Surat Samras covid Hospital 2

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત

Surat Samras covid Hospital 2
  • સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત –
  • હાલ સેન્ટરમાં ૧૮૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છેઃ
  • સમરસ હોસ્ટેલ ખાતે ૮૭ કોરોના વોરીયર્સ ખડે પગે ૨૪ કલાક ફરજ બજાવી રહ્યા છેઃ

સૂરતઃશનિવારઃ- કોરોના વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા રાજય સરકાર અને વહીવટતંત્ર દ્વારા અનેક પગલાંઓ સહિત માળખાકીય સવલતો સુરતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આંશિક લક્ષણો ધરાવતા કોરોના દર્દીઓ માટે દ.ગુ.યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે. આ સેન્ટરમાં અત્યાર સુધીમાં સેન્ટરમાં ૨૭૮૨ કોરોના દર્દીઓ સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૪૬પ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત ફર્યા છે જેમા ૧૮૨૬ પુરૂષ દર્દીઓ તથા ૬૩૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ૨૦૦ દર્દીઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ -સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ ૧૮૬ દર્દીઓ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. આ સેન્ટર ખાતે ૬૦૦ જેટલા બેડની ક્ષમતા હોવાનું નોડલ અધિકારી શ્રી વી.કે.સાંબડે દ્વારા જણાવાયું છે.


જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કોરોના કેર સેન્ટરમાં દર્દીઓને સુવિધા સાથે મનમાં ભયમુકત વાતાવરણનું નિર્માણ થાય તેવા પ્રયાસો આર.એમ.ઓ. ડો.મહેન્દ્ર પટેલ, ડો.મુકેશ બલદાણિયા તથા અન્ય ડોકટર, નર્સ દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેઓનો કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ હોવા છતા આંશિક અથવા કોઇ પણ પ્રકારના લક્ષણો જણાતા નથી. આવા દર્દીઓને દ.ગુ.યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે. ડોકટરો દ્વારા દિવસમાં ચાર વાર દર્દીઓનું ટેમ્પરેચર, બી.પી તથા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવે છે.
આ સેન્ટરની વિગતો આપતા નોડલ ઓફિસરશ્રી વી.કે.સાબડ જણાવે છે કે, ૧૫ ડોકટર્સ, ૧૮ નર્સ, ૧૪ પેરામેડિકલ સ્ટાફ, ૪૦ વોર્ડ બોય/સફાઈ કર્મચારી સહિત કુલ ૮૭ જેટલા કોરોના વોરીયર્સ દિન-રાત ફરજ બજાવી રહ્યા છે. માર્ચ-૨૦ થી સમરસ હોસ્ટેલને સરકારી કવોરોન્ટાઈન સેન્ટર તરીકે શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલ કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

Surat Samras covid Hospital edited

સમરસ સેન્ટર ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જશ્રી ડો.નિલમ દવેએ જણાવે છે કે, અહીં આવતા દર્દીઓને એલોપથી તથા ફીઝીશ્યન ડોકટરો દ્વારા દિવસમાં બે વાર તથા અન્ય ડાયબિટીસ, બીપી જેવા રોગ ધરાવતા દર્દીઓને ચાર વાર ચેકઅપ કરવામાં આવે છે. દર્દીના મનોબળ મજબુત કરવા મનોચિકિત્સકોના દિશા-નિર્દેશો અનુસાર દર્દીઓનું મેટેન્સ હેલ્થ સ્કેનીંગ કરવામાં આવે છે. અને જરૂર જણાય તો મનોચિકિત્સક સાથે વાર્તાલાપ કરીને કાઉન્સેલીંગ પણ થાય છે. દર્દીઓનું મન પ્રફુલ્લીત રહે તે માટે પબ્લીક એડ્રસલ સીસ્ટમ દ્વારા નિતલ શાહ દ્વારા મોટીવેશન સ્પીચ સાથે સવાર સાંજ આધ્યાત્મિક સંગીત પણ વગાડવામાં આવે છે. જે માટે દરેક ફલોર પર મ્યુઝીક સીસ્ટમ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓને નિયમિત યોગાભ્યાસ પણ કરાવવામાં આવે છે.
વાંચન રૂચિ ધરાવતા દર્દીઓ માટે ખાસ નાનકડું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા સિસ્ટમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ઉપરાંત સેન્ટર ખાતે બે આર્યુવેદિક ડોકટરો પણ ફરજ બજાવી રહ્યા છે દર્દીઓને નિયમિત ઉકાળો, સંશમનીવટી, આયુષ ૬૪-ટેબ્લેટ આપીને નિયમિત દર્દીઓની મુલાકાત લે છે.

મહત્વની વાત એ છે કે, આજદિન સુધી કોવિડ કેર સેન્ટરમાં કાર્ય કરતા ડોકટર, નર્સ કે સફાઈ કામદારો કોરોનામુકત રહ્યાં છે. દર્દીઓ તથા ડોકટરો એક સમાન ભોજન જમે છે. ભોજનમાં ખાસ કરીને પ્રોટીનયુકત પૌષ્ટિક ખોરાક તૈયાર કરવામાં આવે છે. દર્દીઓને દિવસ દરમિયાન બે ટાઈમ નાસ્તો તથા સવાર-સાંજ ભોજન આપવામાં આવે છે. તમામ ભોજન સંપૂર્ણ તકેદારી રાખીને તૈયાર કરવામાં આવે છે. કોવિડ કેર સેન્ટર ખાતે જે દર્દીઓ સ્વસ્થ થયા બાદ અન્ય કોરોનાપીડિત દર્દીઓ કે, જે ગંભીર હાલતમાં છે તેઓને મદદ કરવા માટે પ્લાઝમા ડોનેટ માટે પણ પ્રેરિત કરવામાં આવે છે જેમાં ૯૫ ટકાં દર્દીઓ પોતાનું લોહી ડોનેટ કરવા માટે સહમતી દર્શાવી છે.
સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે કોરોના વાયરસની સામે ડોકટરો ખડેપગે રહીને યોધ્ધાઓની માફક લડી રહ્યા છે.

સુરત શહેર-જિલ્લા વહીવટીતંત્ર, પંચાયત-સુરતના અધિકારીઓ, ડોકટરો, નર્સીંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને જાય છે. જેઓ પોતાના પરિવારની પરવા કર્યા વગર દિવસરાત દર્દીઓની તકેદારી રાખી રહ્યા છે. દર્દીઓ સાજા થઈ હેમખેમ પોતાના ઘરે હસતા હસતા જાય તેવા અવિરત પ્રયાસો આ કોરોના વોરીયર્સ કરી રહ્યા છે.