Patient dead cremation edited

આંખનો ખુણો ભીંજવીને સંવેદનશીલતા સાથે કોરોના દર્દીઓની અંતિમ ક્રિયાની કપરી ફરજ અદા કરતો મેડીકલ સ્ટાફ

Patient dead cremation edited

“અલ્લાહની રહેમત છે કે, છેલ્લા ૭ માસથી અંતિમવિધીનું કાર્ય કરી રહ્યા છીએ તેમ છતાં સ્ટાફનો એકપણ સદસ્ય આજદિન સુધી કોરોનાથી સંક્રમિત નથી થયો “: સેનેટરી ઈન્સ્પેક્ટર શાહિલ પઠાણ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: “૨૦ માર્ચથી કોરોના દર્દીઓની અંતિમવિધીની ક્રિયામાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે કાર્યરત છું. ત્યારથી લઈને આજ સુધી એવો એક પણ દિવસ નથી ગયો કે ઘરે આવીને મારી આંખનો ખુણો ભીનો ન થયો હોય. જેટલી પીડા અને તકલીફ દર્દીના પરિવારોને થાય છે તેટલી જ અમને થતી હોય છે. માત્ર લોહીના સંબંધો હોય તો જ સાચી આત્મીયતા અનુભવાઈ તે જરૂરી નથી. આ બધું તમને જણાવું છું તો અત્યારે પણ મારા હાથના રૂંવાટા ઉભા થઈ જાય છે અને આંખો સમક્ષ એ પરિવારજનોની યાદ તાજી થઈ ગઈ જેમણે તેમના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા છે. હવે તો બસ અલ્લાહ પાસે એ જ અરજ છે કે, કોરોના વાયરસ ખતમ થઈ જાય, અને જે લોકો સંક્રમિત થાય તે પણ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.” હદયને કંપાવતા આ શબ્દો છે શાહિલભાઈ પઠાણના.

Patient dead cremation 2

 સર્જનહારે બનાવેલી આ સૃષ્ટિમાં કોઈ વસ્તુ શાશ્વત નથી. જીવન-મરણના ચક્રમાંથી પસાર થતા દરેક મનુષ્યએ મૃત્યુ રૂપી સનાતન સત્યને સ્વીકારવું જ પડે છે. કોરોના વાયરસના કાળમુખા કાળમાં અનેક લોકોએ તેમના સ્નેહીજનોને ગુમાવ્યા છે. વાયરસની ગંભીરતા એવી કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિને તેમના સ્નેહીજનો સ્પર્શ પણ કરી શકતા નથી. ત્યારે અતિ સંવેદનશીલ અને જોખમી એવી અંતિમવિધિની ક્રિયામાં કોવીડ-૧૯ હોસ્પિટલનો સ્ટાફ માર્ચ મહિનાથી પરિવારજનોની ભુમિકા અદા કરીને પોતાની ફરજ નિભાવી રહ્યો છે.  

 દર્દીઓની અંતિમવિધીની ક્રિયામાં ૧૨ કલાક સુધી કામગીરી કરતા અને ખડેપગે હાજર રહેતા સેનેટરી ઈન્સ્પેકટર રાહુલભાઈ સોલંકીએ અનુભવ રજુ કરતાં કહ્યું હતું કે,” માર્ચ મહિનાની શરૂઆતથી આ કામગીરી સાથે સંકળાયેલો છું. દેહ ત્યાગ કરેલા કોરોના દર્દીઓના મૃતદેહને સેનેટાઈઝ કરવો. તેમની કિંમતી વસ્તુઓને પ્લાસ્ટીકની બેગમાં નામ સાથે પેક કરીને તેમના સ્નેહીજનોને પરત કરવી. અંતિમવિધીની આ ક્રિયામાં અમે સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવી. ભારત સરકારની માર્ગદર્શિકાનું સમગ્ર પાલન કરીને તેમના ધાર્મિક વિધિવિધાન મુજબ અંતિમ સંસ્કાર કરવા સુધીનું આ કઠીન અને સંવેદનશીલ કાર્ય કરી રહ્યો છું.”

મારે બે મહિનાની દિકરી છે. મારા પિતાને ડાયાબીટીસ છે. શરૂઆતમાં તો શારિરીક થાક કરતાં માનસિક આઘાત બહુ લાગતો. આરામનો સમય ભોગવવાને બદલે અમે પાંચ મિનિટમાં જમીને ફરજને પ્રાધાન્યતા આપી છે. એક તરફ દર્દીઓના સ્નેહીજનોનું દુ:ખ અને બીજી તરફ મારા પોતાના પરિવારજનોની પણ ચિંતા કે તેઓ મારા કારણે સંક્રમિત ન થાય. પરંતુ અલ્લાહની રહેમત છે કે અંતિમવિધીની ક્રિયામાં જોડાયેલા સ્ટાફમાંથી કોઈ સંક્રમિત થયું નથી. અમે તકેદારીના પગલાઓનું ચૂસ્તપણે પાલન કરીએ છીએ. અમારા નોડલ ઓફિસર ડો. મહેન્દ્રભાઈ ચાવડા, ડો.એચ.એ.દુસારા, ડો.અલ્પાબેન જેઠવા, ડો. હર્ષાબેન પટેલ અને ડો. એ.જે.કાનાણીનો ભરપુર સહયોગ અને માર્ગદર્શન મળી રહે છે તેમ શાહીલભાઈએ જણાવ્યું હતું.

 મૃત્યૃ એ અંતિમ સત્ય છે. તે જાણતા હોવા છતાં કોરોનાના કપરા સમયે જયારે પરીજનો પણ અંતિમવિધીમાં ભાગ ન લઇ શકે તેવા સંજોગોમાં આ કાર્યને સુપેરે નિભાવતા કોવીડ હોસ્પિટલના આ તમામ કર્મયોગીઓ મૃતકના દેહની ધાર્મિક વિધિ અનુસાર અંતિમ વિધી કરીને ધાર્મિક એકત્વને ઉજાગર કરી રહયાં છે.

Reporter Banner FINAL 1
loading…