કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા
કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ
સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા
અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ
રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ના ધ્યેય સાથે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય કર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા માટે બુલંદ જુસ્સા સાથે ફરજ નિભાવી રહ્યા છે. તેમના આ નિષ્કામ કર્મયોગને પરિણામે આજે અનેક કોરોના પોઝીટીવ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે અને ફરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર લઈને ૩૭ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા.
કોરોના પોઝીટીવ દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્ર નવા કોવિડ કેર સેન્ટરો ઉભા કરી રહી છે. અને અન્ય કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દર્દીને કોઈ મુશ્કેલી કે સમસ્યાનો સામનો ન કરવો પડે, તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
કોવિડ કેર સેન્ટર ખાતે બાળકોને રમકડાં, યુવા અને પીઢ લોકોને પુસ્તકો તેમજ હેલ્પ ડેસ્ક અને વીડિયો કોલ જેવી સુવિધાઓ અને માનસિક સધિયારા સાથે સારવાર આપવામાં આવી રહી છે.
૩૭ લોકોથી પણ વધુ લોકોનું પરિવાર સાથે મિલન કરાવી ચુકેલ ડોકટર્સ, પેરા-મેડીકલ સ્ટાફ, સફાઈ કામદારો સહિતના કોરોના વોરીયર્સ પાયાનું કામ કરીને પોતાના પરિવારથી અંતર રાખીને તેમની ફરજ અદા કરી રહ્યા છે. આથી આરોગ્ય કર્મીઓની મહેનતને સફળ કરવા અને સ્વની સાથે અન્ય લોકોને કોરોનાથી રક્ષિત કરવા માસ્ક પહેરવાથી, સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી અને કારણ વગર બહાર જવાનું ટાળવાથી પી.પી.ઈ. કીટ પહેરીને દિવસ-રાત સેવા કરતાં આરોગ્ય કર્મીઓને ઘણી રાહત મળી શકે એમ છે.