પશ્ચિમ રેલવે દ્વારા 700 થી વધુ પાર્સલ સ્પેશિયલ ટ્રેનોનું સફળ સંચાલન
અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: કોરોના મહામારીના મુશ્કેલ સમય દરમ્યાન પણ અતિ આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે પશ્ચિમ રેલવેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના વિવિધ સ્થળો સુધી પહોંચી રહી છે. વિવિધ અડચણો અને શ્રમ શક્તિના અભાવ વચ્ચે પણ, પશ્ચિમ રેલવે એ લોકડાઉન દરમિયાન કુલ 712 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દોડાવીને 700 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના મોટા આંકડાને વટાવી લીધો છે. આ થકી 63.75 કરોડ રૂપિયાની આવક થયેલ છે. આ જ ક્રમમાં 1 ડિસેમ્બર, 2020 ના રોજ પાંચ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પરથી રવાના થઈ, જેમાં 2 પાર્સલ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ થી જમ્મુ તાવી અને પોરબંદર થી શાલીમાર માટે ચલાવવમાં આવી, જ્યારે એક દૂધ સ્પેશિયલ ટ્રેન પાલનપુર થી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ. એક ઇન્ડેન્ટ રેક ટ્રેન કાંકરિયા થી બેનાપોલ માટે રવાના થઈ, તથા લક્ષ્મીબાઈ નગર થી ન્યૂ ગુવાહાટી માટે કિસાન સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી.
પશ્ચિમ રેલવેના મુખ્ય લોકસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ જાહેરાત અનુસાર, 23 માર્ચ થી 30 નવેમ્બર, 2020 સુધી, લગભગ 1.88 લાખ ટન વજનવાળી વસ્તુઓને પશ્ચિમ રેલવે દ્વારા પોતાની 712 પાર્સલ સ્પેશિયલ ગાડીઓના માધ્યમ થી લઈ જવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે ખેત પેદાશ, દવાઓ, માછલી, દૂધ વગેરે સામેલ છે.આ પરિવહનના માધ્યમથી થનારી આવક લગભગ 63.75 કરોડ રૂપિયા થઈ છે. આ હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા 127 દૂધ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી, જેમાં 96,715 ટન થી વધુ વજનની સાથે વેગનોનો 100% ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો. આ જ પ્રમાણે, લગભગ 58 હજાર ટન આવશ્યક વસ્તુઓના સંચાલન માટે 513 કોવિડ – 19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી.
આ ઉપરાંત, લગભગ 32000 ટન ના વજન માટે 100% ઉપયોગ ની સાથે-સાથે 71 ઇન્ટેન્ડ રેક પણ ચલાવવામાં આવ્યા. 22 માર્ચ થી 30 નવેમ્બર, 2020 સુધી લોકડાઉનના સમયગાળા દરમ્યાન પશ્ચિમ રેલવે પર માલગાડીઓના 23,053 રેકો નો ઉપયોગ 50.47 મિલિયન ટન આવશ્યક વસ્તુઓ ના સપ્લાય માટે કરવામાં આવેલ છે. 46,006 માલગાડીઓને અન્ય ક્ષેત્રીય ટ્રેનોની સાથે જોડવામાં આવેલ, જેમાં 23,024 ટ્રેનો સોંપવામાં આવી અને 22,982 ટ્રેનોને અલગ-અલગ ઇન્ટરચેન્જ પોઇન્ટ પર લઈ જવામાં આવી.શ્રી ઠાકુરે જણાવ્યું કે લોકડાઉનના કારણે મુસાફર ટ્રેનો બંધ રહેવાના લીધે પશ્ચિમ રેલવે પર 1 માર્ચ થી 30 નવેમ્બર, 2020 સુધી ટિકિટોના કેન્સલેશનના કારણે, પશ્ચિમ રેલવે એ 526 કરોડ રૂપિયાની રિફંડની રકમ પરત આપવાનું સુનિશ્ચિત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરત કરવાની રકમમાં, એકલા મુંબઈ ડિવિઝન ને 259.12 કરોડ રૂપિયાની રિફંડની ચુકવણી સુનિશ્ચિત કરેલ છે. અત્યાર સુધી, 81,87 લાખ મુસાફરોએ પશ્ચિમ રેલવે પર સંપૂર્ણપણે પોતાની ટિકિટો રદ કરાવેલ છે અને એ મુજબ તેમનું રિફંડ મેળવેલ છે.