આણદાણી પરિવારના ડોક્ટર દંપતિ છ માસથી કોવિડ-19 વોર્ડમાં ફરજ બજાવે છે.
ડો.દિશા દર્દીની સેવા કરતાં સંક્રમિત થયા હતા.
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૧૦ સપ્ટેમ્બર: કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી ફરજ બજાવી રહ્યાં છે.
ડો.દિશા અણદાણી કોરોના દર્દીઓની સારવાર દરિમયાન સંક્રમિત થયા હતા. ૧૪ દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થયા હતા. એક તરફ જામનગરમાં રહેતા માતા-પિતા અને સિવિલમા ફરજ બજાવતી પત્નીને કોરોના થયો હતો, છતાં ડો.હિરેન અણદાણીએ પોતાની પરિવારની ચિંતા કર્યા વગર સ્મિમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓની રાત-દિવસ સેવા કરી હતી.
ડો.હિરેન આણદાણી જણાવે છે કે, ‘સ્મીમેરની કોવિડ હોસ્પિટલના આઇ.સી.યુ.વોર્ડમાં છેલ્લાં છ મહિનાથી ફરજ બજાવી રહયો છું. મારી પત્નિને અને જામનગરમાં રહેતા મારા માતા-પિતાને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. એમની સાથે વિડિયો કોલ દ્વારા વાત કરી સંતોષ માનવો પડતો. સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ પેશન્ટો પણ મારો પરિવાર છે. જેમને સ્વસ્થ કરવાનો સંકલ્પ કર્યો છે. અમને ગર્વ અને સંતોષ છે.
ડો. દિશા આણદાણી જણાવે છે કે, પતિ સાથે વિડીયો કોલ પર વાત કરી હું કહેતી કે મારી ચિંતા કરશો નહિ, કોરોના દર્દીની નિષ્ઠાપુર્વક સેવા કરજો. કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઇ કોરોના દર્દીને સેવા કરી રહી છું. આમારા બંનેનું એક જ ધ્યેય છે કે જ્યાં સુધી સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી અમે પતિ-પત્ની ફરજને પ્રાધાન્ય આપીશું. પરિવાર પણ કોરોના દર્દીને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘરના સભ્યો હિંમતથી કામ કરવા અમારો ઉત્સાહ વધારે છે.
આવા અનેક ડોકટરો, આરોગ્ય સ્ટાફ પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરી રહયા છે. ધન્ય છે..કોરોના વોરિયર્સને.