વડોદરા જિલ્લામાં એક લાખ પશુઓને ટેગ લગાવવામાં આવી
- રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વડોદરા જિલ્લામાં એક લાખ પશુઓને ટેગ લગાવવામાં આવી
- ગાય અને ભેંસ વર્ગના અંદાજે ચાર લાખ જેટલા પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ બની રહેનારી ટેગ લગાવવાનું આયોજન
વડોદરા, ૧૦ જાન્યુઆરી: એક તરફ પશુપાલન ખાતું બર્ડ ફ્લૂ સામે તકેદારી રાખી રહ્યું છે.તેની સાથે ભારત સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થ કાર્ડ બની રહેનારી ટેગ લગાવવાની કામગીરી ચાલી રહી છે.
આ કાર્યકમ હેઠળ ૨૦૧૯ ના નવેમ્બર મહિનાથી પશુઓના કાનના ભાગે ટેગ લગાવવાની કામ ગીરી ટીમો બનાવીને કરવામાં આવી રહી છે એવી જાણકારી આપતાં વડોદરા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ ટેગીંગને પાત્ર ગાય અને ભેંસ વર્ગોના અંદાજે ચાર લાખ પશુ હોવાનો અંદાજ છે જે પૈકી અત્યાર સુધીમાં એક લાખ થી વધુ પશુઓનું ટેગીંગ થઈ ગયું છે.
આ અભિયાન હેઠળ ભારત સરકારના inaph.ઇનાફ પોર્ટલમા સંબંધિત પશુના માલિક થી લઈને તેમને આપવામાં આવેલી વિવિધ પ્રકારની રસીઓ, પ્રવર્તમાન હોય તેવા રોગો, પશુઓની ઓળખ, કૃમિનાશક દવા ક્યારે આપવામાં આવી જેવી બાબતોની વિગતવાર નોંધણી કરવામાં આવે છે.અને તેને અનુલક્ષીને બનાવવામાં આવેલી વિશેષ ટેગ જે તે પશુ ને લગાવવામાં આવે છે.આ એક ખૂબ વ્યાપક અને પરિશ્રમ માંગી લેતી કામગીરી છે. આ ટેગથી કુદરતી આફતો પ્રસંગે માલિકોને પશુ મરણના કિસ્સામાં સહાય આપવાનું સરળ બનશે.તેની સાથે પશુના આરોગ્ય અને ઓળખની તમામ માહિતી ખાતા પાસે ઉપલબ્ધ રહેશે.આમ,આ ટેગ જે તે જાનવર માટે આધાર સહ હેલ્થ કાર્ડની ગરજ સારશે.
તેમણે જણાવ્યું કે ખાસ કરીને ખરવાસા મોવાસાનો રોગ પશુઓને શારીરિક અશક્ત બનાવે છે,અને દૂધનું ઉત્પાદન ઓછું કરવાની સાથે ગુણવત્તા બગાડે છે. તેની અસરને લીધે પશુ ઉત્પાદ નોની નિકાસ અવરોધાય છે.આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ પ્રધાન મંત્રી શ્રીએ ૨૦૨૫ સુધીમાં ખરવાસા મોવાસાના પશુ રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય આપ્યું છે જેના ભાગ રૂપે જ ટેગ લગાવવાની કામગીરી સહિત આયોજનબદ્ધ રીતે વ્યાપક કામગીરી હાથ ધરવા માં આવી છે. ખાસ કરીને દુધાળા ગાય ભેંસ વર્ગના પશુઓની આરોગ્ય રક્ષા અને ઉત્પાદકતા જાળવવા કે વધારવાના આયોજનમાં આ ટેગ આધારિત માહિતી ભંડાર ખૂબ ઉપયોગી બની રહેવાનો છે.ત્યારે જિલ્લાના પશુપાલકો ટેગ લગાવવાની કામગીરી કરતી ટીમને ઉચિત સહયોગ અને સચોટ જાણકારી આપે તેવો અનુરોધ ડો.દરજીએ કર્યો છે.
આ પણ વાંચો…. અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..