Rajnigandha: વડોદરા જિલ્લામાં પુષ્પકૃષિ: ડભોઇ તાલુકાના નાના ફોફડીયાના ખેતરો રજનીગંધા ની સોડમ થી મઘમઘે છે
સાયરના ખેતરોમાં ગુલાબ મહેંકે છે તો ડભોઇ તાલુકાના નાના ફોફડીયાના ખેતરો રજનીગંધા (Rajnigandha)ની સોડમ થી મઘમઘે છે
- આ ગામના જીતુભાઈ કહે છે મને બીજી કોઈ ખેતી ફાવતી જ નથી છેલ્લા ૧૮ વર્ષથી ટ્યુબરોઝ ની જ ખેતી કરી છે
- અંગ્રેજીમાં ટ્યુબરોઝ તરીકે ઓળખાતા રજનીગંધા (Rajnigandha)ની ખેતી માટે બાગાયત ખાતાની વાવેતર સહાય મળી શકે
વડોદરા, ૨૪ માર્ચ: વડોદરા જિલ્લાની ખેતીમાં Rajnigandha ફૂલોની ખેતી એટલે કે પુષ્પ કૃષિ સારી અગત્યતા ધરાવે છે.એની વિવિધતાની વાત કરીએ તો જ્યાં કરજણ તાલુકાના સાયરના ખેતરો ગુલાબથી મહેંકે છે તો ડભોઇ તાલુકાના નાના ફોફડીયા ગામના ત્રણ કૃષિ સાહસિકોના ખેતરો રજનીગંધા (Rajnigandha)ની સાત્વિક સોડમથી મઘમઘે છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આ ગામે ફૂલોની ખેતીની વિવિધતા ઉમેરી છે. આ ગામમાં ટ્યુબરોઝ અથવા રજનીગંધા, કામિની તથા ગલગોટાની ખેતી કરવામાં આવે છે.
નાના ફોફલિયામાં જીતુભાઈ, ભોગીભાઈ અને દીપકભાઈ મુખ્યત્વે ટ્યુબરોઝની એટલે કે રજનીગંધાની ખેતી કરે છે. જીતુભાઇએ જણાવ્યું કે તેઓ તેમની ૫ થી ૮ વીઘા જમીનમાં છેલ્લા ૧૮ વર્ષથી ફક્ત ટ્યુબરોઝની ખેતી કરે છે.તેઓ કહે છે કે વર્ષોથી આ ખેતી કરું છું.હકીકતમાં મને રજનીગંધા સિવાય બીજી ખેતી ફાવતી જ નથી. તેઓ દિલ્હીથી દોઢ થી બે રૂપિયામાં ટ્યુબરોઝના બિયારણ માટેની ગાંઠ મંગાવે છે.આ કંદમાં થી ઊગતું ફૂલ હોવાથી તેને કંદફુલ પણ કહેવામાં આવે છે જે બુકે બનાવવામાં,લગ્ન મંડપની સજાવટમાં ખૂબ ઉપયોગી છે.આ ફૂલની છૂટી ડાળીઓનો પણ જન્મ દિવસે ભેટ આપવામાં ઉપયોગ થાય છે.
તેના ઉત્પાદનને વડોદરા તથા અમદાવાદના ફૂલ બજારમાં વેચાણ કરે છે. ૧૦ ફૂલોની એક ઝૂડી બનાવવામાં આવે છે અને વેપારીઓને પૂરી પાડવામાં આવે છે. વધુમાં જીતુભાઇએ જણાવ્યું કે ટ્યુબરોઝમાં સિંગલ, ડબલ અને સેમી સ્ટીક એમ ત્રણ પ્રકાર આવે છે. સિંગલ ટ્યુબરોઝની સુગંધ વધુ સારી આવે છે તેથી તેનું વેચાણ વધુ થાય છે. ચોમાસામાં ટ્યુબરોઝનું ઉત્પાદન વધુ થાય છે જેનાથી તેના ભાવમાં ઘટાડો થાય છે.જ્યારે બાકીની મોસમમાં માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી ઊંચા ભાવ મળે છે.
ટ્યુબરોઝ સિવાય જીતુભાઈએ ગુલદસ્તો બનાવવામાં બેઝ તરીકે જેની ડાળીઓ અને પાંદડીઓનો ઉપયોગ થાય છે તેવી કામિનીનું પ્રથમવાર વાવેતર કર્યું છે. તેમણે અગાઉ એકાદ વિંઘામાં તેનું પ્રાયોગિક વાવેતર કર્યું હતું જેમાં સફળતા મળતાં હવે વધુ વાવેતર કરવાના છે. કામિનીના છોડ આમ તો સ્થાનિક નર્સરીમાં મળે જ છે પરંતુ સારી ગુણવત્તાની ખાત્રી માટે પૂનાથી મંગાવવામાં આવે છે. કામિનીના વાવેતર માટે એક છોડ ૧૫ રૂપિયામાં લાવવામાં આવે છે.
રાજ્યના બાગાયત ખાતાની યોજના હેઠળ રજનીગંધાની ખેતી માટે પ્લાન્ટિંગ મટીરીયલ સબસિડી એટલે કે વાવેતર સહાય મળી શકે છે તેવું બાગાયત અધિકારી શ્રી યોગેશ ખાંટનું કહેવું છે.