રાજકોટ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના ૪૩ બાળકો તેમજ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો
પોઝીટીવ આવેલા ૨૦ બાળકો કોવિડ કેર સેન્ટર ખાતે સઘન સારવાર બાદ કોરોના મૂક્ત બન્યા
અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ
રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર : જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૬ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ૧૧ જિલ્લાઓમાંથી પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલવામાં આવે છે. જે અન્વયે કોરોનાની મહામારીને ધ્યાને લઈ તારીખ ૦૨/૦૯/૨૦૨૦ ના મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ દ્વારા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા ૪૩ બાળકો તથા દેખરેખ હેઠળના ૭ સ્ટાફ સદસ્યોનું કોવિડ-૧૯ હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાંથી ૨૦ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ કલેકટરશ્રી તથા જિલ્લા આરોગ્ય તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મોચી બજાર કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમને અપાયેલ સઘન સારવારના કારણે આ બાળકો ૧૪ દિવસ બાદ સ્વસ્થ થતાં ૧૨ બાળકોને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ ૮ બાળકોને નામદાર કોર્ટ દ્વારા જામીન કરવામાં આવતા તેઓને પોતાના ઘરે ક્વોરેન્ટાઈન હેઠળ મોકલવામાં આવ્યા છે. તેમ રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.