Junagadh 2 2

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે જૂનાગઢ કેમ આઝાદ ના થઇ શકયું જાણો આ ખાસ લેખમાં

WhatsApp Image 2020 08 13 at 9.39.34 PM 1
Bhavin Trivedi
ભાવિન ત્રિવેદી,વરિષ્ઠ પત્રકાર, જૂનાગઢ

જૂનાગઢ 15 મી ઓગસ્ટ 1947 માં આઝાદ થયું નથી…9 મી નવેમ્બર 1947 ના દિવસે આઝાદ થયું હતું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવતાં વિવાદ થયો છે. જૂનાગઢનું ભારત સાથે જોડાણ 15 ઑગસ્ટે નહીં પણ 9 નવેમ્બર, 1947ના રોજ થયું હતું. તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ 9 નવેમ્બર ગણાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૂંચવાયેલા જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરઝી હકૂમતની રચના થઈ હતી. આરઝી હકૂમતની લડત બાદ જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું હતું.

હાલમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનનો નવો નકશો જાહેર કર્યો છે. જેમાં જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને આને એક નિરર્થક પ્રયાસ ઠેરવ્યો હતો.ભારત અને પાકિસ્તાનના રાજકીય ઇતિહાસની જ્યારે ચર્ચા થાય છે ત્યારે જૂનાગઢની સ્વાતંત્ર્ય ચળવળની અચૂક નોંધ લેવાય છે.

ભારત આઝાદ થયું અને રજવાડાઓનું વિલીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે જૂનાગઢમાં નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું.

15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતમાં લોકો સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જૂનાગઢની પ્રજા ગૂંચવણમાં હતી કેમ કે એ દિવસે જૂનાગઢનું નવા બનેલા દેશ પાકિસ્તાન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.દેશ આઝાદ થયો એ વખતે અંગ્રેજોએ ઇન્ડિયન ઇન્ડિપૅન્ડન્સ ઍક્ટ 1947 લાગુ કર્યો હતો. જે અંતર્ગત લૅપ્સ ઑફ પૅરામાઉન્સીની જોગવાઈ હતી. જે અંતર્ગત રાજા મહારાજાઓને બે વિક્લ્પ અપાયા હતા કે કાં તો તેઓની રિયાસત ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે. આ ‘લૅપ્સ ઑફ પૅરામાઉન્સી’ને ધ્યાનમાં રાખીને જ નવાબ મહાબત ખાને પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી હતી. જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણની મુખ્ય ભૂમિકા જૂનાગઢના દીવાન અને પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટોની હતી. જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું નવાબ મહાબત ખાનને શાહનવાઝ ભુટ્ટોએ સૂચવ્યું હતું. ઇતિહાસકાર અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી માને છે કે આની પાછળ મહમદ અલી ઝીણાની ગણતરી હતી.

Junagadh 3

રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશે પુસ્તક ‘પટેલ અ લાઇફ’ લખ્યું છે, જેમાં જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તેઓ લખે છે :

‘જૂનાગઢની સાત લાખની વસતીમાં 80 ટકા હિંદુ હતા. જૂનાગઢના નવાબ જ્યારે યુરોપ હતા ત્યારે રાજમહેલમાં ખટપટ થઈ હતી. એ પછી સન 1947ના મે માસમાં સિંધના મુસ્લિમ લીગના આગેવાન શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના દીવાન બન્યા હતા. ભુટ્ટો ઝીણા સાથે ગાઢ સંપર્કમાં હતા. પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને તિલાંજલિ આપી દઈને હિંદુ બહુમતી ધરાવતાં રાજ્યોને સ્વીકારી લેવા ઝીણા તૈયાર હતા. ઝીણાની સલાહ અનુસાર ભુટ્ટોએ ઑગસ્ટની 15 તારીખ સુધી કશું કર્યું નહીં. આ દિવસે પાકિસ્તાન સ્થપાયું અને જૂનાગઢે તેમાં જોડાઈ જવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો.’

જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડતી વખતે ત્યાંની પ્રજાનો મનસૂબો જાણવાનો પ્રયાસ થયો હોય એવું જોવા મળતું નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક તેમજ અધ્યક્ષ રહી ચૂકેલા અને ‘સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ’ના પ્રમુખ રહી ચૂકેલા લેખક એસ.વી. જાની પોતાના પુસ્તક ‘જૂનાગઢના નવાબી શાસનનો અંત’માં નોંધે છે :

’13 ઑગસ્ટે ભુટ્ટોએ જૂનાગઢના અગ્રણીઓની એક સભા બોલાવી હતી, જેમાં દયાશંકર દવે નામના આગેવાને પ્રજા વતી જૂનાગઢને ભારતમાં જોડવા માટે નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત કાઠિયાવાડ રાજકીય પરિષદના ઉચ્છરંગરાય ઢેબરે પણ ભુટ્ટોને સમજાવવા પ્રયાસ કર્યા હતા, પણ તેની કોઈ અસર થઈ નહીં અને 15 ઑગસ્ટ, 1947ના જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાયાની જાહેરાત કરી હતી.’

પાકિસ્તાને લગભગ એક મહિના સુધી જવાબ આપવાનું ટાળ્યું હતું.એ પછી સપ્ટેમ્બરની 13 તારીખે તારથી ખબર આપ્યા કે જૂનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ સ્વીકારી લેવામાં આવ્યું છે.સપ્ટેમ્બરની 19મી તારીખે સરદાર પટેલે ભારત સરકારના રજવાડા ખાતાના સચિવ વી.પી. મેનનને જૂનાગઢ મોકલ્યા.નવાબ તો મળ્યા નહીં પણ ભુટ્ટોએ જવાબો આપ્યા.રાજમોહન ગાંધીએ લખ્યું છે કે “ભુટ્ટોએ ગોળગોળ જવાબો આપ્યા.”

પરિસ્થિતિ દિવસે ને દિવસે અસ્પષ્ટ થઈ રહી હતી. કાઠિયાવાડના આગેવાનો તેમજ મુંબઈમાં વસતા કેટલાક કાઠિયાવાડી આગેવાનો આ બાબતે મૂંઝવણમાં હતા.વી.પી. મેનન જૂનાગઢથી રાજકોટ, ત્યાંથી મુંબઈ થઈને દિલ્હી ગયા હતા. મુંબઈમાં તેઓ કાઠિયાવાડનાં દેશી રાજ્યોનાં પ્રજામંડળના આગેવાનોને મળ્યા હતા.

‘જૂનાગઢના નવાબી શાસનનો અંત’ પુસ્તકમાં લેખક એસ.વી. જાની નોંધે છે કે “ઉચ્છરંગરાય ઢેબરે કહ્યું કે સ્થિતિ સ્ફોટક છે, પ્રજાને લાંબા સમય સુધી અંકુશમાં રાખી નહીં શકાય. જૂનાગઢની ચળવળમાં શરૂઆતથી જ સામેલ અને વંદેમાતરમ્ અખબારનાં તંત્રી શામળદાસ ગાંધીએ કહ્યું કે પ્રજા કાયદો હાથમાં લઈને સમાંતર સરકાર સ્થાપવા તૈયાર થઈ ગઈ હતી. વી.પી. મેનને સરદાર પટેલને આ બાબતોથી વાકેફ કર્યા.’

“સરદાર પટેલ સમાંતર સરકારના વિચારથી ખુશ નહોતા, કારણ કે એનાથી ભવિષ્યમાં ગૂંચવણો ઊભી થાય. એ વખતે મુંબઈના કેટલાક અગ્રણી કાર્યકરો માનતા હતા કે સત્યાગ્રહથી આ લડત થઈ શકે નહીં. ઢેબરભાઈ 1938માં રાજકોટના સત્યાગ્રહના સમયથી કાઠિયાવાડની રાષ્ટ્રીય ચળવળમાં વિશેષ જાણીતા હતા.”

Junagadh 2 2

“સરદાર પટેલ અને ગાંધીજી તેમનાથી પ્રભાવિત હતા. ઢેબરભાઈ ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. શસ્ત્ર ઉપાડવાની વાત તેમને ગળે ઊતરતી નહોતી. સરદાર પટેલે તેમને કહ્યું કે તમે પરિસ્થિતિનું નિર્માણ કરો પછી જોઈ લઈશું.’ જૂનાગઢના પ્રશ્ને ભારત સરકાર સીધી રીતે દખલ કરી શકે નહીં, કારણ કે ‘લૅપ્સ ઑફ પૅરામાઉન્સી’ની જોગવાઈ અનુસાર રજવાડા યા તો ભારત કે પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર પણ બનાવી શકે. આ સંજોગોમાં ભારત સરકારના ગૃહમંત્રી સરદાર પટેલ જો સીધો જૂનાગઢના મામલે હસ્તક્ષેપ કરે તો કાયદાકીય ગૂંચ પણ ઊભી થાય. પછીથી જેની રચના થઈ એ ‘આરઝી હકુમત’ની લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણી પણ કહેતા હતા કે સરદાર પટેલ માને છે કે જૂનાગઢની પ્રજાએ જ લડવું જોઈએ.

ટૂંકમાં, જૂનાગઢની પ્રજા અને આગેવાનો જ જો અવાજ ઉઠાવે તો જૂનાગઢનો ભારત સાથે રહેવાનો માર્ગ મોકળો થાય. આગેવાનો આ બાબત સમજી ગયા હતાવી.પી. મેનનની મુંબઈમાં કાઠિયાવાડના આગેવાનો સાથે બેઠક થઈ હતી, એમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય ચળવળ અંગે સહમતી સધાઈ હતી. એ ચળવળે જૂનાગઢમાં સમાંતર સરકાર તરીકે ‘આરઝી હકૂમત’નો વિચાર સ્થાપિત કર્યો હતો. ઉચ્છરંગરાય ઢેબર શરૂઆતમાં અવઢવમાં હતા પણ પછી તેમણે એ વિચાર સ્વીકારી લીધો હતો. એ વિચારને અમલી જામો પહેરાવવા માટે એક સભા મળી હતી, જેમાં ઢેબરભાઈએ પોતાની જૂનાગઢની ત્રણ મુલાકાતોને મળેલી નિષ્ફળતાનું વર્ણન કરીને ‘આરઝી હકૂમત’ સ્થાપવાનો ઠરાવ રજૂ કર્યો હતો. એને અમલમાં મૂકવા માટે દસ સભ્યોની એક સમિતિ નીમવામાં આવી હતી.

‘જૂનાગઢનાં નવાબી શાસનનો અંત’ પુસ્તકમાં લેખક એસ.વી. જાની નોંધે છે કે ’23 સપ્ટેમ્બર, 1947ના રોજ આરઝી હકૂમત સ્થાપવાનો નિર્ણય થઈ ચૂક્યો હતો. તેની જાહેરાત થવાની બાકી હતી. દરમિયાન 24 સપ્ટેમ્બર, 1947ની સાયં પ્રાર્થનામાં ગાંધીજીએ કહ્યું હતું કે “કાઠિયાવાડ મેં તો વેરાવળ કા ભી બંદર હૈ ઔર વહ બંદરગાહ જૂનાગઢ કા હૈ. જૂનાગઢ તો પાકિસ્તાન મેં ચલા ગયા. જૂનાગઢ મેં પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ? મેરી સમજ મેં નહીં આતા. આસપાસ કી સબ રિયાસતેં હિંદુ હૈં ઔર ઉસકી આબાદી કા બડા હિસ્સા હિંદુઓ કા હૈ તો ભી જૂનાગઢ પાકિસ્તાન મેં દાખલ હુઆ, વહ તો ગજબનાક બાત હોતી હૈ.”

“લેકિન ઐસા બનાવ તો હિંદુસ્તાનભર મેં આજ ઠેરઠેર બન રહા હૈ. જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીએ.” આરઝી હકૂમતની રચના કરવાનું વિચારતા નેતાઓ માટે જાણે કે ગાંધીજીના આશીર્વાદ મળી ગયા.’ શામળદાસ ગાંધી જૂનાગઢની આરઝી હકૂમતનાં સરનશીન (વડા) બન્યા હતા એટલે કે જૂનાગઢ સંલગ્ન સમાંતર સરકાર રચવામાં આવી હતી.

25 સપ્ટેમ્બર, 1947ના રોજ આરઝી હકૂમતની વિધિસર સ્થાપના થઈ હતી. તેનું પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું. તેમાં પુષ્પાબહેન મહેતા, દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, નરેન્દ્ર નથવાણી પ્રધાનો થયાં હતાં. આરઝી હકૂમતની સ્થાપનાનું જાહેરનામું ઘડાયું હતું. તેને ‘જૂનાગઢ રાજ્યની પ્રજાની આઝાદીનું જાહેરનામું’ એવું નામ આપવામાં આવ્યું હતું. એ જાહેરનામું કનૈયાલાલ મુનશીએ ઘડ્યું હતું. મુંબઈમાં વસતા કાઠિયાવાડીઓની સભા માધવબાગમાં મળી હતી, જેમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ સાંજે 6.17 મિનિટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

‘જૂનાગઢના નવાબી શાસનનો અંત’ પુસ્તકને ટાંકીએ તો એ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢના નવાબે બહુમતી ધરાવતી હિંદુ વસતીની ભારત સંઘ સાથે ભળવાની ઇચ્છાને અવગણીને જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવાની ભૂલ કરીને તથા તે જોડાણ કબૂલ કરવું પડે તેવી ત્રાસદાયક પરિસ્થિતિ સર્જીને પ્રજાની વફાદારી ગુમાવી દીધી હતી અને પાકિસ્તાને પણ આત્મનિર્ણયના સિદ્ધાંતનો ભંગ કર્યો હોવાથી જૂનાગઢનું જોડાણ અયોગ્ય અને ગેરકાયદે હતું. તેથી તે તેની પ્રજાને બંધનકર્તા ન હતું.

ઉપરાંત, જાહેરનામામાં હિંદી સંઘમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આરઝી હકૂમતની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ નવાબ જે સત્તા અને અધિકાર ભોગવતા હતા તે આરઝી સરકારને સુપરત કરીએ છીએ એવું એ જાહેરનામામાં જણાવાયું હતું. જૂનાગઢના પ્રજાજનોને આ હકૂમતનું પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી. આ જાહેરનામા દ્વારા જૂનાગઢની પ્રજાએ આરઝી હકૂમતની સ્થાપનાની જાહેરાત કરી હતી. સ્વતંત્ર ભારતના બંધારણમાં રજૂ થયેલ પ્રજાની સર્વોપરિતાનો સિદ્ધાંત તેમાં સ્વીકારાયો હતો. આરઝી સરકારનું વડુમથક રાજકોટમાં સ્થાપવામાં આવ્યું. ચાર અઠવાડિયાં સુધી શાંતિ રાખવામાં આવી હતી. જોડાણ રદ્દ કરવા માટે અથવા લોકમતની ગોઠવણ કરવા માટે વલ્લભભાઈ પાકિસ્તાનને પૂરતો સમય આપી રહ્યા હતા.

આરઝી હકૂમતે અમરાપુર, નવાગઢ, ગાધકડા વગેરે ગામો કબજે કર્યાં હતાં. આરઝીહકૂમતના સ્વયંસેવકો જૂનાગઢની હદમાં પ્રવેશ્યા અને નવાબ મહાબત ખાન કરાચી ભાગ્યા હતા.શંભુપ્રસાદ દેસાઈ સૌરાષ્ટ્રના જાણીતા ઇતિહાસકાર હતા. તેમણે સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. જૂનાગઢ, સોમનાથ વગેરે પર તેમણે સંશોધન કરીને પુસ્તકો લખ્યાં છે. પ્ર.રા. નથવાણી અને રજનીકુમાર પંડ્યા દ્વારા સંપાદિત ગ્રંથ ‘જૂનાગઢ સર્વસંગ્રહ’માં શંભુપ્રસાદ દેસાઈનો એક લેખ છે. જેમાં તેઓ નોંધે છે કે ‘જૂનાગઢ નગર ઉજ્જડ થઈ ગયું હતું. માર્ગો ધોળા દિવસે વેરાન લાગવા માંડ્યા હતા. દીવાન શાહનવાઝ ભુટ્ટો તથા પોલીસ કમિશનર મહમદ હુસેન નકવી બળ વાપરીને પ્રજાનો ગુસ્સો નરમ પાડવા અને આરઝી હકૂમતનો પ્રતિકાર કરવા પ્રયાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આરઝી હકૂમતની સેના આગળ વધી રહી હતી. શાહનવાઝ ભુટ્ટો પાસે ખાસ કોઈ વિકલ્પ રહ્યો નહોતો.’

રાજમોહન ગાંધીના સરદાર પટેલ વિશેના પુસ્તકમાં લખ્યું છે કે ’27 ઑક્ટોબરે ભુટ્ટોએ ઝીણા પર પત્ર લખ્યો :અમારી આવક તળિયે બેઠી છે. અનાજની પરિસ્થિતિ ભયંકર ચિંતા ઉપજાવે છે. નવાબસાહેબ અને રાજકુટુંબે ચાલ્યા જવું પડ્યું છે. કાઠિયાવાડના મુસલમાનોને પાકિસ્તાન માટે કશો રસ રહ્યો દેખાતો નથી. હું વધારે કહેવા ઇચ્છતો નથી. મંત્રીમંડળનાં મારા પીઢ સાથી કૅપ્ટન હાર્વે જોન્સે તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હશે.” નવેમ્બરની બીજી તારીખે આરઝી હકૂમતે નવાગઢનો કબજો લીધો. પાંચ દિવસ પછી ભુટ્ટોએ હાર્વે જોન્સને રાજકોટ શામળદાસ ગાંધી પાસે મોકલ્યા, અને જૂનાગઢનો કબજો લેવાની વિનંતી કરી. બીજા દિવસે – આઠ નવેમ્બરે ભુટ્ટોએ દરખાસ્ત બદલાવી. આરઝી હકૂમત નહીં ભારત સરકારે કબજો લેવો. શામળદાસ ગાંધીએ નવી દરખાસ્તનો કશો વિરોધ કર્યો નહીં. આ દરખાસ્ત નીલમભાઈ બુચ પાસે રજૂ કરવામાં આવી હતી.

દિલ્હીએ પશ્ચિમ ભારત અને ગુજરાતનાં રજવાડાંઓ માટે નીલમભાઈ બુચને કમિશનર તરીકે નીમ્યા હતા. 9 નવેમ્બર, 1947ના રોજ તેમણે કબજો લીધો હતો. તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્યદિવસ 9 નવેમ્બર ગણાય છે.ભુટ્ટોની અરજીનો ભારતે સ્વીકાર કર્યો. માઉન્ટબેટનના આગ્રહથી મેનન અને નેહરુએ પાકિસ્તાન મોકલવા તારસંદેશ ઘડી કાઢ્યો.

‘ભુટ્ટોની અરજીનો સ્વીકાર કર્યો છે પણ કાયદેસરનું જોડાણ થયા અગાઉ જૂનાગઢના લોકોનો પ્રજામત જાણી લેવામાં આવશે.’ સરદારે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે લોકમત બિનજરૂરી હતો અને એની માગણી પણ કરવામાં આવી ન હતી. 1948ના ફેબ્રુઆરીની 20મી તારીખે લોકમત લેવામાં આવ્યો હતો. 2,01,457 નોંધાયેલા મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા. માણાવદર, માંગરોળ, બાબરિયાવાડ તથા બીજા બે ખંડિયા વિસ્તારોમાં પણ લોકમત સાથોસાથ લેવાયો. આ વિસ્તારોમાં 31,434 મતોમાંથી પાકિસ્તાન તરફ માત્ર 39 મત હતાદેશ આઝાદ થયો એ વખતે ત્રણ રજવાડાં એવાં હતાં કે જેનો પ્રશ્ન પેચીદો હતો. જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ.

હૈદરાબાદ 82,000 ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતું સૌથી મોટું દેશી રજવાડું હતું. તેની 1 કરોડ 60 લાખની વસતીમાં 85 ટકા હિંદુ હતા. તેના લશ્કરી અને વહીવટી તંત્રમાં મુસલમાનોનું વર્ચસ્વ હતું. તેના રાજવી મુસલમાન હતા. જૂનાગઢમાં પણ 80 ટકા પ્રજા હિંદુ હતી અને શાસક મુસલમાન હતા. કાશ્મીરમાં સ્થિતિ વિપરીત હતી. ત્યાં રાજા હિંદુ હતા અને ત્રણ ચતુર્થાંશ કાશ્મીરીઓ મુસલમાન હતા. કાશ્મીરની સરહદો ચીન અને અફઘાનિસ્તાનને અડતી હતી. ઇતિહાસકાર અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પોતાના પુસ્તક ‘પટેલ અ લાઇફ’માં નોંધે છે કે ‘કાશ્મીર મેળવવાની સરદાર પટેલને ખાસ ઇચ્છા નહોતી. તેનું ભૌગોલિક સ્થાન વ્યૂહાત્મક હતું, છતાં વસતી મોટા ભાગની મુસલમાન હતી.’ ઝીણા જૂનાગઢને આગળ ધરીને કાશ્મીર મેળવવા ઇચ્છતા હતા. નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવતાં કાઠિયાવાડમાં મુસ્લિમવિરોધી વાતાવરણ જામ્યું હતું. જો જૂનાગઢમાં લોકમત લેવાય અને ત્યાંના લોકો ભારત સાથે જવાનું પસંદ કરે તો કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી હોવાથી જો લોકમત લેવાય તો ત્યાંના લોકો પાકિસ્તાન સાથે જવાનું પસંદ કરે એવું ઝીણા માનતા હતા.

Junagadh 2

રાજમોહન ગાંધી લખે છે, ‘આ જોડાણને કારણે અત્યંત મહત્ત્વનો સવાલ ઉપસ્થિત થયો. નવાબ અને દીવાન જૂનાગઢને પાકિસ્તાનમાં જોડી શકે તો નિઝામ હૈદરાબાદને પણ ન જોડી શકે? વળી, જૂનાગઢ જેવા પ્યાદાનો ઉપયોગ કરીને ઝીણા શતરંજનો વજીર ઉઠાવી લેવા માગતા હતા. એ વજીર તે કાશ્મીર હતું.’ ઝીણાને ખાતરી થઈ હતી કે જૂનાગઢના રાજવી નહીં પણ તેના પ્રજાજનોએ પસંદગી કરવી જોઈએ, તેવી માગણી હિંદુસ્તાન કરશે જ. આવી માગણી થાય અને કાશ્મીરના મહારાજા ભારતમાં જોડાય તો પોતે પણ આવો આગ્રહ સેવી શકે.’

‘કાશ્મીરમાં લોકમત લેવાય તો ભારત-પાકિસ્તાનનો વિકલ્પ ઇસ્લામતરફી અને વિરોધી એવા મુદ્દા પર ચૂંટણી લડી શકાય. 30 સપ્ટેમ્બરે નેહરુએ માઉન્ટબેટનની હાજરીમાં લિયાકતને જણાવ્યું કે જૂનાગઢના નવાબે કરેલા જોડાણ સામે વિરોધ હોવા છતાં, જૂનાગઢમાં ચૂંટણીઓ થાય કે લોકમત લેવાય તો તેનું પરિણામ ભારત સ્વીકારી લેશે.”

‘વલ્લભભાઈએ સ્પષ્ટતા કરી કે કાશ્મીરમાં લોકમત લેવાય તો હૈદરાબાદમાં પણ લોકમત લાગુ કરવો પડશે. ઝીણા આ માટે તૈયાર ન હોવાથી તેમણે જૂનાગઢમાં પણ લોકમતનો અસ્વીકાર કર્યો.’અગાઉ કહ્યું તેમ કાશ્મીર મેળવવાની સરદાર પટેલને ખાસ ઇચ્છા નહોતી, પરંતુ જૂનાગઢ પ્રકરણ પછી સરદાર પટેલ કાશ્મીરમાં રસ લેવા લાગ્યા હતા. રાજમોહન ગાંધી લખે છે કે ‘મુસલમાન રાજા અને હિંદુ બહુમતી પ્રજા ધરાવતું રાજ્ય ઝીણા સ્વીકારી શકે તો હિંદુ રાજા અને મુસલમાન બહુમતી પ્રજાવાળા રાજ્યમાં સરદારે શા માટે રસ લેવો નહીં? આ ક્ષણથી પ્યાદા અને વજીર જેવા જૂનાગઢ અને કાશ્મીર બંનેમાં સરદાર સરખો જ રસ લેવા લાગ્યા.’

એક ઉપાડી લેવું અને બીજાનું રક્ષણ કરવું. હૈદરાબાદ તો તેમના માટે શતરંજ પટનો રાજા હતો. તેથી તેને પણ સંભાળવું તેવો તેમનો નિર્ણય હતો. પ્યાદું અને રાજા- જૂનાગઢ અને હૈદરાબાદ – હિંદુસ્તાનને ઝીણાએ મળવા દીધા હોત તો, વજીર કદાચ સરદારે પાકિસ્તાનને મળવા દીધો હોત. પણ ઝીણાએ આ સોદો નકારી કાઢ્યો. જૂનાગઢ આઝાદ થયું એના ચોથા દિવસે સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને બહાઉદ્દીન કૉલેજના પ્રાંગણમાં વિશાળ મેદની સમક્ષ ભાષણ કર્યું હતું. રાજમોહન ગાંધી નોંધે છે કે ‘એ ભાષણમાં તેમણે ભુટ્ટો અને જોન્સને વાસ્તવિક દૃષ્ટિ રાખવા માટે અને ભારતીય સેનાને સંયમ સાચવવા માટે અભિનંદન આપ્યાં હતાં.’

‘તેમણે કાશ્મીર અને હૈદરાબાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. હૈદરાબાદ વાસ્તવિક પરિસ્થિતિ સમજશે નહીં તો તેના હાલ પણ જૂનાગઢ જેવા જ થશે. પાકિસ્તાને કાશ્મીર સામે જૂનાગઢને ખડું કરી દીધું. અમે આ સવાલનું નિરાકરણ લોકશાહીની રીતે કરવાની વાત રજૂ કરી ત્યારે, તેમણે (પાકિસ્તાને) કહ્યું કે આ નિયમ કાશ્મીરને લાગુ પાડવામાં આવે, તો પોતે જૂનાગઢનો વિચાર કરશે. અમારો જવાબ એ હતો કે આ વાત હૈદરાબાદમાં કબૂલ રાખો તો અમે કાશ્મીરમાં કબૂલ રાખીએ.