જૂનાગઢના કોરોના વોરિયરનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ નિપજતા શ્રદ્ધાંજલિ અપાઈ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે આવેલા જૂનાગઢના નર્સિંગ સ્ટાફ બ્રધરે આજે સવારે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા, કોરોના ની લડાઈ લડવામાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાથી જામનગરની જી.જી હોસ્પિટલ ના તમામ નર્સિંગ સ્ટાફ એ ફૂલહાર કરી તેને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.આ સમયે મૃતકના પરિવારજનોને પણ હાજર રખાયા હતા અને ભારે દ્રશ્યો સર્જાયા હતા.
જુનાગઢ સરકારી હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ કોરિયા કે જેઓ એક સપ્તાહ પહેલા જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની સારવાર દરમિયાન કોરોના સંક્રમિત બની ગયા હતા. તેઓની તબીયત લથડતાં વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેઓને પ્લાઝમા પણ ડોનેટ કરાયું હતું.
પરંતુ આખરે કોરોના ની લડાઈમાં પોતે જીંદગીનો જંગ હારી ગયા હતા. આજે સવારે હોસ્પિટલના બિછાને તેઓનું મૃત્યુ નીપજયું હતું. કોરોના વોરિયર નું મૃત્યુ થતાં જામનગરની જી.જી હોસ્પિટલ ના તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા આજે તેમને ફૂલહાર કરી અંતિમ વિદાય આપવામાં આવી હતી. જીજી હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ તેમના મૃતદેહ પાસે એકત્ર થયો હતો અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સાથોસાથ તેમના પરિવારજનોને પણ હાજર રખાવી અંતિમ દર્શન કરાવ્યા હતા.
ત્યાર પછી તેમના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ થી આદર્શ સ્મશાનમાં લઈ જવાયો હતો અને તેઓ ની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા