કરનાળીમાં કુબેર ભંડારી દાદાએ પણ ઉજવ્યું સ્વતંત્રતા પર્વ
કેસરી સફેદ અને લીલા રંગના પુષ્પહારોની સજાવટથી દેશભક્તિસભર બનેલા વાતાવરણમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરાવ્યું ધ્વજ વંદન
ધર્મ સ્થંભ બન્યો ધ્વજ સ્થંભ
મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે અતિ મનસ ચેતનાની દિવ્ય સાધના અહી કરી હતી
કરનાળીના આંગણે પવિત્ર નર્મદા માવડીના સાનિધ્યમાં કુબેર ભંડારી દાદા એ પણ દેશ ભક્તિભાવ સભર વાતાવરણમાં ૭૪ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી એની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.યાદ રહે કે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રસંગો જેટલા જ ઉત્સાહથી કુબેર ભંડારી શિવાલય ખાતે ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ અનોખું આયોજન ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભૂદેવો અને ભક્તોના સહયોગથી કરવામાં આવે છે.યાદ રહે કે આ મંદિરની ભૂગર્ભ ગુફામાં જ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે અતિ મનસ ચેતનાની દિવ્ય સાધના કરી હતી અને યોગાનુયોગ ૧૫ મી ઓગસ્ટ એમનો પણ પ્રાગટ્ય દિવસ છે.
મંદિર ખાતે પવિત્ર અગિયારશ અને સ્વતંત્રતા પર્વના સુભગ સમન્વય પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટાએ ત્રિરંગી રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સન્માન સલામી આપી હતી.યાદ રહે કે મંદિરના પ્રાંગણમાં જે ધર્મ સ્થંભ છે એનો જ ધ્વજ દંડ બનાવીને એના પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ને જાણે કે દેશ એ પણ દેવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.શૈલેષભાઈ છેલ્લા ૨૩ વર્ષથી અગિયારસના દિવસે કુબેર ભંડારી દાદાનું શાસ્ત્રોક્ત પૂજન કરે છે.આજે એમણે દાદાનું પૂજન કર્યા પછી ધ્વજ વંદન કરાવીને રાષ્ટ્ર પૂજન કર્યું હતું.
આ પ્રસંગે કેસરી,સફેદ અને લીલા રંગના પુષ્પો અને પર્ણોની સજાવટ થી દેવાલયમાં દેશભક્તિનું ઉર્મિસભર વાતાવરણ સર્જાયું હતું.દાદાનો પુષ્પ શણગાર પણ ત્રિરંગાના રંગોથી જ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિદ્વાન ભૂદેવોએ રાષ્ટ્ર વંદનાની ભાવના વાળા શ્લોકોથી રુદ્રી પાઠ કરીને,પવિત્ર શ્રાવણમાં દેશની પ્રગતિ અને જન કલ્યાણ,તેમજ સમગ્ર વિશ્વની કાળચક્ર જેવા કોરોના થી મુક્તિ અને સહુ કોરોના ગ્રસ્તો સ્વસ્થ અને તંદુરસ્ત થાય એવા આશીર્વાદ કુબેર દાદા પાસે માંગ્યા હતા.શ્રી રજની દાદાએ સહુને આવકારીને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.