મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો
ભગવાન શિવજીના લીલા મુગટ જેવી બીલીનું (Bel leaf) વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયુ આપે છે અને હવા શુદ્ધ કરે છે
શિવજીને પ્રસન્ન કરતાં બીલીપત્ર (Bel leaf) નું દાતા આ વૃક્ષ શારીરિક તંદુરસ્તી જાળવવા માટે વરદાન રૂપ ઔષધોનો સ્ત્રોત છે
અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૦ માર્ચ: મહા શિવરાત્રી એટલે ભગવાન શિવની કૃપા મેળવવા માટેનું મહાપર્વ. આ પર્વે, સોમવારે અને શ્રાવણ મહિનામાં બિલાના વૃક્ષના પાંદડા એટલે કે બીલીપત્ર (Bel leaf)નું દેવાધિદેવ મહાદેવના પૂજનમાં અદકેરું મહત્વ છે. એટલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વે શિવને પ્રિય બીલીનો મહિમા અને રસપ્રદ વાતો જાણવા જેવી છે.
શિવજીને પ્રસન્ન કરતાં બીલીપત્રો (Bel leaf)નું દાતા આ વૃક્ષ માનવ શરીરની ક્ષેમકુશળતા જાળવવા માટે વરદાનરૂપ ઔષધોનો પણ સ્ત્રોત છે.એટલે ધાર્મિકની સાથે આ વૃક્ષના ફળ,પાંદડા,ફૂલ,મૂળ ઔષધ તરીકે બહુવિધ ઉપયોગીતા ધરાવે છે.
લાંબુ આયુષ્ય અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે ટકી રહેવાની તાકાત ધરાવતા બીલીના (Bel leaf) વૃક્ષો હવાને શુદ્ધ કરે છે એવી જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા કહે છે કે આ વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયું આપે છે. બીલીના રોપા નર્સરીમાં બીજમાંથી ઉછેરવામાં આવે છે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે વડોદરા સામાજિક વનીકરણ વિભાગની નર્સરીઓ માં દર વર્ષે બીલીના ૧૦ થી ૧૫ હજાર રોપા ઉછેરવામાં આવે છે.આમ,એક દાયકાનો હિસાબ માંડીએ તો અમારા વિભાગે ૧ થી ૧.૫ લાખ જેટલાં બિલી રોપા લોકોને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડયા છે.
બિલી વૃક્ષના (Bel leaf) ત્રીદલ પર્ણ જાણે કે શિવજીના શિરે લીલા મુગટનો આભાસ કરાવે છે.ગુજરાતીમાં બિલી કે બીલા ના નામે ઓળખાતી આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ aegle marmelos – ઇગલ મારમેલોઝ છે.તે હિન્દીમાં બેલવૃક્ષ અને સંસ્કૃતમાં બિલ્વ ફળ કહેવાય છે.
બીલીનું (Bel leaf) વૃક્ષ ઇમારતી લાકડું આપતું નથી એટલે વન વિભાગમાં તેની ગણના ઈતર વૃક્ષોમાં થાય છે.ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષ ખેતરો, ડુંગરો, જંગલો, શિવ મંદિરો, આશ્રમો અને લોકોના ઘરના વાડા, કોતર વિસ્તાર,સર્વત્ર જોવા મળે છે.શિવ પૂજનમાં તેના પાનની સાથે ફળનું પણ મહત્વ છે.તેના ફળ કોઠા જેવા ગોળ અને નાના લીંબુથી લઈને મોટા નારિયેળના કદના હોય છે.આદિવાસીઓ તેના કાચા ફળનું શાક,અથાણું બનાવે છે.
કાચા બિલાને સૂકવીને કાઢવામાં આવેલો ગર્ભ બેલકાચરી દવામાં વપરાય છે. પાકા બિલાનું સ્વાદિષ્ટ શરબત ઉનાળામાં શરીરને ટાઢક આપે છે. બિલિપત્રનું વેચાણ આવક આપે છે. બિલ્વાદી કવાથ, દશમૂલ કવાથ સહિતની આયુર્વેદિક દવાઓ બનાવવામાં બીલીનો ઉપયોગ થાય છે.આમ,દેવને પ્રિય આ વૃક્ષ આરોગ્યના કલ્પવૃક્ષ સમાન છે.
મહા શિવરાત્રીની પવિત્ર રાત્રિએ બિલી વૃક્ષ પર બેસેલા શિકારીએ સાવ અજાણતાં જ બિલી પત્રનો (Bel leaf) શિવજી પર અભિષેક કર્યો અને તે મોક્ષને પામ્યો. આપણે પણ આપણા આંગણામાં, વાડામાં આ બહુગુણી વૃક્ષ,શિવ વૃક્ષ ઉછેરીને જીવનને સરળ અને સાર્થક બનાવવાની સાથે પર્યાવરણ ની સુરક્ષામાં યોગદાન આપી શકીએ.
વૃક્ષો દ્વારા,વનસ્પતિ દ્વારા ભારતીય સંસ્કૃતિ પરમ ઈશ્વરીય તત્વ સાથે અનુસંધાન સાધે છે જે તેની આગવી વિશેષતા છે.એટલે જ પ્રત્યેક વૃક્ષ, વનસ્પતિ અને જંગલો સાચવવા જેવા છે.