દર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂં પાડવા રાતના ૧૨ વાગ્યા સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ
- સમરસકોવીડ કેરમાં કોરોનાદર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂંપાડવા રાતના ૧૨ વાગ્યા સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ
- કોરોના મુક્ત દર્દીઓનો એક જ સુર : સારવાર લેવી તો રાજકોટ સિવિલ અને સમરસ કોવીડ કેર સેન્ટરમાં
- સમરસ કોવીડ કેરમાં ઘર જેવી જ અનુભૂતિ કરતાં ગીતાબેન વ્યાસ :મારું એટલું ધ્યાન રાખ્યું છે કે હવે મને ઘરે નથી ગમતું
અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ
રાજકોટ,૨૬ઓક્ટોબર:સમરસ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાને રાખીને આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ એકજુટ બનીને કામગીરી કરી રહ્યા છે. કોરોનાની સારવાર સાથે દર્દીઓને આરોગ્યલક્ષી કોઈ અન્ય તકલીફ હોય તો એનું નિદાન કરી દર્દીઓના હમદર્દ બનીને આરોગ્ય કર્મીઓ પારિવારીક હુંફ આપી રહ્યા છે.
વાત છે ૪૯ વર્ષીય ગીતાબેન વ્યાસની. શારીરિક નબળાઈને કારણે પડી જવાથી ગીતાબેનના ગોઠણમાં દુખાવો શરૂ થયો હતો. સરખી રીતે ચાલી ન શકવાને કારણે ગીતાબેન ડોકટરને બતાવવા ગયા હતા. આરોગ્યની તપાસ કરતાં ખબર પડી કે તેઓ કોરોના પોઝીટીવ છે. પરિવારનો કોઈપણ સભ્ય સંક્રમિત ન થાય તે માટે ગીતાબેન સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા. સમરસ કોવીડ કેર સેન્ટરને ઘર જેવું કહીને ત્યાં મળેલી સારવાર અંગે વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે,
“આજે હું સ્વસ્થ થઈને ફરી બેઠી થઈ છું તો ત્યાંના આરોગ્ય કર્મીઓને કારણે. કોરોનાની સારવાર તો મળી પરંતુ સાથો સાથ મારા ગોઠણના દુખાવાનું નિદાન કરીને આરોગ્ય કર્મીઓએ મને ફરીથી ચાલતી કરી દીધી છે.”
હદયમાં અંકિત થયેલા અન્ય અનુભવો વિશે ગીતાબેનએ વધુમાં જણાવતા કહ્યું હતું કે,” આરોગ્ય કર્મીઓની સાથે સફાઈ કર્મીઓ પણ દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. મેં નજરે જોયું છે કે રાતના ૧૨ વાગ્યા સુધી સફાઈ કર્મીઓ સફાઈનું કામ કરે છે. ત્યાંના એટેન્ડન્ટસ પણ વડીલોનું ખુબ સારું ધ્યાન રાખી રહ્યા છે. એક ફોન કરો તેની બીજી મીનિટે સ્ટાફ અમારી સેવામાં હાજર. જમવાની વ્યવસ્થા પણ એટલી જ ઉત્તમ છે. ૪ વાર આરોગ્યની ચકાસણી કરવા આવતા. ત્યાં મારું એટલું ધ્યાન રાખ્યું કે હવે મને ઘરે નથી ગમતું.”
આમ ગીતાબેનની જેમ અનેક લોકો આરોગ્ય કર્મીઓની સંવેદનાસભર સારવારનો અનુભવ લઈને સુખરૂપે પોતાના ઘરે પરત ફર્યા છે.