સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં ૧૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
- શિક્ષણનો ઉપયોગ સમાજના કલ્યાણ અને પડકારોને પહોંચી વળવા માટે કરવા પદવી ધારક વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
- પદવી ધારકો અને ગોલ્ડ મેડલ મેળવનારા તેજસ્વી છાત્રોને શુભકામના પાઠવતા:રાજ્યપાલશ્રી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં ૨૯૭૭૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત : ૧૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
- સ્ટાર્ટઅપ ઇનોવેશન પેટર્ન ફાઇલ કરવામાં ગુજરાત સતત બે વર્ષથી અગ્રેસર : શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- પદવી ધારક વિદ્યાર્થીઓ જીવનલક્ષી શિક્ષણમાં પણ સફળ થાય: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે
અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ
રાજકોટ તા. ૧૯ ડિસેમ્બર – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ૫૫માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ મેળવેલા શિક્ષણનું સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરે તે રાષ્ટ્રના અને સમાજના વિકાસ અને ઉન્નતિ માટે જરૂરી છે. રાજ્યપાલશ્રીએ ભારતના અધ્યાત્મ દર્શન અને ઋષિ પરંપરાના પ્રભાવક દ્રષ્ટાંતો આપીને વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલીને ઉત્તમ ગુણોને અનુસરીને જીવનમાં આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો.
રાજયપાલ શ્રી એ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે ખેતી અને વિદ્યા બંનેમાં સતત અપડેટ રહેવું જરૂરી છે. ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં સાયન્સ અને ટેકનોલોજી નો ઉપયોગ કરી સમાજના કલ્યાણ માટે માનવતાની દ્રષ્ટિ રાખવા પણ જણાવ્યું હતું . સંતોષ મોટુ સુખ છે તેમ જણાવીને માતા પિતાનો, ગુરૂજનોનો આદર કરવાની સાથે ભારતીય સંસ્કૃતિ ગુરુકુળ પરંપરા અને બીજાને મદદ કરવાની ભાવના આત્મસાત કરવા પણ જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ અશ્વપતિ રાજાની માનવતાના દ્રષ્ટાંતો આપીને વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક અને આદર્શ જીવન આ અંગે ચિંતન કરીને સર્વ વિકાસ, સર્વ કલ્યાણ ની વિભાવના વ્યક્ત કરી હતી રાજ્યપાલશ્રીએ સમસ્યાઓ અને પડકારો નો સામનો કરવા માટે મેળવેલા ઉત્તમ શિક્ષણ નો ઉપયોગ કરી રાષ્ટ્રની ઉન્નતી માં સહભાગી બનવા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૫ મો પદવીદાન સમારોહ કોવિડ૧૯ ની વર્તમાન પરિસ્થિતિને લીધે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને અને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રત્યક્ષ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રત્યક્ષ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સાયન્સ અને ટેકનોલોજી ને શિક્ષણ સાથે સમન્વય કરીને ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના પ્લેટફોર્મ થકી નવા આવિષ્કાર કરી રહ્યા છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત કોલેજોમાં ઇનોવેશન સેન્ટર વધી રહ્યા છે. એસઆઈપી સેન્ટર માં વિદ્યાર્થીઓની પ્રતિભા રાજ્ય રાષ્ટ્રના વિકાસ માટે આગળ આવી રહી છે .છેલ્લા બે વર્ષ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આઇઆઇટી દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન પેટર્ન ફાઇલ કરવામાં ગુજરાત સતત બે વર્ષથી અગ્રેસર છે. સમગ્ર દેશની ૭૨૬ પેટર્ન ફાઈલ સામે ગુજરાતે એકલા ૮૦૦ પેટર્ન ફાઇલ કરી છે. ગોલ્ડ મેડલ મેળવનાર અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને શિક્ષણ મંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યુવાઓના સામર્થ્યની સંકલ્પનાઓને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓને પ્રમાણિક, જવાબદારીપણું, શિસ્તબદ્ધતા, હિંમત સહિતના ગુણો વિકસાવવા અને જીવનમાં પ્રગતિ કરવા શુભકામના પાઠવી હતી
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ પદવી ધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે જે રીતે શિક્ષણમાં સફળતા મળી છે તે રીતે હવે આગળ કારકીદીમાં પણ જીવનલક્ષી શિક્ષણ મેળવીને યુવાનો સફળ થાય એવી મનોકામના વ્યક્ત કરુ છુ. તેઓએ વિદ્યાર્થીઓને પર્યાવરણ નુ રક્ષણ અને સ્વચ્છતા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધવા પણ જણાવ્યું હતું. તેઓએ ગ્રીન યુનિવર્સિટીના કોન્સેપ્ટ પણ રજૂ કરી વિદ્યાર્થીઓને સમાજના વિકાસમાં સહભાગી બનવા અને મેળવેલા શિક્ષણ થકી ઉજ્જવળ કારકિર્દી બનાવવા શુભકામના પાઠવી હતી.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનના સ્ટેજ પર થી ૨૨ તેજસ્વી વિદ્યાર્થીઓને ૩૬ મેડલ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આપવામાં આવ્યા હતા તે પૈકી ૧૯ વિદ્યાર્થીનીઓ હોવાથી સગૌરવ અભિનંદન આપ્યા હતા. ૨૯૭૭૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૪૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીના હસ્તે ડેસ્ક કેલેન્ડર ડાયરી અને ડિરેક્ટરી નું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. વિજય ભાઈ દેસાણી એ સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમની ભૂમિકા અને પ્રસ્તાવના યુનિવર્સિટીની શૈક્ષણિક વિકાસની રૂપરેખા કુલપતિ ડૉ નીતિનભાઈ પેથાણી એ આપી હતી. આ પ્રસંગે કુલ સચિવ શ્રી જતીનભાઈ સોની ,કાર્યકારી પરીક્ષા નિયામક શ્રી નીલેશભાઈ સોની તેમજ મેહુલભાઈ રૂપાણી સ્નેહલભાઈ અને વિવિધ શાખાના ડીન તેમજ અધ્યાપકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા