Danteshwar Prisoner Welfare Fund: પેટ્રોલ સ્ટેશન ના પરિસરમાં જેલ કારખાનાના ઉત્પાદનોના વેચાણ માટે કામચલાઉ શો રૂમનો પ્રારંભ
Danteshwar Prisoner Welfare Fund: જેલોના અધિક મહાનિર્દેશકએ દંતેશ્વર પ્રિઝનર વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન ના પરિસરમાં જેલ કારખાનાના ઉત્પાદનોના વેચાણ માટે કામચલાઉ શો રૂમનો પ્રારંભ કરાવ્યો
- સી.એન.જી.પેટ્રોલ પંપના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું
અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૪ મે: Danteshwar Prisoner Welfare Fund: મોટી કંપનીઓ તેમના ઉત્પાદનોના નિદર્શન અને વેચાણ માટે શાનદાર શો રૂમ બનાવે છે.વડોદરા સેન્ટ્રલ જેલ એની હરોળમાં આવવા તરફ જાણે કે કદમ માંડી રહી છે. એ દિશાના એક પગલાં રૂપે દંતેશ્વર ઓપન જેલ પરિસરને અડીને આવેલા પ્રિઝનર વેલ્ફર ફંડ પેટ્રોલ સ્ટેશન ખાતે વડોદરા સેન્ટ્રલ જેલના વિવિધ પ્રકારના ઉદ્યોગો હેઠળ કેદી બંધુઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના શો રૂમ એટલે કે નિદર્શન સહ વેચાણ કેન્દ્રનો શુભારંભ રાજ્યની જેલો અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવે કરાવ્યો હતો.તેની સાથે જ તેમણે સી.એન.જી.ના વેચાણ માટેના પંપના નિર્માણનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે જેલ ઉદ્યોગો કેદી ભાઈઓને કૌશલ્યો પ્રદાન કરવાની સાથે રોજગારી આપે છે.આ રોજગારીની આવક તેમના કુટુંબ માટે ઉપયોગી બની રહે છે. તેમણે શહેરીજનોને જેલ ઉત્પાદનો ખરીદી જેલ ઉદ્યોગ અને તેના કામદારો જેવા કેદી ભાઈઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
સેન્ટ્રલ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે પેટ્રોલ વેચાણની સાથે નવી ટેકનોલોજીના વાહનો માટે સી.એન.જી.નું વેચાણ શરૂ કરવાનું જેલ વિભાગે આયોજન કર્યું છે.તેના ભાગ રૂપે અધિક મહાનિર્દેશકએ સી. એન. જી. પંપના નિર્માણનું ખાતમુહૂર્ત આજે કરાવ્યું છે અને આગામી 6 થી 8 મહિનામાં તે શરૂ કરવાની તજવીજ છે. તેમણે જણાવ્યું કે વડોદરા સેન્ટ્રલ જેલના રસાયણ, વણાટકામ, ફર્નિચર, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી જેવા ઉદ્યોગો વાર્ષિક અંદાજે રૂ.૪.૫ કરોડના ઉત્પાદનોનું ટર્નઓવર ધરાવે છે.
નાયબ જેલ અધિક્ષક વી.આર.પટેલે જણાવ્યું કે હાલમાં આ કામચલાઉ વેચાણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને તેના માટે પાકો શેડ બનાવવાનું આયોજન છે. અહી સાદા અને કોતરણી વાળા ફર્નિચર,વણાટ ઉદ્યોગના ટુવાલ,નેપકીન,ચાદર, હાથ રૂમાલ,શેતરંજી,રસાયણ ઉદ્યોગના વિવિધ પ્રકારના ન્હાવા,ધોવાના સાબુ,પ્રવાહી સાબુ,તૈલી સાબુ,ફિનાઇલ સહિત સાફ સફાઈ માટેના ઉત્પાદનો સહિતની કેદી બંધુઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જોઈ અને ખરીદી શકાશે. આ પ્રસંગે શ્રીમતી રાવ,જેલ અધિકારીઓ અને જેલ સ્ટાફ, કેદી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…Israel and Gaza: ઇઝરાયેલ ગાઝા સંઘર્ષ પર ઇઝરાયેલી કોન્સલ જનરલ સાથે વાર્તાલાપ યોજાયો