અમુક દર્દીઓ અહીંના ડોકટર્સ અને નર્સ સાથે કારણ વગરની બાબતે ખૂબ માથાકુટ કરતા હોય છે: રેશમાબેન દર્દી
સારવારમાં સહકાર ન આપતા દર્દીઓ સાથે પણ હસીને સમભાવપૂર્વક વર્તતા સિવિલના ડોકટર્સ ઇબાદતના અધિકારી છે. – નહેરૂનગર નિવાસી રેશમાબેન મલેક
રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: ‘‘અહીં બધી ટ્રીટમેન્ટ મફત મળતી હોય છે, એટલે ઘણાં દર્દીઓ ડોકટર્સને કોરોનાની સારવારમાં સહકાર આપતા નથી, ઉલ્ટાનું તેમની સાથે જેમ-તેમ બોલીને તેમનું અપમાન કરે છે, તો પણ અહીંના ડોકટરો અને નર્સ બહેનો તેમનું બોલેલું નજરઅંદાજ કરીને સમભાવપૂર્વક તેમની સેવા કરે છે. મારા મતે તો આ તમામ ડોકટર્સ ઇબાદતના અધિકારી છે’’, એમ રેશમાબેન મલેકે કહયું હતું.
રાજકોટના નહેરૂનગરના રહેવાસી રેશમાબેને દર્દીઓની ગેરવર્તણૂક બાબતે રોષ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, અહીં સાવ મફતમાં મળતી સારવાર પ્રત્યે સરકારનો આભાર માનવાને બદલે અમુક દર્દીઓ અહીંના ડોકટર્સ અને નર્સ સાથે કારણ વગરની બાબતે ખૂબ માથાકુટ કરતા હોય છે. કોઇકને ચટાકેદાર જમવું હોય છે, કોઇને બહાર ફરવા જવું હોય છે, તો કોઇને વળી તેમનાં સગાંને મળવા હોસ્પિટલમાં બોલાવવા હોય છે.
સામાન્ય માણસ પણ અકળાઇ જાય તેવી અહીંના કોરોનાના દર્દીઓની માંગણીઓ હોય છે. મને પોતાને એમ થાય કે, જો આ ડોકટરની જગ્યાએ હું હોઉં તો મારે તો આવા દર્દી સાથે રોજ ઝઘડા થતા હોય. એને બદલે અહીંના ડોકટર્સ આવા દર્દીઓને ખૂબ શાંતિથી સમજાવે છે, અને તેમને અહીંના નિયમોથી વાકેફ કરીને શાંતિપૂર્વક સારવાર લેવાનો આગ્રહ રાખે છે. ખરેખર જ, તેઓ માનવતાના સાચા પુજારી છે.