સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી
સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક
સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી
કવાયત સાથે ગરબાના સમન્વય થી માં ની ભક્તિની ઊર્જા અને ચેતનાનો સંચાર કરવા આ પ્રયોગ કર્યો
વડોદરા, ૨૦ ઓક્ટોબર: સયાજીના કોવિડ વોર્ડના દર્દીઓને તાજગી અને સ્ફૂર્તિ આપવા તેમજ શ્વસન ક્રિયાઓના નિયમનથી ઓકસીજન લેવલને સ્થિર રાખવા ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા નિયમિત કસરતો અને યોગ કરાવવામાં આવે છે.તેની સાથે હાસ્ય અને સંગીત ચિકિત્સા પણ જોડવામાં આવી છે.આ પ્રયોગોનો આશય દર્દીઓને પ્રફુલ્લિત રાખી,એમની માનસિકતામાં સકારાત્મકતા કેળવી સાજા થવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે.
માતૃ શક્તિની આરાધના ના પર્વ નવરાત્રી અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલા ગરબાને જોડી આજે સવારની એક્સરસાઇઝને એક નવો આયામ આપવામાં આવ્યો હતો.આજે કોવિડ વોર્ડમાં ગરબાના મોડમાં કવાયતો કરાવવામાં આવી હતી જેના પરિણામે સારવાર હેઠળના દર્દીઓને કસરતના લાભની સાથે માં ના ભક્તિ પર્વ નવરાત્રીનો આનંદ માણવા મળ્યો હતો.દર્દીઓ એ હરખભેર તેમાં જોડાઈને આ પ્રયોગને વધાવ્યો હતો. એપી અને નોડલ ઓફિસર , ફિઝીયોથેરાપી ડો.ચેતના સેજુ એ કોવિડ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી.સાથે સંકલન કરી આયોજિત કરેલી આ અનોખી નવરાત્રીથી કોવિડ વોર્ડમાં પર્વના ઉત્સાહનું નવું વાતાવરણ સર્જાયું હતું.
શરીર એકદમ રિલેક્ષ એટલે કે હળવું થઈ ગયું એવી લાગણી વ્યક્ત કરતાં સારવાર હેઠળના દર્દી પુરાણી સંજયભાઈ એ ખુશખુશાલ ચહેરે જણાવ્યું કે કસરત સાથે ગરબા કરવાની ઘણી મઝા આવી.જાણે કોઈ રોગ થયો જ નથી એવી હળવાશ અનુભવાઈ રહી છે. નવરાત્રી અંગેના સરકારના નિયમોનું પાલન થવું જોઈએ અને તેની સાથે અહી સારવાર લઈ રહ્યાં છે એવા દર્દીઓને માતૃ આરાધના પર્વ નવરાત્રિનો દિવ્ય આનંદ મળવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરતા ડો.ચેતના એ જણાવ્યું છે કે કવાયત અને ગરબાના આ સમનવિત પ્રયોગ દરમિયાન દર્દીઓના ઓકસીજન લેવલ અને શારીરિક સ્થિતિ ની પૂરતી તકેદારી લેવામાં આવી.આ પ્રયોગ દર્દીઓના આનંદ નું લેવલ વધારનારો બની રહ્યાં નો મારી ટીમને આનંદ છે.
આ પ્રયોગના આયોજનમાં ડો.વૈશાલી મિસ્ત્રી, ડો. હેત્વી ભાવસાર અને ડો.ખુશ્બુ પરમાર નો સહયોગ મળ્યો હતો.વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ તમામ ગાઈડ લાઇન પાળી દર્દીઓને નવરાત્રી પર્વની આનંદ અનુભૂતિ કરાવતા આયોજન માટે ટીમને અભિનંદન આપ્યા હતાં.
ડો.બેલીમ એ જણાવ્યું કે કોરોના માં ફેફસાં અને હૃદયને અસર થાય છે અને લોહી ઘટ્ટ થાય છે.ત્યારે ગરબા લોહીના પરિભ્રમણને નિયમિત કરવાની સાથે હૃદય ના રિધમ ને નોર્મલ કરે છે. તેનાથી ફેફસાને પણ કસરત મળે છે.
સલાહકાર ડો.મીનુ પટેલ પણ આ પ્રયોગને પ્રોત્સાહક ગણાવે છે.
નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે. ગરબો એ લોક નૃત્ય છે જેમાં લય,તાલ અને અંગ ભંગીમાઓનો સમન્વય થયો છે.ગરબા દ્વારા શરીરમાં દેવીની ચેતનાનો આવિર્ભાવ,સંચાર થાય છે. કોવિડ જેવી મહામારી સામેની લડતમાં ગરબાને જોડી જન દર્દીઓને સ્વાસ્થ્ય લાભ સાથે ભક્તિની અનુભૂતિ કરાવવાનો આ પ્રયોગ સાચે જ અનોખો ગણાય.