સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી
સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી
……
ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય રાજ્યોની તુલનાએ વ્યાપક થતો અટકયો છે
ગાંધીનગર, ૧૭ જુલાઈ ૨૦૨૦
શ્રી વિજયભાઇ રૂપાણી :-
◆ કોરોના સામેનો જંગ જિતીને સુરત-ગુજરાત પહેલાં કરતાં સવાયુ થઇને આગળ વધશે
◆ આપત્તિને અવસરમાં પલટાવવાની ખૂમારી કોરોના સામે ગુજરાતે બનાવી છે
◆ સુરતમાં માઇક્રોપ્લાનીંગ-સઘન આરોગ્ય સર્વેલન્સ-ધનવંતરી રથ જેવા આરોગ્યલક્ષી ઉપાયોથી કોરોના સંક્રમણ નિયંત્રણ પર ફોકસ કર્યુ છે
◆ થાગડ-થીગડ ઉપાયો-માત્ર બેડ નહિં કોરોના સંક્રમિતોની સારવારની અદ્યતન સગવડ-સુવિધાઓ સાથે ડેડીકેટેડ હોસ્પિટલ ઊભી કરી છે
……..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી ૧૦૦૦ બેડની કોવિડ-19 ડેડીકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી કર્યુ હતું.
આ કોવિડ હોસ્પિટલમાં ર૧૧ ICU બેડ સાથે ૧૦૦૦ પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ તા. ૪ જુલાઇએ સુરતની કોરોના સ્થિતીની સમીક્ષા માટે લીધેલી મૂલાકાત વેળાએ તેમણે આ હોસ્પિટલ ઊભી કરવા આપેલી સૂચનાઓનો ખૂબ જ ટૂંકાગાળામાં ત્વરિત અમલ કરીને સુરત જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે સ્ટેમલેસ હોસ્પિટલ ખાતે આ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ માત્ર ૧પ જ દિવસમાં આ ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોર કાનાણીએ સુરત ખાતે આ હોસ્પિટલની તકતીનું પ્રત્યક્ષ અનાવરણ કરીને તેને ખૂલ્લી મૂકી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડના સંક્રમણને ગુજરાતમાં રાજ્ય સરકારના આરોગ્યલક્ષી આયોજનબદ્ધ પગલાંઓથી વ્યાપક પ્રમાણમાં ફેલાતો અટકાવી શકાયો છે તેમ સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-સુશ્રુષા માટે કયાંય કોઇ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં ૧૯ હજારથી વધુ પથારીની હોસ્પિટલો વેન્ટીલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં સરકારી હોસ્પિટલમાં ૧૫૦૦, ખાનગી હોસ્પિટલમાં ૮૦૦ બેડ્સ ઉપલબ્ધ હતા જેમાં આજે ૧૦૦૦ બેડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ કુલ ૩૩૦૦થી વધુ બેડ્સ સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરીને માઇક્રોપ્લાનીંગ સાથે સઘન સર્વેલન્સ, ધન્વન્તરી રથ દ્વારા સારવાર જેવા વ્યાપક આરોગ્યલક્ષી પગલાં ભર્યા છે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે કોરોના સંક્રમણ સાથે સતર્કતાપૂર્વક પ્રવૃત્તિઓ શરૂ કરવા સાથે સંક્રમિતોની સંપૂર્ણ સારવારના અભિગમથી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ઊજાગર થઇ છે તેમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોના બાદ પણ આ હોસ્પિટલનો લાભ અન્ય રોગના દર્દીઓને મળે તેવી સુવિધાસભર આ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
માત્ર બેડ-ખાટલા પાથરી દેવા એવા થાગડ-થીગડ ઉપાય એટલું નહિ પરંતુ સુરતમાં આધુનિક સારવાર સુવિધા કોરોના સંક્રમિતોને તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે તેમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ અટકાવવા સારી આદતો કેળવીને, જનજાગૃતિથી સૌ કોરોનાને હટાવશે અને હારશે કોરોના જિતશે ગુજરાતની ખૂમારી સાકાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે માત્ર ૧પ જ દિવસમાં તમામ અદ્યતન સગવડતા-સાધનો સાથેની ૧ હજાર બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની આ સિદ્ધીને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના ઇતિહાસની સ્વર્ણિમ પૃષ્ઠ રૂપી ઘટના ગણાવી હતી.
તેમણે રાજ્યના ઔદ્યોગિક અગ્રણી એવા આ સુરત મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરી છે તેની પણ છણાવટ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં સ્પેશ્યલ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાના સૂચનને આવકારીને કોરોના સંક્રમણ સામે સુરતમાં શ્રેષ્ઠત્તમ સારવાર સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યુ હતું.
આ વેળાએ સાંસદશ્રી સી.આર.પાટિલ, દર્શનાબહેન જરદૌશ, ધારાસભ્યો શ્રીમતી સંગીતાબહેન, ઝંખનાબહેન, હર્ષ સંઘવી, મેયર ડૉ. જગદિશ પટેલ સુરત માટે ખાસ નિમાયેલા વરિષ્ઠ અધિકારી શ્રી એમ. એસ. પટેલ, મ્યુનિસિપલ કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ ,સી.એમ-પીઆરઓ