માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી
- ૯મી ઓગષ્ટ ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’
- આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક: રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો: ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર
- ગુજરાત વન અધિનિયમ અંતર્ગત ૪૪ આદિવાસી ખેડૂતોને અધિકારપત્રો એનાયત કરાયા
- ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર પરેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં
- સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી કરાઈ
સુરત,રવિવાર: યુનો ઘોષિત ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના માંડવી ખાતે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટરશ્રી પરેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી ઈ-માધ્યમ દ્વારા ઉજવણીમાં જોડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રૂ.૧૩૬ કરોડના ખર્ચે શાળાઓ અને છાત્રાલયોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી બંધુઓને ‘વિશ્વ આદિવાસી દિન’ની શુભકામનાઓ પાઠવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સ્વયંશિસ્ત અને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉજવણી કરાઈ હતી.
માંડવી હાઈસ્કૂલમાં આયોજિત ઉજવણી સમારોહમાં મહાનુભાવો દ્વારા ગુજરાત વન અધિનિયમ અંતર્ગત ૪૪ લાભાર્થી આદિવાસી ખેડૂતોને અધિકારપત્રો અને સાત-૧૨, આઠ-અ ની નકલો એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, ટેલેન્ટ પુલ યોજનાના ૦૪ વિદ્યાર્થીઓ, કુંવરબાઈનું મામેરૂ યોજનાના ૦૫, સાતફેરા સમૂહ લગ્નના ૦૫, મકાન સહાય યોજનાના ૦૫ લાભાર્થીઓને સ્થળ પરથી જ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. સાથે પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, રમતવીરોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયાં હતાં.
આ પ્રસંગે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી માં કુલ ૯૦ લાખ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવનાર આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હરહંમેશ કાળજી લીધી છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણનું પ્રમાણ વધે અને આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે તત્કાલીન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીએ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયની સ્થાપના કરી હતી. આઝાદીની ચળવળમાં મહત્વનો ફાળો આપનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું સ્મરણ કરી તેમણે ઉપસ્થિત સૌને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરતના મદદનીશ આદિજાતિ કમિશનર કલ્પનાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી મહાનુભાવોની આવકાર્યા હતા, અને કાર્યક્રમ ઉજવણીની રૂપરેખા આપી હતી. આ વેળાએ આદિવાસી સમાજ માટે વિકાસકીય યોજનાઓ અને વિકાસગાથા રજૂ કરતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શંકરભાઈ ચૌધરી, અગ્રણી અનિલ વસાવા, દિનેશ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી ભરાડા, આદિજાતિ વિકાસ અધિકારી દિનેશભાઈ લાડ સહિત આદિવાસીબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.