જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો ગાય આધારિત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે: ખેડૂત ધર્મેશ પટેલ
ખેતર એક પાક અનેક: સંપૂર્ણ ગાય આધારિત ખેતીના ભેખધારી ધર્મેશ પટેલ એક જ ખેતરમાં કેળની સાથે કઠોળ અને શાકભાજી તથા બટાકા ની સાથે ચણાનો પાક લઈ રહ્યાં છે…તેમણે પ્રથમવાર ગાય આધારિત ખેતીમાં બટાકાના વાવેતર નો પ્રયોગ કર્યો છે…
જમીનનો કસ સાચવવો હોય અને જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો ગાય આધારિત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે
વડોદરા, ૧૫ ડિસેમ્બર: સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશ પટેલે લગભગ સન 2017 થી સુભાષ પાલેકરની પદ્ધતિ પ્રમાણે ગાય આધારિત ખેતીના માર્ગે વળ્યા છે.તેઓ માને છે કે જમીન નો કસ સાચવવો હોય અને જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો રાસાયણિક ખાતર અને જંતનાશકો નો ઉપયોગ ક્રમશ: ઘટાડતા જઈ ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ કુદરતી કીટ નાશક જેવી વનસ્પતિઓ નું સંયોજન કરી શક્ય તેટલી સાત્વિક ખેતી કરવી જોઈએ.તેઓ ખૂબ સૂચક રીતે કહે છે કે ગાય અને ખેતી એક સિક્કાની બે બાજુ જેવા છે. ગાય ખેતીને પોષણ આપે છે અને ખેતીમાં થી મળતો ઘાસચારો અને ખાણ દાણ ગાયની જીવાદોરી બની રહે છે સરવાળે તેનો લાભ ખેડૂતને મળે છે.
ધર્મેશભાઈ એ વિટામિન સી થી ભરપુર પોમેલો ફળ ના ઝાડ ઉછેર્યા છે.તેઓ એ 2017માં ગાય આધારિત કેળનું સવા બે વિંઘામાં,1600 જેટલાં છોડનું વાવેતર કર્યું હતું.ફક્ત ગાયના ગોબર ,ગૌમુત્ર અને ગોળ જેવી સામગ્રી નો ઉપયોગ કરીને બનાવેલા ઘન જીવામૃત અને પ્રવાહી જીવામૃત ના વિનિયોગ થી કરેલી કેળ માં પાકનો એક ઉતારો લીધાં પછી હાલમાં કેળા માટે ઓફ સીઝન ગણાય તેવી મોસમમાં બીજો ઉતારો જેને તેઓ ખેતરાઉ ભાષામાં રટુન કહે છે,તેનો લાભ લઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે ગાય આધારિત ખેતીના કેળા કુદરતી મીઠાશ ધરાવે છે અને એક થી વધુ વખત કેળ નું ઉત્પાદન મળવાની સાથે ઉતારો અને ગુણવત્તા અકબંધ રહે છે.તેના થી વિપરીત રાસાયણિક ખાતર થી કરેલી કેળમાં જમીન સખત બનતી જવાને લીધે ઉતારો અને ગુણવત્તા ઘટતી જાય છે.તેઓ તો એટલે સુધી દાવો કરે છે કે ગાય આધારિત કેળની ખેતીમાં ખેડૂત ધારે તો એક વખતના વાવેતર થી સો વર્ષ સુધી ઉતારો મેળવી શકે..!!
ગાય આધારિત ખેતીમાં એક નવા પ્રયોગ રૂપે તેમને કેળની હાર વચ્ચે ફાજલ રહેતા જમીનના પટ્ટામાં ચોળા,કોબીજ,ફૂલેવાર,રીંગણ, મરચાં અને દેશી ટામેટી નું વાવેતર કરી,ખેતર એક પાક અનેક જેવો પ્રયોગ કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રથમવાર ગાય આધારિત ખેતી હેઠળ બટાકાનું અને સહપાક તરીકે ચણાનું વાવેતર કર્યું છે.તેઓ એ બીજામૃત બનાવ્યું છે અને વાવેતર પહેલા બિયારણ ને તેનો પટ આપીને વાવેતર કરે છે જેથી છોડની મજબૂતી વધે છે.તેને તેઓ બીજ સંસ્કાર કહે છે.
તેઓ કહે છે કે ખેડૂતે હંમેશા પ્રયોગશીલ રહેવું જોઈએ.જેના થી ઓછી જમીનમાં વધુ અને વિવિધતાસભર ખેતી થાય અને સ્વાભાવિક રીતે આવક પણ વધે. કેળ લાંબાગાળા નો પાક છે ત્યારે તેની સાથે કgની ખેતી મોસમી આવકનો સ્ત્રોત બની શકે છે. માનવ આરોગ્ય માટે અને જમીનની તંદુરસ્તી માટે ગાય આધારિત શુદ્ધ ખેતી ઉત્તમ છે તેવું મંતવ્ય વ્યક્ત કરતાં ધર્મેશભાઈ જણાવે છે કે ,આ ખેતી થી જમીન પોચી બને છે,તેમાં અળસિયા જેવા ઉપયોગી જીવોની સંખ્યા વધે છે,ખર્ચ પ્રમાણમાં ઘટે છે.સરવાળે આ ખેતી ખેડૂત માટે,જમીન માટે અને માનવ આરોગ્ય માટે વધુ લાભદાયક છે.તેઓ ગુજરાત સરકારની ગૌ પાલન પ્રોત્સાહિત કરતી યોજનાઓને આવકારે છે.તેમની સાથે વાંકાનેર વિસ્તારના તેમના મિત્રો પણ આ પ્રયોગમાં જોડાયાં છે.
ધર્મ ગ્રંથો માં કહ્યું છે કે ગાય માતામાં દેવતાઓનો વાસ છે.કદાચ ગાય ના દૂધમાં આરોગ્ય અને ગૌ મૂત્ર અને ગોબરમાં જમીન અને ખેતી સુધારવાના જે અદભૂત ગુણો છે ,તેના સંદર્ભમાં જ આ વાત કહેવાઈ હશે.