ganesh murti sakhi mandal 4

હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

ganesh murti sakhi mandal

સખી મંડળની બહેનોને રોજગારીનો મળ્યો નવો વિકલ્પ

રાજકોટ,૧૯ ઓગસ્ટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ પણ ખુબ જ ગુણકારી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાકીય સહાય પુરી પાડવામાં આવે છે. સખીમંડળની બહેનો દ્વારા તૈયાર થતા માલને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ મેળાઓ પણ યોજવામાં આવે છે.

ganesh murti sakhi mandal 3

આગામી ગણેશ ચતુર્થીના પાવન પર્વને અનુલક્ષીને સખી મંડળની બહેનો દ્વારા ગોબર અને પંચામૃતમાંથી ગણેશની મૂર્તિ બનવવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજકોટના લોધીકા તાલુકાના ઢોલરા ગામની શ્રી હરિ સખી મંડળ અને શ્રીજી સખી મંડળની એક ડઝન બહેનોએ મૂર્તિ બનાવવાની શરુઆત કરી છે. આ બહેનોને રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના ચેરમેન ડો વલ્લભભાઈ કથીરિયા અને તેમની ટીમ દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ પુરી પાડવામાં આવી હોવાનું ડી.આર.ડી.એ. વિભાગનાશ્રી વીરેન્દ્રભાઈ બસિયાએ જણાવ્યું છે.

આ મૂર્તિ કેવી રીતે બને તે વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, ગાયના છાણને થાપી તેને સુકવી દેવામાં આવે છે, ત્યાર બાદ તેને દળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરમાં ગમગુવાર પાવડર, મુલતાની માટી તેમજ ગૌમૂત્ર, દૂધ, દહીં ભેળવી તેને ખાસ ડાઇમાં મૂકીને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ મૂર્તિને ત્રણ-ચાર દિવસ માટે સુકવી ત્યાર બાદ તેના પર વિવિધ કલરકામ કરવામાં આવે છે. આમ એક પવિત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ થાય છે. પ્રારંભે તેની કિંમત આશરે ૫૦૦ રૂ. જેટલી છે, પરંતુ જેમ ઉત્પાદન વધશે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. મૂર્તિ ઉપરાંત શો-પીસનું પણ ઉત્પાદન કરવામાં આવશે. આવનારા સમયમાં મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓનું ઉત્પાદન તમામ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવશે. આ વસ્તુઓનું વિવિધ સ્થળો, મેળા તેમજ ઓનલાઇન વેચાણ કરવામાં આવશે, તેમ શ્રી બસિયાએ જણાવ્યું છે.

ganesh murti sakhi mandal 4

શ્રી હરિ સખી મંડળના અંકિતાબેન ભુવા મૂર્તિ બનાવવાનો તેમનો અનુભવ જણાવતા કહે છે કે હાલના કોરોનાના સમયમાં અમે લોકો માસ્ક બનવતા હતા, કેટલીક બહેનો ગુથણ અને ભરતકામ કરે છે.  હાલમા સંસ્થામાંથી અમને મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે અને રો-મટીરીયલ પણ પૂરુ પાડવામાં આવ્યું છે. અમે લોકોએ હાલ પ્રાથિમક સ્તરે મૂર્તિઓ બનાવી છે અને ખુબ સારો અનુભવ રહ્યો છે. ગણેશજી ઉપરાંત બીજા ભગવાનની મૂર્તિઓ ઓર્ડર મુજબ બનાવીશુ અને આ મૂર્તિઓનું સંસ્થા દ્વારા વેચાણ કરાવી આપવામાં આવશે, જેથી અમારી આજીવિકા ચાલતી રહેશે.

ગાયના છાણનો ખાતર, જીવામૃત અને ધૂપમાં ઉપયોગ થાય છે. હવે તેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના નિર્માણનો ઉમેરો થયો છે. આવનારા સમયમાં અગરબત્તી, ધૂપ સહીત ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે.

રિપોર્ટ:રાજકુમાર,રાજકોટ