જામનગર શહેરમાં કોરોના ની લડત સામે વહીવટી તંત્રનો નવો એક્શન પ્લાન
જિલ્લા કલેકટર તેમજ મ્યુનિ.કમિશનર રાહબરી હેઠળ તમામ અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના લીધા શપથ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ધાર્મિક સ્થળો તેમજ મોટા વેપારીઓને દ્વારે સોશિયલ ડિસ્ટન્સ સંબંધે પ્રતિજ્ઞા લેવડાવાઇ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ ઓક્ટોબર: જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ યથાવત રહ્યું છે, અને સમગ્ર જિલ્લામાં પ્રતિદિન ૮૫થી ૯૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સાથોસાથ જી.જી. હોસ્પિટલમાં કોવિડ તેમજ નોન-કોવિડ મળી દરરોજ ૧૨ થી ૧૫ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના મામલે નવી ગાઇડલાઇન જાહેર કર્યા પછી જામનગરની જિલ્લા કલેકટર ની કચેરીમાં જિલ્લા કલેક્ટર રવિશંકરની રાહબરી હેઠળ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના ના મામલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ની પ્રતિજ્ઞા લીધી હતી. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા, દરેક વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું છું છ ફૂટનું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોઈ શેનીટાઈઝર નો ઉપયોગ કરવા તેમજ સ્વજનોને રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઉપચાર પદ્ધતિ અપનાવવા માટે નો સુધારો લાવવા, અને પરિવારના વડીલો અને બાળકો ને તેમજ બીમાર લોકોને વિશેષ કાળજી રાખવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
જિલ્લા કલેકટર ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની કચેરી માં મ્યુનિ.કમિશનર સતિષ પટેલની રાહબરી હેઠળ મહાનગરપાલિકા ના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા થયા અન્ય ટુકડી દ્વારા શહેરના ધાર્મિક સ્થળો કે જ્યાં વધુ લોકો એકત્ર થતાં હોય છે, તે ઉપરાંત શહેરના મોટા વેપારીઓ, શોપિંગ મોલ સહિતના સ્થળોએ પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
ધાર્મિક સ્થળોમાં પહોંચી જઈ દર્શનાર્થે આવતાં લોકો તેમજ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓ વગેરે ને સોશિયલ ડિસ્ટન્સ મામલે પ્રતિજ્ઞા લેવડાવી હતી. ઉપરાંત શહેરના મોટા વેપારીઓ વગેરે સ્થળોએ પણ મહાનગરપાલિકાની ટુકડીએ પહોંચી જઈ સોશિયલ ડિસ્ટનસ જાળવવા મામલે પ્રતિજ્ઞા લેવડાવી હતી. શહેરમાં કોરોના મામલે લોક જાગૃતિ લાવવાના અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે.