૧૯૭૧ ભારત – પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં જામનગર થી સાયકલરેલી નું પ્રસ્થાન
- સાઇકલ રેલીને લખપત ખાતેથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
- ૧૦ ટીમ ૧૯૭૧ કીમીનો પ્રવાસ કરી ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ લોંગેવાલા ખાતે રેલીનુ સમાપન
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ નવેમ્બર: ૧૯૭૧ ભારત – પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીની નિમિત્તે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા યોજિત ગુજરાત અને રાજસ્થાનમાં ૧૯૭૧ કિલોમીટર લાંબી સાઇકલ રેલીને ૮૭ વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહએ રેલીને સવારે ૭ વાગ્યે લખપત પોસ્ટ વિસ્તારમાંથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાઇકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક- સેનિટાઇઝેશન (SMS) રહેશે. આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઇપણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે. ૧૯૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને ૧૦ દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે.
આ સાઇકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામા આવશે જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાઇકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલીનુ ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.
આજરોજ તા. ૨૬ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બપોરે એક વાગ્યે ભૂજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનો પ્રારંભ થશે. ભાગ લેનાર ૧૦ ટીમ પૈકી સાયકલિસ્ટોની પ્રથમ લેગ ટીમનું આજે સાંજે ૬ વાગ્યે ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવશે.