Vadodara: વડોદરા શહેરના દવાખાનાઓમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાને લગતી ગાઈડ લાઈન
વડોદરા (Vadodara) શહેરના દવાખાનાઓમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાને લગતી ગાઈડ લાઈનના અમલની ચકાસણી કરવા ૧૦ એચ. એસ. ટી.ની રચના કરવામાં આવી: અધિસુચના પ્રમાણે તેમની ચકાસણીની કામગીરીની આપવામાં આવી વિગતવાર સમજણ
વડોદરા, ૦૪ એપ્રિલ: વડોદરા (Vadodara) શહેરમાં ખાનગી કોવિડ સારવાર સુવિધાઓમાં કોવિડની કેવી અને કેટલી અસર વાળા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી અને અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ બેઝ કોવિડ સારવાર હેઠળ મૂકવા અંગેની ગાઇડલાઇન અધિસુચના દ્વારા અમલમાં મુકવામાં આવી છે.
તેનો આશય વધુ અસર ધરાવતા અને દાખલ દર્દી તરીકે તબીબી ભલામણ પ્રમાણે સારવારની જરૂર છે તેવા દર્દીઓ ને જ માન્ય ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવે અને હોસ્પિટલના બેડની આવા કેસો માટે અછત ના સર્જાય અને સહુને ઉચિત સારવાર મળે તેવો છે.
તેને અનુલક્ષીને ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે દવાખાનાઓમાં જેમને દાખલ દર્દી તરીકે જ સારવાર આપવાની જરૂર છે, માત્ર તેવા જ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે કે કેમ અને જાહેરનામાનો અમલ ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યો છે કે કેમ તેની ચકાસણી કરવા આજે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ૧૦ હોસ્પિટલ ઇન્સ્પેકસન ટીમો – એચ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે અને ટીમો એ ઉચિત બ્રિફિંગ બાદ તેમની નિરીક્ષણ અને ચકાસણીની કામગીરી શરૂ કરી દીધી છે.
આ એચ.એસ.ટી.માં ૨૦ વરિષ્ઠ તબીબો અને બરોડા મેડિકલ કોલેજ,સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી પ્રાધ્યાપકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે સવારે આ ટીમોના સદસ્યો એ કેવી રીતે અસરકારક કામગીરી કરવી તેની રૂપરેખા અને અધિસુચના પ્રમાણેની પ્રવેશ પાત્રતા અને ચકાસણીના માપદંડોની જાણકારી વિશેષ સત્રમાં આપવામાં આવી હતી જેમાં એસોસિયેશન ઓફ પ્રાઇવેટ હોસ્પિટલસ ઓફ વડોદરા (Vadodara) સેતુના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટીમોએ દવાખાનાઓમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની બાબતમાં અધિસુચનાનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે અને તે સિવાયના દરદીઓને જો દાખલ જણાશે તો તેમને હોમ બેઝ કોવિડ કેર માટેના સંજીવની અભિયાન હેઠળ મૂકશે.
જે હોસ્પિટલો દાખલ દર્દીઓ માટેના ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી જણાશે તેની સામે એપિડેમિક એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પગલાં લેવાની જોગવાઇ છે .
સેતુ દ્વારા પણ સદસ્ય દવાખાનાઓના તબીબોને રોગની ગંભીરતા અને દાખલ દર્દી તરીકે સારવાર મેળવવાની અનિવાર્યતા ચકાસીને ગાઈડ લાઈન પ્રમાણે જ દર્દીઓને દાખલ કરવામાં આવે તેની કાળજી લેવા અને કોવિડ સામેની લડાઇને મજબૂત કરવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.