પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ
વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન કરવાને લાયક લોકો સ્વેચ્છાએ આગળ આવે તેવા સુનિયોજિત પ્રયાસોના ભાગરૂપે વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં વિશેષ પ્લાઝમા ડોનેશન સેલ બનાવ્યા છે.
ગોત્રી હોસ્પિટલના પ્લાઝમા ડોનેશન સેલના નોડલ અધિકારી ડો.ચિરાગ રાઠોડે પ્લાઝમા ડોનેશનની ઉપયોગીતા સમજાવતા જણાવ્યું કે માઇલ્ડ ટુ મોડરેટ કેટેગરી એટલે કે વાઈરસની પ્રારંભિક કે ઓછી થી લઈને મધ્યમ અસર ધરાવતા કોવિડ રોગીઓની સારવારનો એક વિકલ્પ પ્લાઝમા ડોનેશન છે.તબીબી ધારાધોરણો પાળીને કોરોનામાંથી મુક્ત થયેલા લોકો પાસેથી સ્વેચ્છા એ બ્લડ પ્લાઝમા દાનમાં મેળવીને આ સારવાર થઇ શકે છે.
પ્લાઝમા ડોનેશન સેલ કાર્યરત કરવાની પ્રાથમિક રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું કે સેલ હેઠળ પેથોલોજિસ્ત, પ્રિવેંટિવ સોશીયલ મેડીસીનના તબીબ,નોડલ ઓફિસર અને કાઉન્સેલરની કમિટી બનાવી,કામગીરીની પદ્ધતિ નિર્ધારિત કરી સેલને કાર્યરત કરવાની વિચારણા કરી છે.
સેલ દ્વારા કોરોના મુક્ત થયેલા હોય,૧૮ થી ૬૦ ની ઉંમરના હોય,૫૫ કિલો થી વધુ વજન ધરાવતા હોય અને અન્ય કોઈ તબીબી કારણોસર પ્લાઝમા દાન ન કરવાની સલાહ આપવામાં આવી ન હોય એવા લોકોની યાદી એટલે કે ડેટા બેઝ બનાવી,એમને સ્વૈચ્છિક પ્લાઝમા દાન માટે તૈયાર કરવાનું , સમજાવટનું કામ હાથ ધરવામાં આવશે.આવા લોકો તૈયાર થાય તો પહેલા એમના લોહીમાં જરૂરી એન્ટીબોડીના વિકાસની ટેસ્ટ દ્વારા ચકાસણી કરી,તે પછી પ્લાઝમા સારવાર માટે તેના સંકલનની કામગીરી થાય એવું આયોજન વિચારાધીન છે.