PP kit image

PPE kit: કોરોના કાળમાં જે નવા શબ્દો લોકોની જાણમાં આવ્યા એમાં પી.પી.ઈ.કીટ મોખરે

PPE kit: કોરોના મહામારીમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ માટે સુરક્ષા કવચ કે બખ્તર બની રહી પી.પી.ઈ.કીટ્સ

અહેવાલ : સુરેશ મિશ્રા

અમદાવાદ, ૨૭ જૂન: PPE kit: કોરોના કાળમાં માસ્ક, સેનીટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ, કવોરન્ટાઈન જેવા અનેક નવા શબ્દો, જે આમ તો શબ્દકોશમાં હતાં જ, પરંતુ બહુધા પ્રથમ વખત આમ આદમીના વપરાશમાં પ્રચલિત થયાં જેમાં પી.પી.ઈ.કીટ (PPE kit) એટલે કે પર્સનલ કે પ્રોફેશનલ પ્રોટેક્ટીવ ઈકવિપમેન્ટ કદાચ મોખરાનો શબ્દ બની રહ્યો. જો કે આ પી.પી.ઇ.કીટ આમ તો તબીબી ક્ષેત્રે વિવિધ શસ્ત્રક્રિયા, એઇડ્સ જેવા ચેપથી પીડિત વ્યક્તિઓની સર્જરી ઈત્યાદિમાં ઉપયોગમાં લેવાતી રહી છે.

ઔધોગિક ક્ષેત્રમાં પણ જુદા પ્રકારના અંગરક્ષક વસ્ત્રો ઉપયોગમાં લેવાતાં રહ્યાં છે. અગ્નિ શમનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ છે. અને સદીઓ પહેલા વીર મહારાણા પ્રતાપ જેવા નરરત્નો ઢાલ, શિરસ્ત્રાણ અને બખ્તર જેવા ખૂબ વજની અંગરક્ષક વસ્ત્રો યુદ્ધ સમયે પહેરતાં જે આજે સંગ્રહાલયમાં સચવાયા છે.

સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે એક અંદાજ પ્રમાણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કુલ મળીને બે લાખથી વધુ પી.પી.ઇ.કીટ (PPE kit) મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલ અને સંલગ્ન વિસ્તરણ સુવિધાઓમાં, આ રોગની અતિ ચેપી પ્રકૃતિને ધ્યાનમાં લઈને તબીબોથી લઈને વર્ગ- ૪ ના કર્મચારીઓની આરોગ્ય રક્ષા માટે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને ઉપયોગમાં લેવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પ્રત્યેક સમયે પૂરતા જથ્થામાં તે ઉપલબ્ધ કરાવી છે.હાલમાં પણ જરૂર પ્રમાણે અને આવશ્યક હોય ત્યાં બધે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ખાસ ફરજ પરના અધિકારી, કલેકટર, મ્યુનિસીપલ કમિશનર જેવા ઉચ્ચાધિકારીઓએ પણ જરૂર પડી ત્યારે આ કીટ પહેરીને જ કોરોના વોર્ડના રેડ ઝોનમાં પ્રવેશ કર્યો છે. ફરજના ૮ થી ૧૦ કલાક સુધી આ કીટ પહેરી રાખવીએ, ખાસ કરીને બળબળતા ઉનાળામાં ખૂબ વિકટ પડકાર ગણાય. આ કીટ પહેર્યા પછી ઉતારો નહિ ત્યાં સુધી પાણી કે ભોજન ન લઈ શકાય, અસહ્ય અકળામણ અનુભવાય, તેમ છતાં, આ બધાં કષ્ટો વેઠીને જેમણે આરોગ્ય સેવા કરી છે એમના તપને લાખો સલામો પણ ઓછી પડે. ડો.બેલીમ કહે છે કે કીટ (PPE kit) પહેરીને સૈનિક કે યોદ્ધા જેવી અનુભૂતિ થાય છે.

કોરોના વિભાગ ઉપરાંત ટેસ્ટ કરનારા કર્મચારીઓ માટે તેનો ઉપયોગ અનિવાર્ય હતો.તે જ રીતે મરણ પામેલા દર્દીઓના શરીરને અંતિમ સંસ્કાર માટે તૈયાર કરનારા કર્મચારીઓ, વાહન ચાલકો અને દર્દીના સાથે રહેનારા સ્વજનો માટે તેનો ઉપયોગ નિતાંત જરૂરી હતો. અરે! કોરોના થી મરણના કિસ્સામાં મૃતદેહને પણ જાણે કે કફન તરીકે ખાસ કીટના આવરણ હેઠળ રાખવો પડતો જે કદાચ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે અને આ રોગની અતિ કષ્ટદાયક વિકરાળતા દર્શાવે છે.

Whatsapp Join Banner Guj

કોરોના મેનેજમેન્ટ માં પી.પી.ઇ.કીટ અનિવાર્ય ઉપયોગીતા વાળું સાધન પુરવાર થયું એવી લાગણી વ્યક્ત કરતાં ડો.બેલીમ વધુમાં જણાવે છે કે, તા.૧૬ મી માર્ચ ૨૦૨૦ ના રોજ સયાજી હોસ્પીટલમાં કોવિડના પહેલા શંકાસ્પદ દર્દી (જે પરીક્ષણોમાં કોવિડ પોઝિટિવ જાહેર થયાં) ના આગમનથી તેનો ઉપયોગ શરૂ થયો. આ કીટના એક પેકેજમાં માથાના વાળથી પગના તળિયા સુધીના શરીરના અંગોને આવરણ હેઠળ રાખવા ગાઉન, શુ કવર, હાથ મોજાં, હેડ કવર, એન ૯૫ માસ્ક, ફેસ શિલ્ડ, ગોગલ્સ અને ઘણીવાર સેનીટાઈજર નો સમાવેશ થાય છે. કોરોનાની ખૂબ ચેપી પ્રકૃતિને ધ્યાનમાં લેતા તેના માટેની કીટ થોડી વધુ જાડાઈની, ક્વોલિટીની રીતે ખૂબ વધુ જી.એસ.એમ.વાળી બનાવવામાં આવી અને ક્યાંક લેમીનેટેડ કીટ નો પણ ઉપયોગ થયો.

આ કીટને પહેરવી અને ઉતારવી, એ પણ ખૂબ ચોકસાઈ માંગી લેતી પ્રક્રિયા છે. કોરોના વિભાગમાં આવતા તબીબ કે કર્મચારી કે અન્ય પ્રવેશને પાત્ર કોઈપણ વ્યક્તિ માટે, ગ્રીન ઝોનમાં બનાવવામાં આવેલા ડોનિંગ એરિયામાં સમુચિત રીતે તે પહેરીને જ રેડ ઝોનમાં પ્રવેશનો ચુસ્ત નિયમ છે. તે જ રીતે, ફરજ પૂરી થયાં પછી રેડ ઝોનમાં જ અલાયદા ડોફિંગ એરિયામાં તે સલામત રીતે ઉતારીને પછી જ બહાર આવી શકાય એવો નિયમ છે.

સામાન્ય રીતે આ એરિયામાંથી સીધા જ કોરોના વિભાગની બહાર નીકળી શકાય અને ફરીથી કોરોના વિસ્તારમાં પ્રવેશવું ના પડે એવી તકેદારી રૂપ વ્યવસ્થા રાખવામાં આવી છે. શરૂઆતના સમયમાં તો ફરજ પરના કર્મચારીઓ ને કીટ પહેરવા છતાં ફરજ પછી કવોરેંટાઈનમાં રાખવાની તકેદારી પણ લેવામાં આવી હતી. ઉતારવામાં આવેલી કિટને સંક્રામક જોખમી કચરો ગણીને સલામત નિકાલનો ઘણો મોટો પડકાર પણ પાર પાડવામાં આવ્યો છે.

ડો.બેલીમના જણાવ્યા પ્રમાણે પહેલી લહેરમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ૨૦૨૦ ના પિક દરમિયાન સયાજીમાં દૈનિક ૫૦૦ થી ૫૫૦ કીટ અને બીજી લહેરમાં વધુ ઉગ્ર એપ્રીલ અને મે ૨૦૨૧ ની પીકમાં દૈનિક ૮૦૦ થી ૮૫૦ પી.પી.ઇ.કીટ ઉપયોગમાં લેવામાં આવી. કોવિડની ખૂબ કપરી બીમારીમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓને ચેપથી બચાવવામાં આ કિટે લક્ષ્મણ રેખા જેવું કામ કર્યું છે.તો આ કીટ પહેરીને ૮ થી ૧૦ કલાક ખાધા પીધા વગર અને પરસેવે રેબઝેબ થઈને જેમને ફરજ બજાવી છે એ તમામ કર્મયોગીઓ જીવન રક્ષક યોદ્ધાઓના સન્માનને યોગ્ય છે.

આ પણ વાંચો… birds: ચોમાસા ના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો – જંગલ પસંદ કરે છે