મૈસુર (Mysore)ની પરંપરાગત ‘વુડ ઈનલે ક્રાફટ’ ના રંગબેરંગી શોપીસ શોભાવે છે દીવાનખંડ
Mysore wood artist : નેચરલ વુડને કાર્વિંગ કરી તૈયાર કરાય છે આર્ટિસ્ટિક શોપીસ
Mysore: ફળાઉ વૃક્ષના લાકડામાંથી બનતા શોપીસની કિંમત રૂ. ૧૫૦૦ થી એક લાખ સુધી, તૈયાર કરતાં લાગે છે 3 મહિનાથી વધુનો સમય
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ, ૧૦ માર્ચ: રાજકોટના રેસકોર્સમાં ચાલતા હસ્તકલા મેળા ”ગાંધી શિલ્પ બજારમાં’ જાઓ ત્યારે ભારતની વિવિધ કલા – સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક પ્રદર્શન સ્ટોલ પૈકી એક સ્ટોલ ખાસ ધ્યાન આકર્ષે છે. રંગબેરંગી શોપીસની કતારબદ્ધ લાઈનો દૂરથી જોઈએ તો કોઈ સુંદર મજાના પેઇન્ટિંગ હોય તેવું લાગે, પરંતુ નજીક જઈને તેને નિહાળીએ ત્યારે ખબર પડે કે દૂરથી કલરફૂલ દેખાતા સુંદર મજાના પેઈન્ટીંગ એ વાસ્તવમાં લાકડાના અલગ અલગ લેયરમાંથી બનાવેલ નેચરલ આર્ટિસ્ટિક શોપીસ છે.
આ જાદુ છે કર્ણાટક, મૈસૂરની (Mysore) વુડ ઈનલે ક્રાફ્ટનો. વર્ષોથી પરંપરાગત રીતે જુદા જુદા ફળાઉ વૃક્ષોના રંગીન લાકડામાથી તૈયાર કરાય છે વિવિધ શોપીસ. દેવી-દેવતા, કુદરતી દ્રશ્યો, ગ્રામ્ય જીવન અને પશુ-પક્ષીઓના સુંદર કાષ્ઠ શિલ્પ દીવાનખંડની શોભા વધારે છે.
મૈસુરથી (Mysore)આ મેળામાં ભાગ લેવા આવેલા સ્ટોલ ધારક ષણ્મુગમ જગન્નાથ આ કલા વિષે જણાવતા કહે છે કે, આ તમામ ક્રાફટ અલગ અલગ લાકડાને કાપી તેના કટકાઓને જોડીને બનાવવામાં આવે છે. વિવિધ ફળના ઝાડની લાકડીઓ કુદરતી રંગ ધરાવે છે, પરિણામે વર્ષો સુધી આર્ટના કલર અકબંધ રહે છે.
એક આર્ટ તૈયાર થતા કેટલો સમય લાગે ? તેમ પૂછતાં શણ્મુગમ જણાવે છે કે, માત્ર ૨x ૪ ફૂટની સાઈઝનું એક આર્ટ બનાવતા એકથી વધુ કારીગરને ૩ થી ૪ મહિના જેટલો સમય લાગે છે. પિક્ચરમાં કેટલું ડીટેઈલિંગ છે તેના પર આધાર રહે છે.
મૈસુરમાં (Mysore)આ આર્ટને શીખવવા માટે પાઠશાળા પણ ચલાવવામાં આવે છે. ગૌરવની વાત છે કે, ભારતીય કલા દેશવિદેશમાં પ્રખ્યાત છે. તેમના આર્ટ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન સહીત વિવિધ દેશોમાં જાય છે. શોપીસ ઉપરાંત કલાત્મક સોફાસેટ, ખુરસીઓની પણ બોલબાલા હોવાનું તેઓ જણાવે છે.
ભારતીય પરંપરાગત હસ્તકલા બેજોડ છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા હસ્તકલાને પ્રોત્સાહન આપવા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કારીગરી સાથે સંકળાયેલા લોકો માટે કારીગરીને લગતા સેમિનાર, વર્કશોપ, મેળાઓ અને તેમનું આર્ટ વેચાણ માટે ખાસ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ષણ્મુગમ જગન્નાથ જેવા અનેક કલાકારો – ગ્રામ્ય કારીગરોને તેમની ચીજ વસ્તુઓના વેંચાણ માટે સારૂં બજાર ઉપલબ્ધ બન્યુ છે.
આ પણ વાંચો…Maha shivratri: અંબાજી માં આઠ જેટલા શિવાલયો આવતી કાલે શિવ દર્શન ખુલ્લા રહેશે… પાલખી યાત્રા નું આયોજન