જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: લાભાર્થી
મહિલાઓના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: મહિલા લાભાર્થી ઉવાચ
વડોદરા જિલ્લામાં યોજનાના પ્રારંભે ૧૫ મહિલાઓને રૂ.૧૫ લાખના ધિરાણ મંજૂરી પત્રો એનાયત
સંકલન: માહિતી બ્યુરો, વડોદરા
વડોદરા, ૨૩ સપ્ટેમ્બર: રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના, સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે એમ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂની જીથરડીના અંજુબહેન પટેલે જણાવ્યું છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બેંક મારફત રૂ.એક લાખનું ધિરાણ મળવાનો હરખ વ્યક્ત કરતાં અંજુબહેન જણાવે છે કે, તેઓ ગોપી સખીમંડળ હેઠળ મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રૂ ની પૂણી તથા અનાજ કરિયાણાનો વેપાર કરે છે. અંજુબહેન કહે છે કે, અમારા જૂથને અગાઉ રૂ.નવ લાખનું ધિરાણ મળ્યું હતું. તેમાંથી આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરી જૂથની મહિલાઓને ખેતી કામ કરવા, બાળકોની શાળાની ફી ભરવા માટે ધિરાણ કરવામાં આવે છે. બેંક ધિરાણના નાણાં સમયસર ભરપાઈ કરવામાં આવે છે.
તો અટાલીના સુનંદા બહેન ભટ્ટ કહે છે કે, ઝીરો ટકા વ્યાજે રૂ.એક લાખ સુધીનું ધિરાણ મળતા હવે અમો સારી રીતે અમારો વ્યવસાય કરી શકીશું અને વધુ આવક મેળવી શકીશું. મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખોલવા બદલ તેમને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના પ્રારંભે ૧૫ મહિલાઓને રૂ.૧૫ લાખના ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ મહિલાઓને સરળતાથી બેંક ધિરાણ મળી રહે તે માટે શહેરી અને ગ્રામ્યકક્ષાએ રાષ્ટ્રીયકૃત અને સહકારી સહિત ૧૧ બેંકો સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં ૭,૫૦૩ સ્વ સહાયતા જૂથની રચના કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં આ જૂથ પૈકી ૩૦૫ સ્વ સહાયતા જૂથોની ૩,૦૫૦ જેટલી મહિલાઓને આજીવિકા માટે વિવિધ સ્વરોજગારીની પ્રવૃતિ દ્વારા આર્થિક ઉપાર્જન માટે રૂ.૪૪૬.૦૬ લાખનું માતબર ધિરાણ બેન્કો દ્વારા કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂ.એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે. ગુજરાતની મહિલાશકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને ૧૦ લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે.
આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓનું આર્થિક સશકિતકરણ થશે.
કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ-માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. આ યોજનાનો રાજ્યના એક લાખ મહિલા જૂથની કુલ ૧૦ લાખ માતા-બહેનોને મળશે. અને કુલ ૧,૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ આપવામાં આવશે. મહિલા જૂથ દીઠ રૂ.એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.
આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે અને કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યમંત્રીશ્રીનો ધ્યેય સાકાર થશે.
આ યોજના હેઠળ મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૭૫ કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોની ૫૦ હજાર અને શહેરી ક્ષેત્રની ૫૦ હજાર મળી કુલ એક લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરશે.
શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આપી છે.