દૂરદર્શન-આકાશવાણીના ૯૦ના દસકના સમાચાર વાચિકા ઉદ્ઘોષિકા કેતકી ઠાકરનું દુ:ખદ અવસાન
૦૭ સપ્ટેમ્બર, અમદાવાદ દૂરદશર્ન-ડી.ડી. ગિરનાર અને આકાશવાણી અમદાવાદના ૯૦ના દાયકાના જાણીતા ન્યૂઝ રિડર અને ઉદ્ઘોષિકા શ્રીમતી કેતકી ભૂવનેશ ઠાકરનું સોમવારે સવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું છે. શ્રીમતી કેતકી ઠાકરે ૯૦થી ર૦૦૧-૦ર સુધીના દાયકામાં દૂરદર્શનના આકાશવાણી સમાચાર વાચિકા તરીકે સેવારત રહીને પોતાના ઉચ્ચાર શુદ્ધિ સ્પષ્ટતા સાથેના સમાચાર વાંચન દ્વારા આગવી લોકપ્રતિષ્ઠા મેળવી હતી.
તેમણે રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો, સ્વાતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં કાર્યક્રમ સંચાલન તેમજ માહિતી ખાતા દ્વારા નિર્મિત પરિવતર્ન, લોકશાહીના ધબકારા શ્રેણીમાં પણ પોતાનો અવાજ લાંબા સમય સુધી આપેલો છે. તાજેતર માં દૂરદર્શનના ૮૦ થી ૯૦ના દશકના ન્યૂઝ રિડર્સે કોરોના વોરિયર્સ તરીકે જનજાગૃતિ ફેલાવતા ‘ભારત મેરા મૂસ્કાયેગા’ વિડીયો સોંગમાં પણ શ્રીમતી કેતકી ઠાકરે પોતાનું પ્રદાન કર્યુ હતું.
કેતકી બહેન ઠાકર છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં સોમવારે વ્હેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાની પાછળ પતિ શ્રી ભૂવનેશ ઠાકર તેમજ બે પૂત્રો, પૂત્ર વધુને વિલાપ કરતાં છોડી ગયા છે. શ્રીમતી કેતકી ઠાકરના અવસાનથી દૂરદર્શનના વરિષ્ઠ સમાચાર વાચકો સહિત તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે.