સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ…
- સરકારી યોજના અંતર્ગત સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ…
- સ્કુલ સ્વાસ્થય યોજનાએ તુલસીને શારિરીક પીડા તેમજ પરિવારને આર્થિક ચિંતાથી મુક્ત કર્યા…
- ચેતનભાઇ સોઢા મા કાર્ડ યોજના હેઠળ ૮ વર્ષથી અઠવાડિયે ૨ થી ૩ વખત ડાયાલિસ કરાવી રહ્યા છે
સંકલન: અમિત સિંહ ચૌહાણ
અમદાવાદ, ૦૩ ઓક્ટોબર: સરકાર દ્વારા કાર્યરત સ્કુલ સ્વાસ્થય યોજના અને મા યોજનાના કારણે અગણ્ય દર્દીઓ ડાયાલીસિસ સુવિધાનો નિશુલ્ક લાભ મેળવી રહ્યા છે .સરકારશ્રીની આવી યોજનાઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રહેતા અમૃતભાઇ શંકરભાઇ ઠાકોર પોતાની પૌત્રીની તકલીફને લઇને અત્યંત ચિંતિત રહેતા હતા. ૧૨ વર્ષીય પૌત્રી તુલસી ઠાકોર જે ઘોરણ ૮માં અભ્યાસ કરે છે તે ૪ મહિના અગાઇ કિડનીની તકલીફથી પીડાતી હતી. તુલસીનું પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તુલસીના પિતા દિનેશભાઇને પાંચ સંતાન છે તેવામાં ૧૨ વર્ષીય તુલસીની કિડનીની સારવાર માટે અત્યંત ખર્ચાળ ડાયાલિસીસ કરાવવું ખૂબ જ પડકારજનક બની રહ્યુ.એવામાં તેમને સ્કુલમાંથી સ્કુલ સ્વાસ્થય યોજના વિશે જાણ થતા તે યોજના અંતર્ગત ડાયાલિસીસ કરાવવા તેઓ અમદાવાદ સિવિલ સ્કુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવી પહોંચ્યા. આજે અમૃતભાઇ સોઢા છેલ્લા ચાર મહિનાથી નિયમિત પણે કિડની હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવી રહ્યા છે તેમણે એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નથી જે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
આવા જ અન્ય એક ૫૪ વર્ષીય દર્દી ચેતનભાઇ સોઢા કે જેઓ અમદાવાદ શહેરમાં ઇમીટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરીને રોજગારી રળે છે.તેઓને ૮ વર્ષ પહેલા કિડનીમાં એકાએક તકલીફ વધી જતા કાયમી કિડનીની ગંભીર સમસ્યા ઉભી થઇ ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવવા જતા હતા પરંતુ તે ખૂબ જ મોંધુ પડી રહ્યુ હતુ. તેવામાં ચેતનભાઇને સરકાર દ્વારા કાર્યરત મા કાર્ડ યોજના વિેશે જાણ થઇ અને મા કાર્ડ યોજના અંતર્ગત અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવવાનું શરૂ કર્યુ અને છેલ્લા આઠ વર્ષથી દર અઠવાડિયામાં જરૂરિયાત પ્રમાણે ૨ થી ૩ વખત નિયમિત ડાયાલિસીસ કરાવવા માટે આવે છે. અહીની ડાયાલિસીસ સારવાર તેમજ હોસ્પિટલમાં ઉપલ્બધ સેવાઓથી પ્રભાવિત થઇને ચેતનભાઇ કિડનીની સમસ્યાથી પીડિત દર્દીઓને અમદાવાદ કિડની હોસ્પિટલમાં જ ડાયાલિસીસ કરાવવા આવવા માટે આગ્રહ કરે છે.
શું છે ડાયાલિસીસ … ડાયાલિસીસ કરાવવાની જરૂર કેમ પડે છે ?
IKDRC(કિડની હોસ્પિટલ) નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડૉ. હિમાંશુ પટેલ કહે છે કે આજના દિવસોમાં સામાન્યપણે કિડની ફેલ્યોરના કિસ્સા ઘણા જોવા મળી રહ્યા છે જેમાં એક્યુટ અને ક્રોનિક તેમ બે પ્રકારના કિડની ફેલ થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાવ, ડાયેરિયા, ઉલ્ટીના કારણે થોડાક સમય માટે થતા કિડની ફેલ્યોરને એક્યુટ કહે છે જેમાં ડાયાલિસીસ કરીને પૂર્વવત થવાની સંભાવનાઓ રહેલી છે. જ્યારે ક્રોનિક ફેલ્યોરમાં કિડની લાંબા ગાળા અથવા આજીવન કામ કરવાનું બંધ કરી દે છે. તેવા સંજોગોમાં દર્દીને અઠવાડિયામાં બે થી ત્રણ વખત નિયમિત ડાયાલિસીસ કરાવવું પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ડાયાલિસીસના બે થી ત્રણ હજાર ખર્ચ થાય છે તેનો મતલબ કે વ્યક્તિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મહિને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા ફક્ત ડાયાલિસીસમાં ખર્ચ કરવો પડે.સરકારે આવા ગરીબ દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને વિનામૂલ્યે ડાયાલિસીસ ઉપલબ્ધ કરાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.