‘‘લાઇટ હાઉસ પ્રાજેકટ’’ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે અફોર્ડેબલ હાઉસના નિર્માણમાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ ક્ષેત્રે નવી ક્રાંતી આવશે
રાજકોટમાં ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરાશે
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે રૂા.૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર લાઇટ હાઉસ પ્રાજેકટનો શિલાન્યાસ
- સમગ્ર રાષ્ટ્રમાં પસંદગી પામેલ છ મહાનગરો પૈકી રાજકોટની આ ડ્રિમ પ્રોજેકટ માટે થયેલ પસંદગી
- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-૨૦૧૯ અંતર્ગત ગુજરાતને મળ્યા સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી હેઠળ ‘પોલિસી ઈનિશિયેટીવ્સ’-‘બેસ્ટ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઈવેટ લેન્ડ’ અને ‘બેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રીહેબિલિટેશન પ્રોજેક્ટ’ માટેના એવોર્ડ
અહેવાલ: હેતલ દવે, રાજકોટ
રાજકોટ, તા. ૧ લી જાન્યુઆરી: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના અન્ય ૫ રાજ્યો સહિત ગુજરાતના રાજકોટ ખાતે લાઈટ હાઉસ પ્રોજેકટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરતાં જણાવ્યું હતુ કે, નવી ટેકનોલોજીથી તૈયાર થનાર લાઇટ હાઉસ પ્રાજેકટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અફોર્ડેબલ હાઉસ પુરા પાડવામાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ નિર્માણક્ષેત્રે નવી ક્રાંતી આવશે. અને આધુનિક ટેક્નોલોજીના સહારે નિર્મિત લાઇટ હાઉસ પ્રોજેક્ટ પ્રકાશ પુંજની જેમ હાઉસિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નવી ઉર્જા પુરી પાડશે.
ભૂતકાળમાં શહેરી વિકાસમાં આવાસોના નિર્માણને પ્રાધાન્ય અપાતું ન હતું જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટેની હિંમત અને આશા છોડી ચૂકયા હતા. પરંતુ છેલ્લા છ વર્ષમાં કેન્દ્ર સરકારે આ બાબતને ધ્યાને લઇ ગરીબ અને આવાસ વિહીન લોકોના જીવનમાં સુધાર લાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરવિહોણા લોકો માટે આવાસ રૂપી છત્ર પુરૂ પાડવા કમર કસી છે. અને આગામી ૨૦૨૨ સુધીમાં આવાસ વિહોણા લોકોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આયોજન સુનિશ્ચિત કરાયું છે.
સમયની સાથોસાથ દરેક ક્ષેત્રે બદલાવની પ્રક્રિયા જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ હાઉસિંગ ક્ષેત્રે પણ બદલાવ થકી જરૂરિયાતમંદ લોકોને સસ્તા અને ઝડપી મકાન મળે તે દિશામાં આ પ્રયોગ હાથ ધરાયો છે. તેમ જણાવી લોકોના ઘરના ઘરની જરૂરિયાતને પહોંચી વળવા ગ્લોબલ હાઉસિંગ ચેલેન્જ થકી ૫૦ થી વધુ દેશ વિદેશના ઇનોવેટિવ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું તે પૈકી છ અલગ અલગ ટેક્નોલો જી યુક્ત લાઈટ હાઉસનું નિર્માણ કરાશે. આ ટેકનીક વડે ૧૨ મહિનામાં એક હજાર ઘર બનાવવામાં આવશે. આમ છ શહેરોમાં કુલ ૬ હજાર આવાસોનું નિમાર્ણ થશે. ત્યાર બાદ સમગ્ર રાષ્ટ્રમાં આ ટેકનિક અમલી બનશે તેમ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટને ઇન્કયુબેશન સેન્ટર તરીકે ઓળખાવતા પ્રધાનમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, પ્લાનર્સ, આર્કિટેક્ટ, એન્જીનીયર, સ્ટ્રક્ચર ડિઝાઈનર તેમજ આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થશે. આ માટે શ્રી મોદીએ યુનિવર્સીટી અને કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ સાઈટ પર જઈ નવી ટેક્નોલોજીનું અધ્યયન કરવા આહવાન કરી નવી ટેક્નોલોજી યુક્ત પ્રોજેક્ટસ સ્કિલ ડેવલોપમેન્ટ, હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ ક્ષેત્રે નવો પાથ તૈયાર કરવામાં મદદરૂપ બનશે, તેમ પણ જણાવ્યું હતું.
ઘરનું ઘર એ ગરીબ અને મધ્યમવર્ગ ના કુટુંબો સમાજિક અને આર્થિક વિકાસ માટે પ્રેરક બળ બની રહે છે. ઘરના ઘરનું સ્વપ્ન પહેલાના સમયમાં પરિપૂર્ણ કરવા માટે આર્થિક તકલીફ રહેતી, કાયદાકીય રક્ષણ નહોતું, આ માટે આવાસ નિર્માણ અને આવાસ ફાળવણીમાં પણ પારદર્શીતા આવે તે સુનિશ્ચિત કરાયું છે. એટલું જ નહીં પણ લોભાર્થીઓને મળવાપાત્ર સહાય પણ સીધી બેંક લીંકેજ દ્વારા ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ ઉપરાંત ભૂ-માફીયાઓ પર રેરા કાયદાની કડક અમલવારી વધારી લોકોની જમીન અને આવાસની સુરક્ષિતા બક્ષી છે. જેમાં અત્યાર સુધીમાં ૬૦ હજારથી વધુ આવાસ પ્રાજેકટો રજીસ્ટર થઇ ચૂકયા છે. કારોનાના કપરા સમયને ધ્યાને લઇને આવાસ લોન ધારકોને હાઉસીંગ લોનના વ્યાજમાં રાહત આપવા રૂા.૨૫ હજાર કરોડનું સહાય પેકેજ અપાયું છે.
હાઉસિંગ ફોર ઓલ વિચાર ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે તેમ વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ઘરની ચાવી તેમના જીવનમાં વિકાસ અને પ્રગતિના નવા દ્વાર ખોલશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવાસ સંબંધી વિગત પુરી પાડતા જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નવા વર્ષનો પ્રથમ દિવસ આશાનું કિરણ લઈને આવ્યો છે. રાજકોટ ખાતે ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ ફ્લેટનું નિર્માણ થશે. રાજ્યમાં સસ્તા અને અફોર્ડેબલ હાઉસની પરિકલ્પના સાકાર થશે.
ગુજરાત હંમેશા નવી ટેકનોલોજીને અપનાવવામાં આગળ રહયું છે. લાઈટ હાઉસ પ્રોજેકટમાં પણ ટનલ ફોર્મવર્ક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે, ગુજરાતના એંજીનીયર્સ આ ટેકનોલોજીનો બહુ સારી રીતે ઉપયોગ કરશે.
ગુજરાતને મળેલ લાઈટ હાઉસ પ્રોજેક્ટને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી સમયસર, સુંદર રીતે પરિપૂર્ણ કરાશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આજથી ચાર- પાંચ વર્ષ પહેલા સામાન્ય વ્યક્તિઓને શહેરોમાં મકાન લેવુ એ ચિંતાનો વિષય હતુ, ગરીબ વ્યક્તિને પોતાનું ઘર બને તે માટે પ્રધાનમંત્રીશ્રીએ બિડુ ઉઠાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે દેશના કરોડો ગરીબ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રસર રહયું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્યમાં ૭.૨૯ લાખ આવાસોના નિર્માણ કરવામાં આવનાર છે. જે પૈકી ૪.૩૯ લાખ મકાનોનું નિર્માણ કરી તેની ચાવી લાભાર્થીઓને સોંપવામાં આવી છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી હેઠળ પોલીસી ઈનિશિયેટીવ્સ – બેસ્ટ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટ ઓન પ્રાઈવેટ લેન્ડ અને બેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેકટની શ્રેણીમાં મળેલ એવોર્ડ્સથી મળેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માં ઉત્તમ પ્રદર્શન કરનારા વિજેતા રાજ્યોને પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુઅલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમના પ્રારંભમાં આવાસ અને શહેરી બાબતના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ વિડીયોકોન્ફરસના માધ્યમથી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના તળે લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં જરૂરિયાતમંદ તમામ લોકોને ૨૦૨૨ પહેલા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં પરિણામરૂપ સાબિત થશે. આ પ્રોજેકટ હેઠળ તૈયાર થનાર મકાનોમાં અનેક પ્રકારની નવી બાંધકામની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લાઈટ હાઉસ પ્રોજેક્ટના કરવામાં આવેલ વર્ચ્યુઅલ ખાતમુર્હત કાર્યક્રમમાં દેશના ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, ઝારખંડ સહિતના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ ઉદબોધન કરી તેમના રાજ્યોમાં આવાસ યોજનાની માહિતી પુરી પાડી હતી.
કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી, હાઉસિંગ વિભાગના સચિવશ્રી લોચન સહેરા, અગ્રણીઓશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પદાધિકારીઓ, બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણીઓ નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચો….