જામનગરની જિલ્લા જેલ ના ૩૫૭ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા
જેલના ૭૦થી વધુ કર્મચારીઓ ના પણ રિપોર્ટ નેગેટિવ જેલમાં સેનીટાઇજેશનની પ્રક્રિયા મજબૂત હોવાથી ૧૦૦ ટકા સફળતા
બહારગામથી આવેલા જેલના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત બનીને આવ્યા હોવાથી હોમ કોરેન્ટાઈન કરી દેવાયા
રિપોર્ટ:જગત રાવલ
૨૩ ઓગસ્ટ:જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા અને પાકા કામના ૩૫૭ જેટલા કેદીઓનો જેલ અધિકારી તેમજ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ના સંયુક્ત ઉપક્રમે કોરોના રેપિડ ટેસ્ટ કરાવવા માટેની ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં જેલની અંદર રહેલા તમામ ૩૫૭ કેદીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉપરાંત જેરડા ૭૦ જેટલા કર્મચારીઓના પણ રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. જિલ્લા જેલમાં સેનીટાઇજેશન તેમજ આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ પ્રત્યે ખૂબ જ કાળજી લેવામાં આવતી હોવાથી ૧૦૦ ટકા સફળતા મળી છે, અને જેલના કોઈપણ કેદી કોરોના પોઝિટિવ થયા નથી. ઉપરાંત બહારગામથી આવેલા જેલના ત્રણ કર્મચારીઓ હાજર થાય તે પહેલા જ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ મળ્યા હોવાથી તેઓને હોમ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
જામનગરની જિલ્લા જેલ ના ઈનચાર્જ જેલ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પિ.એચ. જાડેજા અને તેમની ટીમ દ્વારા જેલની અંદર રહેલા ૩૫૭ જેટલા કેદીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેલના તમામ અધિકારીઓ અને જેલની અંદરના ફિઝિશિયન સહિતની ટીમ તેમજ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ના સંયુક્ત ઉપક્રમે ગત ૧૪ ઓગસ્ટ થી ૨૧ ઓગષ્ટ સુધીના સમયગાળા દરમિયાન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. અને જેલની અંદર રહેલા તમામ કેદીઓને કોરોના રેપિડ ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જામનગરની જિલ્લા જેલ ની અંદર રહેલા પાસાના સાત કેદી ઉપરાંત પાકા કામના ૨૭ મળી કુલ ૩૫૭ કેદીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને એક પણ કેદીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. અને કોરોના મામલે જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ટકા સફળતા સાંપડી છે. સાથોસાથ જિલ્લા જેલ ના ૭૦થી વધુ કર્મચારીઓ ના પણ ક્રમશઃ રેપિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે, અને તમામ જેલ કર્મચારીઓ ના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. જોકે આજથી ૧૦ દિવસ પહેલા બહારગામથી જેલમાં હાજર થનારા ત્રણ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને તેઓએ કોરોના સંક્રમિત મળ્યા હોવાથી હાલ ત્રણેયને હોમ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે, અને જેલમાં પ્રવેશ અપાયો નથી. જેથી જેલમાં હજુ સુધી કોરોના ની એન્ટ્રી થઈ નથી.
જામનગરની જેલ માં નવા આવનારા કેદીઓ કે જેઓનો પોલીસ તંત્ર દ્વારા ફરજિયાત પણે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવે છે, અને તેઓના નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી જ જેલમાં પ્રવેશ અપાય છે. ત્યાર પછી પણ જેલ અધિકારી શ્રી, પિ.એચ. જાડેજા દ્વારા અલગ યાર્ડમાં નવા આવનારા તમામ કેદીઓને ૧૪ દિવસ માટે કોરેન્ટાઈન કરીને રાખવામાં આવે છે. ત્યાર પછી જ તેઓને અન્ય કેદીઓ સાથે પ્રવેશ અપાય છે.
જેલની અંદર અવર-જવર માટે સેનીટાઇઝરયુક્ત ટનલ બનાવાયેલી છે, તેના અંદરથી જ કેદીઓ અથવા તો જેલ સ્ટાફ ને પ્રતિદિન પ્રવેશ અપાય છે, સાથોસાથ આરોગ્ય વિષયક તમામ ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, અને જેલમાં યોગ્ય સફાઈ થતી રહે છે. જેના કારણે જ જેલમાં કોરોના નો પ્રવેશ થયો નથી. ખાસ વરસાદની સિઝનમાં અલગથી કાળજી રાખવામાં આવે છે.
જેલમાં રહેલા કેદીઓને તેમના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત આપવામાં આવતી નથી, અને તેઓને વીડિયો કોન્ફરન્સથી જ વાતચીત કરવામાં આવી રહી છે. જેથી પણ કોરોના ની એન્ટ્રી પર બ્રેક લાગેલી છે. અને જામનગર ની જેલ કોરોના થી હજુ સુધી મુક્ત બનેલી છે.