પેથોલોજિકલ ઓટોપ્સી માટે રાજકોટનો ત્રીજો પરિવાર આવ્યો આગળ
- સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શરૂ થયેલ રાજકોટ ખાતેના પેથોલોજિકલ ઓટોપ્સી બ્લોકમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિના પરિવારજનોએ પેથોલોજિકલ ઓટોપ્સી માટે આપી મંજૂરી
- કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી માટે અન્ય નાગરિકોને આગળ આવી મંજૂરી આપવા અનુરોધ
રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શરૂ થયેલ રાજકોટ ખાતેના પેથોલોજિકલ ઓટોપ્સી બ્લોકમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિના પરિવારજનો દ્વારા પેથોલોજિકલ ઓટોપ્સી માટે મંજૂરી આપવામાં આવતા આજરોજ ત્રીજી ઓટોપ્સી પુર્ણ કરવામાં આવી છે, તેમ રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ તા. ૦૩-૦૯-૨૦૨૦ના રોજ થયો હતો. ત્યાર બાદ આજ દિવસ સુધીમાં કુલ ત્રણ ઓટોપ્સી કરવામાં આવી છે.
કોવિડ – ૧૯ મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતિ વિના આ કાર્ય શક્ય નથી. જો આપના પરિવારજનનું કોરોનાના કારણે મૃત્યુ થાય તેવા સંજોગોમાં આપના સ્વજનના શરીરની પેથોલોજીકલ ઓટોપ્સીની મંજુરી અનેક મહામૂલી જીંદગી બચાવવામાં મહત્વનો ભાગ ભજવશે. કોરોનામાંથી સાજા થયા બાદ પ્લાઝમા દાનની જેમ જ પેથોલોજીકલ ઓટોપ્સીની મંજુરી એ પણ મહાદાન સાબિત થશે….તેમ જણાવતાં ડો. ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આમ, ભવિષ્યમાં કોરોના વાયરસ સામેના જંગમાં માનવજાતની જીત કાયમ થવાના કારણોમાં પેથોલોજીકલ ઓટોપ્સીનો મહત્વનો હિસ્સો બની રહેશે.