જામનગરનું ક્યાં ગામે 6 દિવસમાં 10 હથિયાર મળી આવ્યા જાણો..
લાલપુર તાલુકાના નવાગામમાં હથિયાર પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ: છઠ્ઠા દિવસે વધુ ત્રણ હથિયારો મળી આવતા ભારે હડકંપ
નાના એવા નવાગામ માંથી ૬ દિવસ માં ૧૦ હથિયાર મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું: ઉંડાણપૂર્વકની તપાસ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૦૭ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં થી ૬ દિવસના સમયગાળા દરમિયાન સાત હથિયારો મળી આવ્યા પછી સતત છઠ્ઠા દિવસે પણ હથિયારો પકડાવા નો સિલસિલો અવિરત ચાલુ જ રહ્યો છે, અને અગાઉ પકડાયેલા આરોપીની રિમાન્ડ દરમિયાન વાડી મા સંતાડી રાખેલા વધુ ત્રણ હથીયાર કાઢી આપતાં પોલીસે કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે. છ દિવસ દરમિયાન કુલ ૧૦ હથિયાર પકડાયા છે, જેથી પોલીસ તંત્રમાં પણ દોડધામ થઈ છે. અને સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાલપુર તાલુકાના નવાગામમાં થી પાંચ દિવસ પહેલાં સૌપ્રથમ એલસીબીએ એક હથિયાર પકડ્યું હતું, ત્યાર પછી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે જુદા જુદા સમયગાળા દરમિયાન વધુ છ હથિયારો પકડી પાડયા હતા. પાંચ દિવસના સમયગાળા દરમિયાન નવાગામ માંથી સાત હથિયારો નો જથ્થો કબજે કરાયા પછી મેઘપર પડાણા પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી હતી.
એલસીબી એ સૌપ્રથમ વિરમ મેરામણ ઓડેદરા ને પકડ્યો હતો, અને એક હથિયાર કબજે કર્યું હતું. ત્યાર પછી મેઘપર પોલીસે સુરેશ સુધાભાઈ ગોરાણીયા ને પકડી પાડયો હતો અને ત્રણ હથિયારો કબ્જે કર્યા હતા. જે હથિયાર વિરમ મોઢવાડિયા પાસેથી ખરીદયા હોવાની કબૂલાત આપી હતી.
ત્યાર પછી પોલીસે રાજેશ મોઢવાડિયાને તેમજ નિલેશ ઉર્ફે પોપટ લખમણ મોઢવાડીયા તથા સુરેશ ગોરાણીયા ને પકડી પાડયા હતા. જેમાં રાજુની પૂછપરછ દરમિયાન તેના ઘરમાંથી વધુ એક હથિયાર મળી આવ્યું હતું. અને પોલીસ દ્વારા કુલ સાત હથિયારો કબજે કરાયા હતા.
દરમિયાન મેઘપર પોલીસની ટીમ દ્વારા વિરમ મોઢવાડિયાને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જે રિમાન્ડ દરમિયાન પોલીસ ટુકડી વિરમ ની વાડીએ લઈ ગઈ હતી જ્યાં આજે ખાતરના ઢગલામાં સંતાડેલા વધુ ત્રણ હથિયારો કાઢી આપ્યા હતા. જેમાં એક રિવોલ્વર અને બે પિસ્તોલ નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૧૦ હથિયાર પકડાયા છે, અને તમામ હથિયારો ઉત્તર પ્રદેશના મિરઝાપુર માથી આયાત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર મામલે મેઘપર પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. નવાગામમાં હજુ વધુ હથિયારોનો જથ્થો સંતાડેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.