શિક્ષકોનું રક્તદાન અભિયાન: ડભોઇ અને શહેરની શિબિરમાં ૨૧૫ બોટલ લોહીનું મળ્યું જીવન રક્ષક દાન
ખાસ ફરજ પરના અધિકારીની પ્રેરણાથી શિક્ષકોનું રક્તદાન અભિયાન: ડભોઇ અને શહેરની શિબિરમાં ૨૧૫ બોટલ લોહીનું મળ્યું જીવન રક્ષક દાન
વડોદરા,૧૦ ઓક્ટોબર: વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓની જીવન રક્ષા માટે માનવ રક્તની સતત જરૂર પડતી હોય છે. કોવિડની પરિસ્થિતિને લીધે રક્તદાન પ્રવૃત્તિમાં ઓટ આવી છે અને હોસ્પિટલોમાં કોવિડ સહિતના દર્દીઓ માટે લોહીની જરૂર વધી છે.આ ખોટને પૂરવા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની પ્રેરણાથી ટીમ એજ્યુકેશન દ્વારા શિક્ષક સંઘો,શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલી કચેરીઓના સહયોગથી રક્તદાન એકત્રીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તેની કડી રૂપે સયાજી હોસ્પિટલ માટે ટીમ એજ્યુકેશન દ્વારા શહેરની શ્રેયસ હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. ટીમ એજ્યુકેશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માઘ્યમિક શાળા મંડળના સહયોગથી યોજીત આ શિબિરમાં ૨૦૦ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૩૫ બોટલનું રક્તદાન મળ્યું હતું.
તેવી જ રીતે,ડભોઇમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને શિક્ષક સંઘના સહયોગથી યોજીત શિબિરમાં ૧૫૦ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ૮૦ બોટલ રક્તનું દાન સયાજી અને ગોત્રી હોસ્પિટલના દર્દીઓ માટે મળ્યું હતું. ડો.રાવે આયોજક સંસ્થાઓ અને રક્તદાતાઓની ભાવનાને બિરદાવી હતી.