બનાસકાંઠામાં સરકારી જમીન પચાવી પાડવાનો પ્રથમ ગુનો દાખલ
પાલનપુરના ભાગળમાં સરકારી જમીનમાં બાંધકામ ભારે પડ્યું
અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૦૯ જાન્યુઆરી: રાજ્ય સરકારે તાજેતરમાં સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બહાર પાડ્યો છે. જેની અમલવારીને લઇ બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમ ગુનો દાખલ થતાં દબાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે બે ઇસમોએ સરકારી જમીન પર દબાણ કર્યુ હોવાનુ ધ્યાને આવતાં તંત્રએ તપાસ કરી હતી. જેમાં રેવન્યુ તલાટીથી માંડી નાયબ કલેક્ટર સુધી તપાસ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ધંધો કરતાં હોઇ મહિલા રેવન્યુ તલાટીએ નવા કાયદા મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ (જ) ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ સામે મોટી કાર્યવાહી થઇ છે. સરકારના તાજેતરના જમીન પચાવવા પર પ્રતિબંધના કાયદાનો પ્રથમ ગુનો નોંધી કડક અમલવારીની શરૂઆત થઇ છે. જે.પી.માર્કેટીંગ કંપનીના વહીવટદાર ઉસ્માન પટેલ અને જાવેદ પટેલે આર્થિક ફાયદા માટે સરકારી જમીન સર્વે નં-૬ માં ત્રણ ઓરડીઓ બનાવી હતી. જગ્યા પરના બાંધકામનો ઉપયોગ સાબુ અને વોશિંગ પાવડરના સંગ્રહ માટે કરતાં હતા. જેની તપાસ બાદ તંત્ર દ્રારા નોટીસ આપી જગ્યા છોડવાં કહ્યું હતુ. જોકે દબાણ દૂર નહીં થતાં રેવન્યુ તલાટી, સર્કલ, મામલતદાર અને નાયબ કલેક્ટર સહિતનાએ કાર્યવાહી કરી હતી. જેના અંતે ગુનો દાખલ કરવા હુકમ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, તંત્ર દ્રારા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ સરકારી જમીનમાં દબાણકર્તાઓએ કેટલું દબાણ કર્યુ છે તેની ડીએલઆરને જાણ કરી બીજી તરફ નવા કાયદા મુજબ ગુનો નોંધાવી દેવામાં આવ્યો છે. જીલ્લાની એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ મુજબ સેજાની ફરજમાં આવતાં રેવન્યુ તલાટી મનીષા શાહે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩, ૪ (૩), ૫ (સી) તથા આઇપીસી કલમ ૪૪૭,૩૪ મુજબ ગુનો નોંધાવ્યો છે. જેને લઇ પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…
મોદી સરકારની મોટી જાહેરાતઃ દેશભરમાં આ તારીખથી શરુ થશે કોરોનાનું વેક્સિનેશન