શું જીઓ-ફેસબુક દ્વારા ભારતમાં મોટું રોકાણ થશે ?
અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવનાર બીજા નંબરનો દેશ છે. જેની 130 કરોડની વસ્તી, વિશ્વભરના રોકાણકારોને રોકાણ માટે આકર્ષી રહી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક મંગળવારે 15 ડિસેમ્બરના રોજ ‘ફ્યુઅલ ફોર ઈન્ડિયા 2020’ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ‘ભારતના આર્થિક વિકાસને વેગ આપવા માટે ડિજિટાઇઝેશન અને નાના ઉદ્યોગોની ભૂમિકા શું હશે?’ પર વક્તવ્ય આપશે.
ફેસબુકના મુખ્ય મહેસૂલ અધિકારી ડેવિડ ફિશરે આની માહિતી આપી કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ફેસબુકે મિશો અને યુનાકેડેમી જેવી કંપનીઓમાં લઘુમતી શેર ખરીદયા છે અને ફેસબુક લાંબા સમય સુધી ભારતમાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. આ માટે, તે વ્યવસાયો માટે નવા નવા આઈડિયા આપવાનું ચાલુ રાખશે.. ડેવિડ ફિશરે જણાવ્યું કે, કંપનીએ ભારતમાં મોટું રોકાણ કર્યું છે અને કેટલાક અનોખા સોદા પણ કર્યા છે, જે વિશ્વમાં બીજા કોઈ દેશ સાથે કરવામાં આવ્યાં નથી.