ભાયલી (Bhayali) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરાહનીય કામગીરી
ભાયલી (Bhayali) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરાહનીય કામગીરી:૨૦૨૦ ના એપ્રીલ થી કોરોના સામે લોક આરોગ્યના રક્ષણની સાથે સાથે હવે સઘન રસીકરણ માં પણ યોગદાન
વડોદરા, ૨૪ માર્ચ: ભાયલી (Bhayali)નું સરકારી દવાખાનું એટલે કે ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડોદરા શહેર અને ગ્રામ વિસ્તારની આરોગ્ય સેવાઓને જોડતી કડી છે. ૨૦૨૦ ના એપ્રીલથી આ દવાખાનાની ટીમ જેમાં ટોચથી તળિયા સુધીના એટલે કે તબીબી અધિકારીથી સેવક સુધીના આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે, સતત કાર્યરત છે અને હવે ફેબ્રુઆરી ૨૧ થી આરોગ્ય સેવાઓની સાથે કોરોનાની રસી મૂકવાની કામગીરી એટલા જ ઉત્સાહથી ટીમ ભાયલી પી.એચ.સી. કરી રહી છે.
અહીં કાર્યરત આયુષ મેડિકલ ઓફિસર ડો.મીનાક્ષીએ જણાવ્યું કે એપ્રિલ ૨૦૨૦ થી કેસો નોંધાવાની શરૂઆત થઈ અને તેમની ટીમે સામાન્ય આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સાથે, સંક્રમણ લાગવાના જોખમનો તમામ તકેદારીઓ લઈને સામનો કરીને હોમ કવોરેન્ટઈન પોઝિટિવ દર્દીઓની સારવારનું સતત સંકલન કર્યું. તેની સાથે આ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોની વતન વાપસી સરળ બનાવવા એ સમયે લગભગ ૪૫૦૦ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી જરૂરી પ્રમાણપત્રો આપ્યા.
પી.એચ.સી.ના તબીબી અધિકારી ડો.પૂજા દવેએ જણાવ્યું કોવીડ વિષયક અને નોર્મલ આરોગ્ય કામગીરીની સાથે તેમના પી.એચ.સી.ખાતે મધ્ય ફેબ્રુઆરી થી કોરોનાની રસી મૂકવાની કામગીરી એટલા જ ઉત્સાહથી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં ૧૮૫૬ હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને નિર્ધારિત બે ડોઝ મૂક્યા છે તો ૧ લી માર્ચથી શરૂ કરી ૫૧૦૦ જેટલાં ૬૦ અને વધુ વયના વડીલો અને ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના જોખમી રોગ પીડિતોને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે.આ કામગીરી સતત રાજાઓનો ભોગ આપીને પણ કરવામાં આવી રહી છે.કુલ ૬૯૫૬ લોકોને રસી મૂકી આપી છે અને ગંભીર આડ અસરનો એક પણ કેસ નોંધાયો નથી. અમે કર્મ એ જ પૂજાનો મંત્ર અનુસરીને આરોગ્ય સેવાઓ આપી રહ્યાં છે.
ભાયલીના સરકારી દવાખાના નો આ અવિરત આરોગ્ય કર્મયોગ દર્શાવે છે કે કોરોના સામે કોઈ એક વ્યક્તિનું એકલા લડવાનું ગજું નથી, ટીમ વર્કથી જ કોરોના પરાસ્ત થશે. માસ્ક પહેરવા સહિતની જરૂરી તકેદારીઓનું પાલન કરીને લોકો આ લડવૈયાઓનો જુસ્સો વધારવાની સાથે પોતાનું આરોગ્ય જાળવી શકે છે.
આ પણ વાંચો…Platform ticket: અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના નવા રેટ. જાણો વિગત..