આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા
આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ:કામરેજના વાવ ગામના ઝિંદાદિલ દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૨૯ ઓક્ટોબર: રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર ભાવનાને આત્મસાત કરીને સમાજને સ્વમાનભેર જીવવાનું શીખવી રહ્યા છે. દિવ્યાંગતાને ક્ષમતામાં પરિવર્તિત કરતાં કામરેજના વાવ ગામના સંજયભાઈ માહ્યાવંશી તેનું જ્વલંત ઉદાહરણ છે. ૩૩ વર્ષીય સંજયભાઈ માહ્યાવંશી કામરેજ પાસે આવેલા કેન્ડલવુડ કોમ્પ્લેક્ષમાં એસ.આર્ટ ફિલ્મ સ્ટુડિયો નામથી શોપ ચલાવે છે. શરીરે ૭૫ ટકા દિવ્યાંગ છે. સ્ટુડિયો ચલાવી આત્મનિર્ભર તો બન્યા સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના એડિટિંગ કામ સાથે મહિલાને રોજગારી પણ આપી રહ્યા છે.
આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ બની રહેલા સંજયભાઈ જણાવે છે કે શારીરિક ક્ષતિ માનવીની પ્રગતિમાં ક્યારેય અવરોધરૂપ બનતી નથી. પરંતુ નબળી માનસિકતા અવરોધરૂપ બને છે. દિવ્યાંગજનોને કોઈ ને કોઈ સુષુપ્ત શક્તિ સ્વરૂપે ગોડ ગિફ્ટ મળી હોય જ છે. મજબૂત મનોબળ અને ઈશ્વરે આપેલી આંતરિક શક્તિઓને ઓળખીને તેને સાચી દિશામાં વાળીને ધાર્યું પરિણામ લાવી શકાય છે.
સંજયભાઈ વધુમાં જણાવે છે કે આવડત અને કાર્યકુશળતાના બળે જાતે જ નવી કેડી કંડારીને સફળતા મેળવી શકાય છે. દિવ્યાંગો માટે રોજગારીના વિકલ્પો ઓછા હોય છે. હું લગ્નની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું એડિટિંગ કરી મહિને રૂ.૩૦ હજાર કમાઈ લઉં છું. છેલ્લા ૧૫ વર્ષથી આ કામ સાથે સંકળાયેલો છું. લગ્ન, સગાઈ, જન્મદિન જેવા શુભ પ્રસંગોનું ફોટો અને વિડીયો એડીટિંગનું કામ જુદા જુદા સ્ટુડિયોવાળા મને આપે છે. શુભ મારી પત્ની પણ દિવ્યાંગ છે. સંતાનમાં એક દિકરી છે.
દિવ્યાંગ હોવા છતાં સમાજને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના ધરાવે છે. ઈશ્વરે જે કઈ પણ આપ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવો એ આપણી માનવીય ફરજ છે એમ જણાવતા તેઓ ઉમેરે છે કે, માતા અને પિતા હયાત ન હોય એવી દિકરીઓના લગ્નની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું એડિટિંગ તેમજ લગ્નનો આલ્બમ, ડી.વી.ડી., પેનડ્રાઈવ વિનામૂલ્યે કરી આપું છું. તેમણે માત્ર ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરનું મહેનતાણું આપવાનું રહેશે. આવી દિકરીઓ કે તેમના પરિવાર મારો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો: વીજ ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો