જામનગરના ‘જાડા’ના પૂર્વ અધ્યક્ષ મોહનભાઈનું કોરોના ની મહામારીમાં મૃત્યુ
૧૫ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં કોરોના સામેનો જંગ હારી ગયા, સતત પાંચ વર્ષ રહ્યા જાડાના ચેરમેન
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૨૯ સપ્ટેમ્બર: જામનગર વિસ્તાર વિકાસ મંડળમાં તારીખ ૧૨-૦૬-૨૦૦૦ થી તારીખ ૦૬-૦૨-૨૦૦૩ સુધી ચેરમેનપદ પર રહેલા અને આર.એસ.એસ ના પીઢ કાર્યકર મોહનભાઈ રાઠોડ નું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના ની સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજયું છે. છેલ્લા પંદર દિવસથી કોરોના ની સારવાર હેઠળ હતા અને તેઓએ ગઇરાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના મૃત્યુના સમાચારથી ભાજપમાં તેમજ આર.એસ.એસ ના કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જામનગરમાં મોહનભાઇ રાઠોડના કાર્યકાળ દરમિયાન જીલાના અનેક વિકાસ કામો થયા હતા જેમાં ટાઉન પલાનીંગ સ્કીમ, નવા ડી.પી.આર, જાડા હસ્તકના વિસ્તારોમાં રોડ રસ્તાનું ડેવલોપમેન્ટ સહિત અંદાજે રૂપિયા ૮ કરોડના વિકાસ કામો થયા હતા,જામનગરમાં જય કોપરેટીવ સોસાયટીમાં રહેતા અને જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ ના પૂર્વ અધ્યક્ષ તેમજ આરએસએસના પીઠ કાર્યકર મોહનભાઈ રાઠોડ કે જેઓ આજ થી પંદર દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેઓના ઓક્સિજન લેવલમાં કમી વર્તાઇ હતી. જો કે તેઓનો બીજી વખત કરાયેલો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો. પરંતુ ઓક્સિજન લેવલ જળવાતું ન હોવાથી ગઈ કાલે રાત્રે તેઓએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આજે તેઓની કોવિડ ના નિયમો અનુસાર અંતિમવિધિ કરવામાં આવી છે. જાડા ના પૂર્વ અધ્યક્ષ મોહનભાઈના અવસાનથી ભાજપના વર્તુળમાં તેમ જ આરએસએસના કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.