પશુઓને ઘરઆંગણે વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ થશે: કુંવરજીભાઇ બાવળીયા
પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે ચાર જિલ્લાઓ માટે ૧૯ પશુસારવાર એમ્બ્યુલન્સનું કરેલું લોકાર્પણ
રાજ્યના ૧૦ ગામ દીઠ એક એવી ૪૬૦ એમ્બ્યુલન્સ વાહન ઉપલધ્ધ બનાવાશે
રાજકોટ, તા.૧૩ ઓગસ્ટ– રાજયના પશુધનને ઘરઆંગણે પશુ તબીબની સારવાર વીનામુલ્યે ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેમ પશુપાલન મંત્રીશ્રી કુંવજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતુ. આજરોજ જસદણ ખાતેથી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ચાર જિલ્લાની ૧૯ જેટલી તાત્કાલીક પશુ સારવાર માટેની ફરતી એમ્બયુલન્સ વાહનોનું લોકાર્પણ ઝંડી ફરકાવી કર્યુ હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સંવેદનશીલ અને નિર્ણાયક રાજય સરકાર દ્વારા રાજયના પશુપાલકોને પશુ સારવાર માટે તાલુકા કક્ષાએ કે અન્ય સ્થળોએ જવું ન પડે અને પશુઓને ઘર આંગણેજ ધનિષ્ઠ સારાવાર તજજ્ઞ તબીબો દ્વારા મળી રહે તે માટે સુચારૂ આયોજન કર્યુ છે. રાજય સરકારે EMRI સાથે સંકલીત એવી ૧૦૮ જેવી જ ફરતી પશુ સારવાર એમ્બ્યુલન્સ વાનની યોજના અમલી બનાવી છે. પશુ સારવાર એમ્બ્યુલન્સની સેવા રાજયના તમામ ગ્રામ્ય કક્ષા સુધી વસતા પશુપાલકોને આ સેવા પહોંચતી કરવા આ યોજના અન્વયે દર દસ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ એવી કુલ રાજયમાં ૪૬૦ એમ્બ્યુલન્સ વાન ઉપલબ્ધ કરાવાશે.
મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રીશ્રીના સીધા મોનીટરીંગ હેઠળ જી.પી.એસ. સીસ્ટમ તથા તમામ પશુ ચિકિત્સાના સાધનોથી સજજ આ વાન સપ્તાહ દરમીયાન નિશ્ચીત રૂટ પરના ગામોની મુલાકાત લઇને ઘર આંગણે જ સવારે થી સાંજ સુધી સારવાર આપશે. આ ઉપરાંત ઇમરજન્સીમાં હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી ઝોન અંતર્ગત ફાળવાયેલી પશુચિકિત્સા વાન પશુપાલકના ઘરેઆંગણે પહોંચીને તત્કાળ સારવાર કરવા આવી પહોંચશે.
આજરોજ જસદણ ખાતેથી આવી બોટાદ જિલ્લા માટે બે, અમરેલી જિલ્લા માટે ૮, રાજકોટ જિલ્લા માટે ૭ તથા મોરબી જિલ્લાની બે એમ કુલ ૧૯ ફરતી પશુ એમ્બ્યુલન્સ વાનનું મંત્રીશ્રી કુંવરજીભાઇના હસ્તે લોકાપર્ણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પી.એચ.ગલચર, નાયબ પશુપાલન નિયામકશ્રી અશ્વીન ડઢાણીયા, આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી વી.વી.રાખોલીયા, ધનીષ્ઠ પશુ સુધારણા અધિકારીશ્રી એચ.બી.રાણપરીયા, ઇ.એમ.આર.આઇ.ના ઓપરેશનલ હેડ શ્રી સતીષ પટેલ તથા મીલન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનસુખ જાદવ, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનશ્રી પોપટભાઇ રાજપરા જિલ્લા પંચાયત સદસ્યોશ્રી મનુભાઇ ભોજાણી તથા રામભાઇ સાંકળીયા સહિત તાલુકા પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.