિડની ફેલ્યોરના કિસ્સા ઘણા જોવા મળી રહ્યા છે જેમાં એક્યુટ અને ક્રોનિક તેમ બે પ્રકારના કિડની ફેલ થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાવ, ડાયેરિયા, ઉલ્ટીના કારણે થોડાક સમય માટે થતા કિડની ફેલ્યોરને એક્યુટ કહે છે જેમાં ડાયાલિસીસ કરીને પૂર્વવત થવાની સંભાવનાઓ રહેલી છે. જ્યારે ક્રોનિક ફેલ્યોરમાં કિડની લાંબા ગાળા અથવા આજીવન કામ કરવાનું બંધ કરી દે છે. તેવા સંજોગોમાં દર્દીને અઠવાડિયામાં બે થી ત્રણ વખત નિયમિત ડાયાલિસીસ કરાવવું પડે છે.

ખાનગી હોસ્પિટલમાં એક ડાયાલિસીસના બે થી ત્રણ હજાર ખર્ચ થાય છે તેનો મતલબ કે વ્યક્તિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મહિને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા ફક્ત ડાયાલિસીસમાં ખર્ચ કરવો પડે.

આ પણ વાંચો: જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન