લોકોને રસી સલામત હોવાની ખાત્રી કરાવવા મોખરાના કોરોના લડવૈયા તરીકે જાતે રસી મુકાવી
વડોદરા, ૧૯ જાન્યુઆરી: જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી હોસ્પિટલના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ આજે યોજાયેલા રસીકરણ કાર્યક્રમ માં,અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં જે બે રસીઓ કોવીડ સામે સુરક્ષા માટે મૂકવામાં આવી રહી છે એ બંને ઘણી સલામત રસીઓ છે એવી જાણકારી આપતાં ડો. શિતલે જણાવ્યું કે વૈજ્ઞાનિકો એ ખૂબ મહેનત કરીને આ રસી વિકસાવી છે.
આરોગ્ય ક્ષેત્રના કર્મયોગીઓ ને મોખરાની હરોળના કોરોના લડવૈયા ગણીને રસી લેવાની પહેલી તક આપવામાં આવી તેનો આનંદ વ્યકત કરતાં ડો. શિતલે જણાવ્યું કે લોકોમાં આ રસી સલામત હોવાનો વિશ્વાસ બંધાવવા અમે લોકો સહુથી પહેલા રસી મુકાવીએ તે જરૂરી છે. ભારત સરકારે તમામ પેરા મીટર્સનો તલસ્પર્શી અભ્યાસ કરીને આ રસીઓના ઉપયોગની મંજુરી આપી છે તેમ જણાવતા એમણે ઉમેર્યું કે વિદેશમાં જે રસીઓ ની ગંભીર આડ અસર થઈ છે એમાં પી.ઇ.જી.ના તત્વનું રીએકશન જવાબદાર છે. ભારતમાં મુકાઈ રહેલી રસીઓમાં એના બદલે પોલી સોરબેટ વપરાય છે જેની નજીવી આડ અસર કેટલાક કિસ્સામાં વર્તાય છે.જેમને નજીવી આડ અસર થઈ એમને સામાન્ય દવાઓ આપવાથી સારું થયું છે.કોઈ ગંભીર આડ અસર થઈ નથી.
રસીકરણ પહેલા લાભાર્થીની ક્લિનિકલ હિસ્ટ્રી લેવામાં આવે છે અને ફૂડ એલર્જી કે અન્ય કોઈ બાબત જેના લીધે તકલીફ થવાની શક્યતા હોય તે જાણમાં આવે તો એવા લાભાર્થીને રસી મુકવામાંથી બાકાત કરવામાં આવે છે.રસીકરણ કેન્દ્ર ખાતે લાભાર્થી ને ૩૦ મિનિટ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે અને સામાન્ય આડ અસરોના ઈલાજની સુવિધા રાખવામાં આવી છે.આમ,ખૂબ તકેદારી સાથે રસી આપવામાં આવી રહી છે.એટલે કોઈપણ પ્રકારનો ખોટો ડર રાખ્યા વગર તક મળે થી રસી મુકાવી લેવાનો એમણે સંદેશ આપ્યો હતો.
રસી કોરોના સામે રક્ષણ આપશે: ડર રાખ્યા વગર રસી લેજો:સ્ટાફ નર્સ માવી ચાર્મી
જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી ખાતે સ્ટાફ નર્સ માવી ચાર્મીએ ખૂબ ઉત્સાહ સાથે કોવીડ સામે સુરક્ષા આપતી રસી લીધી હતી. રસી સુરક્ષા આપશે એવું વિશ્વાસ સાથે કહેતા ચાર્મીએ જણાવ્યું કે અમે છેલ્લા એક વર્ષ થી કોવીડના દર્દીઓની સારવારમાં ખૂંપેલા રહ્યાં,સ્ટાફ નર્સ બહેનો એ 21 થી 22 રાઉન્ડ કોરોના ડયુટી કરી.હવે રસી લેવામાં પણ પહેલાં રહ્યાં છે. અમે પહેલી રસી લીધી છે એટલે તમે ડર રાખ્યા વગર રસી લેજો.
ખરેખર તો આ રસીની રાહ જોવાતી હતી.રસી લઈને મને આનંદ થયો છે.કોઈ ડર લાગ્યો નથી.એટલે રસી લેવામાં કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી અને અફવાઓમાં વિશ્વાસ કર્યા વગર રસી લેજો.
રસીકરણથી દેશમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે: ડો.વિજય શાહ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરમાં શરૂ કરાવવા માં આવેલા કોવીડ રસીકરણ અભિયાન નો આનંદ વ્યકત કરતા શહેર બીજેપી અધ્યક્ષ ડો વિજય શાહે જણાવ્યું કે આ અભિયાન થી દેશ અને રાજ્યમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે. સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોવીડ ના પડકારનો સફળ મુકાબલો કર્યો તે પછી સલામત રસીકરણ નું પણ વ્યાપક આયોજન કરવામાં આવ્યું એની નોંધ લેવી ઘટે.
કોરોના સામે ની વૈશ્વિક લડતમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું રસીકરણ ખૂબ જ સુરક્ષિત છે. તેની સહુને ખાત્રી કરાવવા આજે જાતે રસી લીધી છે. સલામતીના વિશ્વાસ સાથે આગામી સમયમાં તબક્કાવાર દેશના નાગરિકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે જી.એમ.ઇ.આર.એસ. ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. શીતલ મિસ્ત્રી, ડોકટર્સ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ સાથે કોરોનાની વેક્સિન લઈને ખૂબ સુખદ અનુભૂતિ થઈ છે.
આ પણ વાંચો….કેશોદ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, જાણો વિગતે