ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતિ લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં નારી સંમેલન યોજાયુ
- રાજ્યમાં 270 નારી અદાલત કાર્યરત: 60 હજાર પ્રશ્નોનુ કરાયેલુ નિરાકરણ
- વડોદરા અને પાદરામાં યોજાયેલા નારી સંમેલનમાં સરકારી યોજનાઓ અને મહિલાઓના અધિકારો વિશે અપાઈ જાણકારી
- રાજ્ય મહિલા આયોગ પુરૂષો જોડે અન્યાય કરવા નથી માંગતું અને ઘરસંસાર તૂ ટે નહી અને સમજાવટથી પ્રશ્નોનુ નિરાકરણ આવે તેવા અભિગમ સાથે કામ કરવામા આવે છે -શ્રીમતિ લીલાબેન અંકોલિયા
વડોદરા, ૦૬ જાન્યુઆરી: વડોદરાના વરણામા દાદા ભગવાન ત્રિમંદિર ખાતે મહિલાઓના બંધારણીય- કાયદાકીય અધિકારો અને મહિલાલક્ષી યોજનાઓથી વાકેફ થાય તેમજ નારી અદાલત અંગે સમજ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તેવા આશય સાથે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતિ લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં નારી સંમેલન યોજાયું હતું. ઉપરાંત વડોદરાના પાદરા ખાતે પણ નારી સંમેલન યોજાયું હતું.
ગુજરાત મહિલા આયોગના ચેર પર્સન શ્રીમતિ લીલાબેન અંકોલિયાએ જણાવ્યું કે, આયોગ પાસે આવેલ ફરિયાદ કોર્ટમાં પહોંચે તે પહેલાં સરળતાથી નિરાકરણ થાય તેવા અભિગમ સાથે કામ કરી રહ્યુ છે. તેમજ આયોગ ક્યારેય નથી ઈચ્છતું કે કોઈનો ઘર સંસાર તૂટે, શક્ય હોય ત્યા સુધી પ્રશ્નોનુ સમજાવટથી નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. રાજ્ય મહિલા આયોગ એક તરફી કામગીરી નહી કરીને, અમારા પાસે આવનાર દરેક ફરિયાદોની તથ્યો-વિગતો તપાસીને ન્યાય કરવામાં આવે છે. આયોગ પુરૂષો જોડે ક્યારેય અન્યાય કરવા માંગતુ નથી. તેનો ઉલ્લેખ કરતા શ્રીમતિ અંકોલિયાએ કહ્યું કે, મહિલાઓ પુરૂષ સમોવડી બનવુ હશે તો તેમને તેમની સાથે કદમ મિલાવી કામ કરવુ પડશે અને મહિલાઓએ નાની બાબતોને મોટુ સ્વરૂપ આપવાથી બચવુ જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. મહિલાઓની સુરક્ષા, સમાનતા હક્કોનુ રક્ષણ અને મહિલાઓનુ સશક્તિકરણ રાજ્ય સરકાર અને આયોગની પ્રાથમિકતા છે. સારા સમાજના નિર્માણ માટે મહિલાઓએ આગળ આવવુ અનિવાર્ય છે. મહિલાઓ સાથે અત્યાચાર અને તેમના શોષણ પાછળ મહંદઅંશે શિક્ષણનો અભાવ કારણભૂત હોય છે. જેથી એક સારા સમાજના નિર્માણ માટે માટે આપણી દિકરીઓને ભણાવવી એટલી જ જરૂરી છે.
રાજ્ય સરકારે અનેક મહિલાલક્ષી યોજના અમલમાં મૂકી નવા આયોમો ઉભા કર્યાં છે. જેમાં નારી અદાલત, મહિલા પોલીસ સ્ટેશન, 181 હેલ્પપાલઈન જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. કોરોનો કાળમાં અનેક ઘરેલુ હિંસાના બનાવો સામે આવ્યા. આ સ્થિતિમાં આયોગ દ્વારા વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી 10 હજાર બહેનો જોડે પરામર્શ કરીને સીધુ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉપરાંત લગ્નજીવનમાં આવતી સમસ્યાઓના નિરાકરણ માટે લગ્ન પહેલાં કાઉન્સેલિંગની સેવા આયોગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને પતિ-પત્ની શિક્ષકના કિસ્સામાં બન્ને સાથે રહે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણ વિભાગને ભલામણ રાજ્ય મહિલા આયોગ દ્વારા કરવામાં આવી છે.
મહિલાઓના પ્રશ્નોનુ ઘરઆંગણ નિરાકરણ અને ન્યાય મળે તે માટે રાજ્યમાં 270 જેટલી નારી અદાલત કાર્યરત છે. આ અદાલતમાં 400 જેટલી બહેનો કામ કરી રહી છે અને 4000 જેટલી બહેનો સ્વેચ્છાએ નારી અદાલત સાથે જોડાયેલી છે. જે છેવાડાના વિસ્તારમાં મહિલાઓ સાથે અનિચ્છનિય બનાવ બને તેની જાણકારી આપે છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ હંસાબેન પટેલે જણાવ્યું કે, લીલાબેન અંકોલીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આયોગ દ્વારા ૬૦, ૦૦૦ થી વધુ પશ્નોનું નિરાકરણ કર્યું છે. તેમજ ૩૧૮ જેટલા નારી સંમેલન યોજી ૨.૫૦ લાખથી વધુ મહિલાઓને સીધું માર્ગદર્શન પહોચાડ્યું છે. આમ, રાજ્ય મહિલા આયોગ દ્વારા સતત મહિલાઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના પ્રયાસો કરવામાં આવે છે
આ પ્રસંગે કરજણના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અને યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ જણાવ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમનું શોષણ શિક્ષણના માધ્યમથી જ અટકાવી શકાશે. જેથી મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધવાથી મહિલાઓનું શોષણ અને તેમના પર થતા અત્યાચાર અટકાવી શકાશે. સાથે જ પુરુષ પ્રધાન સમાજમાં વ્યાપ્ત સામાજિક દોષણોને ડામી શકશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, મહિલા આયોગના ચેરપર્ચન શ્રીમતી અંકોલિયાએ મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી પહેલરૂપ કામગીરી કરી છે. સમગ્ર દેશમાં 250થી વધુ નારી અદાલત શરૂ કરનાર દેશનુ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. સાથે જ તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધી સરકારી યોજનાઓ વિશે મહિલાઓ પાસેથી પ્રતિભાવ મળવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે માત્ર નોકરી-વ્યવસાય માટે જ શિક્ષણ જરૂરી નથી પણ જીવન બહેતર બનાવવા અને સારી રીતે જીવનવ્યાપન કરવા માટે શિક્ષણ જરૂરી છે. ઉપરાંત મહિલાઓના પ્રશ્નો ઉકેલવા જિલ્લા વહીવટી તંત્ર તત્પર અને કટિબદ્ધ હોવાનુ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નિષ્ણાંતો-અધિકારીઓ દ્વારા નારી અદાલત, 181 હેલ્પલાઈન, આરોગ્ય વિષયક, સમાજ સુરક્ષા સંબંધિ યોજનાઓ, મહિલાઓના બંધારણીય હક્કો અને ફરજો, મહિલા સશક્તિકરણ અને પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર અંગે વિસ્તૃત જણાકારી અને સમજ ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર પારૂલબેન, જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકરીશ્રી સહિતના પદાધિકારી-અધિકારી હાજર રહ્યા હતા.
આ પણ વાંચો…
- વડોદરા શહેર જિલ્લામાં શંકાસ્પદ પક્ષી મરણ ના બનાવો નોંધાયા નથી: નાયબ પશુપાલન નિયામક
- દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે