અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦

કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા – શ્રી પંકજકુમાર
▪160 વેન્ટિલેટર- 96 ડાયાલિસીસ મશીન- ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી
¤ આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ ¤
▪’ટેલીમેન્ટરિંગ” પ્રણાલીએ કોવિડ-19 દર્દીના ઉપચારમાં સુખદ પરિણામો આપ્યાં:રિયલ-ટાઇમ મોનીટરીંગની વ્યવસ્થા અમલી બનાવી છે
▪એક્સ્ટર્નલ એક્સપર્ટના સહયોગથી ‘ક્વોલિટિ ઓફ કેર’ના નવા પ્રોટોકોલ પ્રમાણે ગોઠવાઈ વ્યવસ્થા

કોરોનાના દર્દીઓની સારવાર સુવિધા માટે રાજ્ય સરકાર કટિબદ્ધતાપૂર્વક પગલા લઈ રહી છે. પૂરી સંવેદનશીલતાથી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ તથા કેન્સર હોસ્પિટલમાં શરુ કોવિડ હોસ્પિટલનો ઉલ્લેખ કરી જણવ્યું હતું કે અત્યાર સુધી 3,153 દર્દીઓ અહીં નોંધાયા છે જેમાંથી 1619 પોઝીટીવ છે અને 800 દર્દી દાખલ છે.

કોરોના દર્દીઓની સારવારમાં હોસ્પિટલ તંત્ર નિર્ભયપણે કામ કરી શકે તે માટે છેલ્લા એક મહિનામાં હોસ્પિટલ ખાતે 65,000થી વધુ પી.પી.ઇ. કીટનો વપરાશ થયો છે. રોજની ત્રણથી ચાર હજાર પી.પી.ઇ. કીટ વપરાય છે. અંદાજે 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા છે.

દર્દીઓને ઉત્તમ સારવાર આપવા માટે તંત્ર સંવેદનશીલતાથી ફરજ બજાવી રહ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય તંત્ર કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી રોજેરોજ રાજ્યની સમગ્ર પરિસ્થિતિનુ મોનીટરીંગ કરી રહ્યા છે.
શ્રી પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે. 21 માર્ચના દિવસે મુખ્યમંત્રીશ્રીએ આ સ્થળની મુલાકાત લીધી હતી તે બાદ ટૂંકા ગાળામાં કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે આ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

અત્રે હોસ્પિટલની દર્દીઓ સમાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેની ક્ષમતા 500 બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા 1700 બેડની થવા પામી છે. જેમાંથી ૩૦૦ જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ. યુનિટ બનાવવામાં આવ્યું છે. એસ.ઓ.પી. પ્રમાણે અહીં 300થી વધુ તબીબો અને ૧૫૦૦ થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડેપગે કાર્યરત છે. અ સ્ટાફને શહેરની હોટલોમાં તેમજ હોસ્પિટલ પરિસરમાં આવેલી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે. અહીં તેમને ભોજન વગેરે સહિત યોગા-પ્રાણાયામ અને સેનિટાઈઝ થયેલા વાહનોમાં આવન –જાવન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

ઈન્દ્ર ધનુષ્યના રંગો મુજબ બદલાતી બેડશીટ અને સિંગલ યુઝ ટોયલેટ જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું કે, અહીં નિયમિત ભોજન-નાસ્તો, પ્રાણાયામ-યોગ એમ દર્દીની તમામ પ્રકારની જરૂરીયાતોનો ખ્યાલ રાખવામાં આવે છે. અહીં દર્દીઓ માટે ડાયેટિશીયનની સલાહ મુજબ ખાસ ભોજન, આયુર્વેદીક ઉકાળા હર્બલ-ટીની સાથે-સાથે દરેક વસ્તું હાઈજીન હોય તેનો ખાસ ખ્યાલ રખાય છે. ઉપરાંત દર્દી અને સ્ટાફના કપડાને ધોવા માટે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ લોન્ડ્રી તથા વસ્તુઓને જંતુરહિત કરવા માટે આગવી વ્યવસ્થા કરાઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે, દર્દીઓ તથા સ્ટાફને કાઉન્સેલીંગ અપાય છે. ઉપરાંત દર્દીઓના સગાને તેનો લાભ અપાય છે. હાલ અહી 800થી વધુ લોકોનુ કાઉંસેલીંગ કરાયુ છે.
કોરોનાના શંકાસ્પગ કે પોઝિટિવ દર્દીઓને સારવાર આપી તેઓ ઝડપથી સાજા થાય અને પોતાના ઘરે પરત ફરી તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં પરોવાય તે રાજ્ય સરકારની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય અગ્રસચિવશ્રી ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતુંં કે, કોરોના દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ અત્યંત નિષ્ઠા અને સંવેદના પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતમાં દર્દીઓને સાજા કરવા એક મહિનાથી ટેલીમેન્ટરિંગ યોજવામાં આવે છે. રોજ 12:30 થી 01:30 દરમિયાન કરવામાં આવતા ટેલીમેન્ટરિંગના ફળદાયી પરિણામો મળ્યા છે. આ ટેલીમેન્ટરિંગ સેશનમાં દેશના જાણીતા ડોક્ટર નૈલી શેઠિ પણ જોડાયા છે. આ પધ્ધતિ દ્વારા 25 ડોકટરોની ટીમ ‘વેંટિલેટરી કેર’ વાળા દર્દીઓની સાથે કેસ ટૂ કેસ ચર્ચા કરે છે અને તેમના ઇનપુટ ના પગલે સારવાર તથા દવાઓ અપાય છે.

સંકલન અને દેખરેખ માટે રિયલ ટાઇમ મોનીટરીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભારત સરકારની ICMRના નિર્દેશોનું પાલન કરી અહીં સમગ્ર સિવિલ તંત્ર પવિત્ર ભાવના સાથે કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે એક્સ્ટર્નલ એક્સપર્ટના સહયોગથી ‘ક્વોલિટિ ઓફ કેર’ના નવા પ્રોટોકોલ પ્રમાણે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.
ખાસ ફરજ પરના તબીબોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ડૉ. કમલેશ ઉપાધ્યાય, એસોસિએટ પ્રો. ડૉ. શિવાની પટેલ, જામનગરના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. યાજ્ઞિક ચોટાલા, ડૉ. ચિત્રલેખા વોરા, એનેસ્થીસિયા ડૉ. જાનવી, ડૉ.ભરત મહેશ્વરી, ડૉ. પૂર્વિ મહેતા, નોડલ ઓફિસર ડૉ. દીપશિખા ત્રિપાઠી વગેરે તબીબો તેઓની ટીમ સાથે સતત દર્દીઓનું ધ્યાન રાખીને સેવા-સુશ્રુષામાં કાર્યરત છે

ઈમરજન્સી માટે ડો. ચિરાગ પટેલ, ડૉ. બેલા પ્રજાપતિ ટી.બી.ના દર્દીઓ માટે ડૉ. રાજેશ સોલંકી અને તેમની ટીમ કાર્યરત છે. ડૉ. રાઘવ દીક્ષિત દરરોજ કીટ પહેરી પેશન્ટ સાથે વાર્તાલાપ કરે છે. કર્નલ સંજય કુમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંકલન સાધી નાભ(NABH) એક્રેડિટેશનની કામગીરી સંભાળી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

છેલ્લા 45 દિવસથી તબીબો અને તજજ્ઞો કોરોનાને નાથવા અહીં કાર્યરત છે. ઉપરાંત ‘એથીક્સ કમિટી’ની રચના પણ કરાઇ છે જેમા ડૉ. અતુલ પટેલ, ડો તેજસ પટેલ, ડૉ. આર.કે પટેલ અને ડૉ. પાર્થીવ મહેતાના ઇનપુટના પગલે કાર્યવાહી કરાતી હોવાની જાણકારી તેમણે આપી હતી.