નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૨૫ નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ માટે સંજીવની જેવી અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે
નર્સિંગ સહાયક તરીકે જોડાયાં પછી હું પણ કોરોના વોરિયર છું એવું ગૌરવ લઈ શકું છું: હેતવી પટેલ
વડોદરા, ૦૯ ઓક્ટોબર: વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગમાં લગભગ છેલ્લા ૧૫ દિવસથી ૧૨૫ જેટલા યુવા છોકરા છોકરીઓ નર્સિંગ સહાયક તરીકે દર્દીઓની વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર સેવાઓ કરી રહ્યાં છે.આ લોકો વડોદરાની આસપાસની ખાનગી અને સરકારી કોલેજોમાં અંતિમ વર્ષ એટલે કે બી.એસ.સી.નર્સિંગ તેમજ જી એન.એમ નર્સિંગ નું સ્નાતકીય શિક્ષણ પૂરું કરી હાલમાં અનિવાર્ય ઇન્ટર્નનશીપ ના ભાગરૂપે કોવિડ કટોકટીના આ સમયગાળામાં ખૂબ ઉપયોગી સેવાઓ આપી રહ્યાં છે.તેમની સેવાઓ અને કાળજી સારવાર હેઠળના દર્દીઓ માટે જાણે કે આરોગ્ય સંજીવની સમાન અને ખૂબ ભારણ વચ્ચે કાર્યરત હાલના નર્સિંગ સ્ટાફ માટે રાહત રૂપ બની રહી છે.
શરૂઆતના સમયમાં દર્દીઓનો ધસારો ઘણો હતો,આ નવા રોગ અંગે ખૂબ ઓછી જાણકારી હોવાથી દર્દીઓ માનસિક ભય અને મુંઝવણ અનુભવતા અને તેના પરિણામે પ્રવર્તમાન નર્સિંગ સ્ટાફ પર ભારણ ખૂબ વધ્યું હતું તેનો ઉલ્લેખ કરતાં સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.. બેલીમે ઓ.બી એ જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફ વધારવાની જરૂર ને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કાયદાની જોગવાઇઓ અનુસરીને નર્સિંગ માનવ સંપદાની ઉપલબ્ધિ વધારવા અંતિમ વર્ષ તેમજ ઈન્ટરસીપના નર્સિંગના વિદ્યાર્થીઓને ઇન્ટરનશિપના ભાગરૂપે નર્સિંગ સહાયક તરીકે નીમવાનો નિર્ણય લીધો તે ઉપયોગી પુરવાર થયો છે.
આજે સરકારી સહિતની વિવિધ નર્સિંગ કોલેજૉના ૧૨૫ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થતાં નર્સિંગ સેવાઓ નો વ્યાપ વધ્યો છે,આ લોકોને ખૂબ ઉપયોગી કાર્ય અનુભવ મળી રહ્યો છે જે તેમની નર્સિંગ ના ક્ષેત્રમાં ભાવિ કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની રહેશે. નર્સિંગમાં હવે અનુસ્નાતક અને પી.એચ. ડી.સુધી અભ્યાસ થઈ શકે છે.ભવિષ્યમાં આ પૈકી નો કોઈ સહાયક વિદ્યાર્થી કે વિદ્યાર્થિની કોવિડ દર્દીઓનું નર્સિંગ મેનેજમેન્ટ જેવા વિષય પર પી.એચ. ડી.કરે એ મને શક્ય જણાય છે.
આ લોકોને રૂ.૧૦ હજારના માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત હોસ્ટેલમાં વિનામૂલ્યે રહેવા,અલ્પાહાર અને ભોજનની અને વોર્ડમાં ફરજ દરમિયાન ભોજનની તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.તેમને સંક્રમણ સામે સુરક્ષિત રાખવા માસ્ક,હેન્ડ ગલોવ્ઝ,પી.પી.ઇ.કીટ, સેનેટાઈઝર,હેડ કવર જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.આ રોગનો ભય સમાજમાં બધાં જ અનુભવી રહ્યાં છે ત્યારે કારકિર્દીના પ્રથમ પગથિયે આ લોકો જે હિમ્મત અને કર્તવ્ય પાલનની ભાવના સાથે ફરજ બજાવી રહ્યાં છે એ સહુની સલામી ને પાત્ર છે. ડો.વિનોદ રાવનું આ પગલું સારવારની સરળતા અને અસરકારકતા વધારનારું પુરવાર થઈ રહ્યું છે.
નર્સિંગ કોલેજમાંથી સીધા કોરોના વોર્ડમાં જોડાયેલા નર્સિંગ સહાયક વૈશાલી ત્રિવેદી અને હેતવી પટેલ જણાવે છે કે આ મહામારી આરોગ્યના ઇતિહાસનો એક અસાધારણ પડકાર છે ત્યારે તેના રોગીઓને મદદરૂપ કેવી રીતે બની શકીએ એ વિચાર મનમાં થતો.નર્સિંગ સહાયક તરીકે જોડાઈને હું આજે ,હું પણ કોરોના યોધ્ધાનું દિલને શુકુન આપનારું ગૌરવ લઇ શકું છું.અહી બેઝિક થી લઈને આઇસીયુ સુધીની તમામ અદ્યતન સારવાર સેવાઓનો ખૂબ જ ઉપયોગી કાર્ય અનુભવ મળી રહ્યો છે જે અમારી ભાવિ કારકિર્દી ઘડવામાં ઉપયોગી બની રહેશે.
કોવિડ વિભાગમાં દર્દીઓ સાથે તેમના કોઈ સ્વજન રહી શકતાં નથી ત્યારે એમને તબીબી ઉપરાંત તેમના સ્વજન જેવી કાળજી લેવાનો મોકો આ નર્સિંગ સહાયકની સેવાથી મળ્યો એ ખૂબ આત્મ સંતોષ આપનારો છે એવી લાગણી વ્યક્ત કરતાં હેતવી પટેલ અને સેજલ વિસ્લોત એ જણાવ્યું કે અહી અમે એકલવાયા દર્દીઓને સાયકોલોજીકલ સપોર્ટ એટલે કે આત્મીય સધિયારો આપી શકીએ છે જેથી દર્દીનું મનોબળ વધતા , સારા થઈ જઈશું નો વિશ્વાસ વધે છે. અહી અમને નિયમિત સ્ટાફની માફક જ દર્દીઓને દવા,ગોળો,ઇન્જેક્શન આપવા, ડાયાબિટીસ, બીપી ચેક કરવું જેવી અદ્યતન સારવારને લગતી કામગીરીનો સમૃદ્ધ અનુભવ મળ્યો છે.દર્દીઓ માટે મ્યુઝિક થેરાપી,કસરતો અને રમતો શરૂ કરવામાં આવી છે જે તેમનું મનોબળ વધારે છે.અનુભવી તબીબો અને સ્ટાફનું માર્ગદર્શન અમારી જાણકારીને સમૃદ્ધ કરે છે.
જાનકી શાહ છેલ્લા ૧૫ વર્ષથી સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ છે અને હાલમાં છેલ્લા ૬ મહિના થી કોવિડ વિભાગમાં સેવા આપી રહ્યાં છે.તેમને નર્સિંગ સહાયકો નું આગમન કામના ભારણને વહેંચી લેનારું અને ખૂબ રાહત રૂપ લાગી રહ્યું છે.તેમના મતે હવે દર્દી સંખ્યા સામે નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધિ વધતાં,દરેક દર્દીની વધુ સારી કાળજી લઈ શકાય છે જેના લીધે રિકવરી રેટ સુધરી રહ્યો છે. ડો.વિનોદ રાવ સાહેબે આ ખૂબ ઉમદા,માનવીય વ્યવસ્થા કરી છે એવું તેમને લાગે છે.
કોવિડ એ સાવ અજાણ્યો,અસાધારણ આરોગ્ય પડકાર છે.રાજ્ય સરકાર પોતાના શક્ય તેટલા સાધનો સ્ત્રોતો અને માનવ સંપદા નો વિનિયોગ કરી,આ રોગને લડત આપી રહી છે.ત્યારે નર્સિંગ સહાયકો ની આ સેવા ખૂબ મૂલ્યવાન અને બિરદાવલી ને પાત્ર લાગી રહી છે.