જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની (vaccine) સઘન ઝુંબેશ
હાલ સુધીમાં ૭૭૮૬ વરિષ્ઠ નાગરિકો અને ૯૧૮ કો-મોર્બીડ નાગરિકોએ રસી (vaccine) લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર
લાલપુરના ૧૦૨ વર્ષીય માણુંબાએ રસી (vaccine) લીધી, અન્યને પણ આપી પ્રેરણા રસીથી કોઈ તકલીફ નથી, અન્ય પણ રસી લેવા આગળ આવે
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૬ માર્ચ: વૈશ્વિક મહામારી કોરોના સામે લડત આપવા હાલ સંપૂર્ણ ભારત દેશમાં રસીકરણની મહાઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી. હાલ બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો તેમજ ૪૫ થી ૫૯ વર્ષ દરમિયાનના કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લામાં આ બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોનો ખૂબ સહકાર જોવા મળી રહ્યો છે. ૧ માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કાના રસીકરણ ઝુંબેશમાં હાલ સુધીમાં જામનગર જિલ્લાના ૭૭૮૬ વરિષ્ઠ નાગરિકો અને ૯૧૮ કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોએ રસી લઈ આ મહામારી સામે લડતમાં સહયોગ આપ્યો છે. જેમાં ૬૧ વર્ષથી લઈ અને ૧૦૦ વર્ષથી વધુના વયોવૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ છે.
આજરોજ લાલપુરના ૧૦૨ વર્ષીય માણુંબા એટલે કે માણુંબેન કાનજીભાઈ કગથરાએ રસી મુકાવી અને પોતાની તળપદી ભાષામાં અન્યને પ્રેરણા સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોરોના એ બધાને ખૂબ હેરાન કર્યા છે. આ રસીથી કોરોના વયો જશે, આ રસીથી મને કોઈ તકલીફ થઈ નથી ત્યારે બીજાએ પણ આ રસી લેવી જોઈએ. તો લાલપુરના જ રહેવાસી ૮૦ વર્ષીય ભીમજીભાઇ ભાલાણી અને તેમના પત્ની કાંતાબેન ભાલાણીએ આજે સજોડે વેક્સીન લઈ કહ્યું કે, કોરોનાને કારણે બધા હેરાન થયા, આ રસીથી હવે કોઈ હેરાન નહીં થાય.અમે રસી લીધી અને બીજાએ પણ રસી લેવી જોઈએ.
રસીકરણ ઝુંબેશ અંગે વિસ્તૃત જાણકારી આપતા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લાલપુર ડો. કે. એન. કુડેચાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં અફવા અને ગેરસમજણના કારણે લોકોમાં ભય અને ખૂબ ખચકાટ હતો. પરંતુ ડોકટરો, આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા લોકોને સમજૂત કરવામાં આવ્યા છે અને હાલ પણ આશા બહેનો દ્વારા ઘરે-ઘરે સર્વે કરી વરિષ્ઠ નાગરિકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે. વળી રસી લીધેલ નાગરિકો થકી અન્યોને પ્રેરણા મળી અને રસી લીધેલ લોકોને કોઈ આડઅસર ન થતા, તેમણે આસપાસના લોકોને પણ વધુ સમજૂત કર્યા. આમ આજે એક જાગૃતિલક્ષી સાંકળના પ્રયત્નોથી સમાજમાંથી રસીકરણ માટે સહકાર અને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે.
લાલપુર તાલુકામાં રસીકરણની ઝુંબેશને ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે, હાલ સુધીમાં ૯૭૨ જેટલા વરિષ્ઠ નાગરિકો જેમાં ૮૦ વર્ષથી ઉપરના વયોવૃદ્ધોનો પણ સમાવેશ થાય છે તેમણે ઉત્સાહપૂર્વક રસી લીધી છે.
કો-મોર્બીડ એટલે શું? કોણ રસી લઇ શકે?
કો-મોર્બીડ સ્થિતિ એટલે કે ખાસ પ્રકારની બીમારીઓ જેમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કેન્સર, એચ. આઈ. વી., ડાયાલિસિસ કરાવતા દર્દી, હૃદય રોગને લગત તકલીફો ધરાવનાર, ફેફસાની બીમારી, લીવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા લોકો પણ આ રસી લઇ શકે છે. આ રસી ખૂબ સુરક્ષિત છે અને અસરકારક છે. આ તબક્કામાં ખાસ આ પ્રકારની કોઇ પણ તકલીફ ધરાવતા ૪૫ થી ૫૯ વર્ષના નાગરિકોને આવરી લઇ સુરક્ષા કવચ રૂપ રસી આપવામાં આવી રહી છે. ત્યારે આવી તકલીફો ધરાવતા લોકો વહેલામાં વહેલી તકે રસી લઇ પોતાને સુરક્ષિત કરે તે ખૂબ જરૂરી છે.
૧૮ વર્ષ થી મોટી ઉંમરના દરેક વ્યકિત આ રસી નિ:સંકોચ લઈ શકશે. કોવીડ-૧૯ને માત આપીને સાજા થયેલા દરેક વ્યક્તિ રસી લઇ શકશે.
આ રોગ દ્વારા વધુ અસરકર્તા વર્ગ વરિષ્ઠ નાગરિકોનો જોવા મળ્યો છે ત્યારે મહામારી સામે લડત આપવા અને પોતાને સુરક્ષિત બનાવવા જામનગર જિલ્લામાં આ બીજા તબક્કાની રસીકરણ ઝુંબેશને વધુ સઘન અને ઘનિષ્ઠ બનાવવામાં આવી છે.
આ રસી લેવા માટે વરિષ્ઠ નાગરિકો આરોગ્ય સેતુ એપ અથવા તો કોવિન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જો કોઈ વરિષ્ઠ નાગરિકને રજીસ્ટ્રેશન અંગે કોઈ તકલીફ હોય તો તત્કાલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દરેક મૂંઝવણના અંત સાથે રસી લઈ શકશે. તો માણુંબાની વાતને યાદ રાખીએ જામનગરવાસીઓ… કોઈ તકલીફ નથી કોઈ આડઅસર નથી તો, માણુંબાની વાતને માનીએ અને વધુને વધુ આપણે રસીકરણ ઝુંબેશમાં જોડાઈને જામનગરને સુરક્ષિત બનાવવામાં સહકાર આપીએ.
આ પણ વાંચો…બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety)નો અભાવ….