જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૩ જાન્યુઆરી: જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સમાજની તાલીમ પૂર્ણ કરેલ ૩૫ બહેનોને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સિલાઈ મશીન અર્પણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અગાઉ સમાજની ૬૯ બહેનોને સિલાઈ મશીન અર્પણ થયેલ છે, આમ કુલ ૧૦૪ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી ત્યારે લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું પગલું રાજપૂત સમાજે લીધું છે, આ માટે હું સમાજને બિરદાવું છું.
આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ગજુભા રાણા, સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતુભા ચુડાસમા, ગવુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટરઓ હકાભાઇ ઝાલા, અલકાબા જાડેજા, જનકબા જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા જાડેજા તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…
- વિશ્વનું સૌથી મોટું રસીકરણઃ દેશના 13 રાજ્યોમાં પહોંચી, 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ- વાંચો સંપૂર્ણ અહેવાલ
- વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન